2018 અમૃતસર ટ્રેન દુર્ઘટનાના પીડિતોનું વિરોધ પ્રદર્શન, 'એક વર્ષ છતાં ન્યાયથી વંચિત'

ગયા વર્ષે અમૃતસરના ચોરા બાઝારની નજીક જોધા ફાટક પર ધોબીઘાટ મેદાનમાં દશેરા ઉત્સવ નિહાળી રહેલા લોકો પર ટ્રેન ફરી વળી હતી. રાવણના પુતળા દહન કાર્યક્રમ દરમિયાન થયેલી આ દુર્ઘટનામાં 60થી વધુ લોકોનાં મોત થયા હતા અને અસંખ્ય લોકો ગંભીર રીતે ઘાયલ થઈને કાયમ માટે વિકલાંગ બની ગયા હતા. 

2018 અમૃતસર ટ્રેન દુર્ઘટનાના પીડિતોનું વિરોધ પ્રદર્શન, 'એક વર્ષ છતાં ન્યાયથી વંચિત'

અમૃતસરઃ દશેરા એ આનંદનો ઉત્સવ છે, પરંતુ પંજાબના અમૃતસરમાં રહેતા લોકો માટે આજનો દિવસ દુઃખદ યાદો તાજી કરનારો છે. ગયા વર્ષે રાવણના પુતળા દહન કાર્યક્રમ દરમિયાન થયેલા એક ટ્રેન અકસ્માતમાં 60થી વધુ લોકોનાં મોત થયા હતા અને અસંખ્ય લોકો ગંભીર રીતે ઘાયલ થઈને કાયમ માટે વિકલાંગ બની ગયા હતા. આ દુર્ઘટનાના પીડિતોના પરિજનો માટે દશેરાનો દિવસ કાળ બની રહ્યો હતો. 

મંગળવારે વિજયાદશમીના દિવસે આ પીડિતોના પરિજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ દુર્ઘટનામાં મૃતકોના લોકોને ન્યાય આપવાની માગણી કરી હતી. પીડિતોએ પંજાબ સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા અને જણાવ્યું કે, એક વર્ષ વીતિ જવા છતાં પણ હજુ સુધી તેમને ન્યાય મળ્યો નથી. અમે સરકારી કચેરીઓના ચક્કર કાપી-કાપીને થાકી ગયા છીએ. હવે તેના વિરોધમાં અમે રેલવે ફાટક પર બેસીને વિરોધ પ્રદર્શન કરીશું. 

શેરા નામના એક પ્રદર્શનકારીએ જણાવ્યું કે, 'અમારું કોઈ સાંભળતું નથી. આ દુર્ઘટનામાં અમારા ભાઈઓ અને બહેનોનાં મોત થયા છે. તેમણે જ્યાં જીવ ગુમાવ્યો એ રેલવે ટ્રેક પર અમે જઈ રહ્યા છીએ. અમે સરકારનું દરેક રીતે ધ્યાન દોર્યું છે, પરંતુ સરકાર અમારું સાંભળતી નથી.'

બીજા એક પ્રદર્શનકારી જોગિંદર સિંઘે જણાવ્યું કે, "મારો પુત્ર ગયા વર્ષે અહીં દશેરા ઉત્સવ જોવા આવ્યો હતો. તેનું નામ અમૃત પાસ સિંઘ છે. સરકારે નોકરી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ હજુ સુધી પાળ્યું નથી. અમે રેલવે સ્ટેસન તરફ જઈ રહ્યા છીએ."

અમૃતસરના ડીસીપી જગમોહન સિંઘે પ્રદર્શનકારીઓને વિરોધ પ્રદર્શનના બદલે શાંતિ અને ભાઈચારો જાળવી રાખવા અપીલ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 'કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે અમે પોલીસને એલર્ટ રહેવા સુચના આપી છે. રેલવેના એઆઈજીને પણ સુચના આપી છે. ત્યાં રેલવે પોલીસ પણ એલર્ટ પર છે.'

આ દુર્ઘટનામાં 60 લોકોનાં મોત થયા હતા અને 70થી વધુ ઘાયલ થયા હતા. અમૃતસરના ચોરા બાઝારની નજીક જોધા ફાટક પર ધોબીઘાટ મેદાનમાં દશેરા ઉત્સવ નિહાળી રહેલા લોકો પર ટ્રેન ફરી વળી હતી. આ દુર્ઘટના ગયા વર્ષે 19 ઓક્ટોબરના રોજ સર્જાઈ હતી. નવજોત સિંહ સિદ્ધુના પત્ની નવજોત કોર સિદ્ધુ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news