કયા ગુનામાં સંજીવ ભટ્ટ, તીસ્તા સેતલવાડ, શ્રીકુમારની કરાઈ છે ધરપકડ, શું હતી તેમની ભૂમિકા?

ગુજરાત ATSએ તિસ્તા સેતલવાડની ધરપકડ કરી સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યારબાદ તિસ્તા સેતલવાડને મુંબઈથી ધરપકડ કરીને અમદાવાદ મુખ્ય કાર્યાલય લવાઈ રહ્યા છે. તિસ્તા સેતલવાડની સાથે આઈપીએસ ઓફિસર આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે પણ ગાળિયો કસાયો છે.

કયા ગુનામાં સંજીવ ભટ્ટ, તીસ્તા સેતલવાડ, શ્રીકુમારની કરાઈ છે ધરપકડ, શું હતી તેમની ભૂમિકા?

ઝી બ્યુરો/અમદાવાદ: 2002ના રમખાણોના નામે ગુજરાતને બદનામ કરનારી ત્રિપુટી સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કેસ નોંધ્યો છે. જેમાં ગુજરાત એટીએસની ટીમ તિસ્તા સેતલવાડની ધરપકડ કરી છે, જ્યારે તેમની સાથે આર.બી શ્રીકુમારની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. જ્યારે સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરવામાં આવશે. ગુજરાતને બદનામ કરનારી ત્રણેય લોકો વિરુદ્ધ કાયદાની કલમ 194, 211, 218, 468, 471 અને 120 બી મુજબ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે. હવે ત્રણેય ત્રિપુટીઓ વિરુદ્ધ અલગ અલગ કલમો લગાવવામાં આવી છે. ત્યારે આ કલમો હેઠળ શું સજા થઈ શકે તેનું વિગતવાર વિશ્લેષણ દર્શાવવામાં આવ્યું છે. કલમ 120 બી હેઠળ ખોટાં પૂરાવા ઊભા કરવાનો રોલ હોય તેવી આશંકા સેવવામાં આવી છે.

મહત્વનું છે કે, ગુજરાત ATSએ તિસ્તા સેતલવાડની ધરપકડ કરી સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યારબાદ તિસ્તા સેતલવાડને મુંબઈથી ધરપકડ કરીને અમદાવાદ મુખ્ય કાર્યાલય લવાઈ રહ્યા છે. તિસ્તા સેતલવાડની સાથે આઈપીએસ ઓફિસર આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે પણ ગાળિયો કસાયો છે. જાકીયા ઝાફરીની અરજીના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગુજરાત પોલીસે તિસ્તા સેતલવાડ પર નવી ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરી છે. 

શું છે આરોપો? 
આરોપ છે કે ઝાકિયા જાફરીની અરજીના આધારે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરીને અલગ-અલગ કમિશનમાં નકલી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. 

કલમ 120
ગુનાહિત કાવતરૂ ધડવું ગુના પ્રમાણે સજા સજાની જોગવાઈ

કલમ 194
દેહાંતદંડની શિક્ષાને પાત્ર ગુનામાં સજા પ્રાપ્ત કરવાના ઈરાદાથી ખોટો પૂરાવો આપવો કે ઉભો કરવો. આજીવન કેદ કે દસ વર્ષ સુધીની સજા થશે, પરંતુ નિર્દોષ વ્યક્તિને મોતની સજા આપવામાં આવે તો ખોટા પૂરાવા આપનારને પણ મૃત્યુદંડની જોગવાઈ.

કલમ 211
હાની કરવાના ઈરાદાથી ગુનાનું ખોટું તહોમત.

ગુનાની જોગવાઈ
1.  ક્ષતિ પહોંચાડવાના ઈરાદાથી ગુનાનો ખોટો આરોપ.
સજા - બે વર્ષની કેદ અથવા દંડ અથવા બંને.
તે જામીનપાત્ર, નોન-કોગ્નિઝેબલ ગુનો છે અને પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ દ્વારા ટ્રાયેબલ છે.
 
2. જો ગુનો દાખલ કરવામાં આવ્યો હોય તો તે સાત વર્ષ કે તેથી વધુ કેદની સજાને પાત્ર છે.
સજા - સાત વર્ષની કેદ અને દંડ.
તે જામીનપાત્ર, નોન-કોગ્નિઝેબલ ગુનો છે અને પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ દ્વારા ટ્રાયેબલ છે.
 
3. જો આરોપ લગાવવામાં આવેલ ગુનો મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજાને પાત્ર છે.
સજા - સાત વર્ષની કેદ અને દંડ.
તે બિનજામીનપાત્ર, કોગ્નિઝેબલ ગુનો છે અને સેશન કોર્ટ દ્વારા ટ્રાયેબલ છે.
 
આ ગુનો કમ્પાઉન્ડેબલ નથી.

કલમ 218
કોઈ વ્યક્તિ સજા કે મિલકતને જપ્ત થતી બચાવવાના ઈરાદે જાહેર નોકટ ખોટી નોંધ કે લખાણ તૈયાર કરે

3 વર્ષની સજા અથવા દંડ, બંને. જામીનપાત્ર ગુનો. 

કલમ 468
છેતરપિંડી કરવાના હેતુસર ખોટા દસ્તાવેજ બનાવવા. સાત વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ.

સાત વર્ષની જેલ અને દંડ.

કલમ 471
બનાવટી દસ્તાવેજ છે તે જાણવા છતાં તે સાચા છે તે રીતે તેનો ઉપયોગ કરવો

સજા - જે આવા દસ્તાવેજની બનાવટી માટે આપવામાં આવે છે.
તે જામીનપાત્ર, કોગ્નિઝેબલ ગુનો છે અને પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ દ્વારા ટ્રાયલેબલ છે.

આ ગુનો કમ્પાઉન્ડેબલ નથી.

2. જો બનાવટી દસ્તાવેજ કેન્દ્ર સરકારની પ્રોમિસરી નોટ છે.
સજા - જે આવા દસ્તાવેજની બનાવટી માટે આપવામાં આવે છે.
તે જામીનપાત્ર, કોગ્નિઝેબલ ગુનો છે અને પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ દ્વારા ટ્રાયલેબલ છે.

આ ગુનો કમ્પાઉન્ડેબલ નથી.

આ કેસમાં આરોપી નં.-1 સંજીવ ભટ્ટ બીજા નંબરના આરોપી આર બી શ્રીકુમાર અને તીસ્તા સેતલવાડને ત્રીજા નંબરના આરોપી બનાવવામાં આવ્યાં છે.  

ફરિયાદ અનુસાર સંજીવ ભટ્ટ, તીસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારે કોંગ્રેસના પૂર્વ સંસદ સભ્ય અહેસાન જાફરીના પત્ની જાકીયા જાફરીની અરજી ઉપરાંત વિવિધ અદાલતોમાં કરવામાં આવેલાં કેસ અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ના વડા સમક્ષ ખોટા દસ્તાવેજી પુરાવા બનાવી તેને સાચા દર્શાવીને અલગ-અલગ તપાસ પંચમાં રજૂ કરવામાં આવ્યાં. આ તપાસ પંચમાં રજૂઆત દરમિયાન આ ખોટા દસ્તાવેજી પુરાવાઓથી નિર્દોષ વ્યક્તિઓ સામે મોતની સજા મળે તેવી કાયદાકીય જોગાવાઈઓની કલમો પ્રમાણે કાર્યવાહી થાય અને ગોધરાકાંડ બાદ રાજ્યમાં થયેલા રમખાણોનો સમગ્ર વિવાદ સતત સળગતો રહે તેવા બદઈરાદા સાથે ષડ્યંત્ર રચવાનો ગુનો ભટ્ટ, શ્રીકુમાર અને સેતલવાડ સામે નોંધવામાં આવ્યો છે.  

- સંજીવ ભટ્ટ ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે અને હાલમાં પાલનપુર જેલમાં કસ્ટોડિયલ ડેથના કેસમાં ગુનો સાબિત થવાથી સજા કાપી રહ્યા છે. 

- આર બી શ્રીકુમાર રિટાયર્ડ આઈપીએસ અધિકારી છે. તેમને રિયાયર્ડમેન્ટ બાદ ગુજરાત સરકારના પોલીસ મહાનિર્દેશક (ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ - ડીજીપી) તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું હતું. 

- તીસ્તા સેતલવાડ સામાજિક કર્મશીલ અને પત્રકાર તરીકેની ઓળખ ધરાવે છે. તેમની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની સંસ્થાને દાનમાં મળતા વિદેશી ભંડોળનું પોતાના વ્યક્તિગત ખર્ચ માટે ઉપયોગ કરવાનો કેસ પણ કરવામાં આવ્યો છે. 

સુપ્રીમ કોર્ટ દ્વારા 24 જૂન 2022ના રોજ જાકીયા જાફરી વિરુદ્ધ ગુજરાત સરકારના કેસમાં આપવામાં આવેલા ચૂકાદામાં કરવામાં આવેલા અવલોકનોને આધારે ગુજરાત પોલીસ સંજીવ ભટ્ટ, શ્રીકુમાર અને તીસ્તા સેતલવાડ સામે 25 જૂનના રોજ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) દ્વારા ફરિયાદ નોંધી છે. 

જેના નીચેના દસ મહત્ત્વના મુદ્દા નીચે મુજબ છે...

- ગોધરા રેલવે સ્ટેશને 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સ્પ્રેસ ટ્રેનમાં આગ લાગવાથી થયેલા કારસેવકોના મૃત્યુના વિરોધમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનમાં અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ગુલબર્ગ સોસાયટી પર મોટા ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સંસદ સભ્ય અહેસાન જાફરી સહિત 39 મુસ્લિમોના મૃત્યુ થયા હતા. આ ઘટનામાં અહેસાન જાફરીએ પોતાની ખાનગી લાયસન્સ ધરાવતા હથિયારથી ગોળીબાર કરતા 15 લોકો ઘાયલ પણ થયા હતા. 

- ગુલબર્ગ સોસાયટી કેસ તરીકે જાણીતી થયેલી આ ઘટનાની ફરિયાદ  મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ અને કેસની સુનાવણી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ નં. 11માં 2002થી 2004 સુધી કરવામાં આવી.  

- આ દરમિયાન રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે વર્ષ 2003માં સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આ કેસની વધુ તપાસ માટે પાંચ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરવાનો નિર્દેશ કર્યો.  

- ગુલબર્ગ સોસાયટીની ઘટનાના ચાર વર્ષ બાદ જાકીયા જાફરીએ રાજ્યના ડીજીપીને એક ફરિયાદ કરી જેમાં આઈપીસીની કલમ 302, 120 (બી), 193, 114, 186, 153(એ)186, 187 તથા કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ એફઆઈઆર કરવાની માંગણી કરી હતી. રાજ્યના પોલીસ વડાએ એડિશનલ ડીજીપી (ઇન્ટેલિજન્સ)ને આ મામલાની તપાસ સોંપી, જેમણે આ ફરિયાદને ધ્યાનમાં લઈને જાકીયા જાફરીને પોતાનું નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવ્યા હતાં, પરંતુ જાકીયા જાફરીએ તેમણે રાજ્યના ડીજીપીને આપવામા આવેલી ફરિયાદને આધારે ગુનો નોંધવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ નિવેદન નહીં આપે તેમ જણાવ્યું અને તેની ફરિયાદને જ એફઆઈઆર તરીકે નોંધવામાં આવે તેવો આગ્રહ રાખ્યો હતો.

- આ મુદ્દે જાકીયા જાફરીએ  સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ સંસ્થાના સેક્રેટરી તીસ્તા સેતલવાડની મદદથી ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી જેમાં કહેવામાં આવ્યુ હતું કે રાજ્યના ડીજીપીને તેમની અરજીને જ એફઆઈઆર તરીકે ગણવા માટેનો નિર્દેશ કરવામાં આવે અને આ કેસની તપાસ સીબીઆઈ જેવી સ્વતંત્ર તપાસ એજન્સી પાસે કરાવવામાં આવે. ગુજરાત હાઈકોર્ટે આ અરજીનો નિકાલ કર્યો હતો જેમાં અરજદાર દ્વારા અરજી કરવાની પ્રક્રિયા યોગ્ય કરવામાં આવી ન હોવાનું નોંધ્યું હતું. એટલું જ નહીં હાઈકોર્ટે જાકીયા જાફરીને ખાનગી અરજી કરવાનું પણ સૂચન કર્યું હતું.

- ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પણ આ બાબતે અરજી કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટે પણ સુનાવણી અને એમીકસ ક્યુરીએ તમામ તપાસ એજન્સીઓના રિપોર્ટના અભ્યાસ બાદ રજૂ કરેલા તારણોને ધ્યાનમાં લઈને અવલોકન કર્યું હતું કે અરજીમાં જે વ્યક્તિઓ સામે આરોપ મૂકવામાં આવ્યા હતાં તેમની સામે કોઈપણ પ્રકારના પુરાવા કે સામગ્રી મળી નથી.

- ફરિયાદમાં દર્શાવ્યા મુજબ તત્કાલિન ડીઆઈજી સંજીવ ભટ્ટે નાણાવટી-મહેતા કમિશનને 30 ડિસેમ્બર 2011ના રોજ વર્ષ 2002 અને 28 ફેબ્રુઆરી 2002ના રોજ મોકલવામાં આવેલા ફેક્સ મેસેજની નકલ મોકલી આપી હતી, જેમાં તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે એ નકલ અન્ય સત્તામંડળોને પણ તેમની સહી સાથે મોકલી હતી. જોકે, આ સંજીવ ભટ્ટે મોકલેલા ફેક્સ મેસેજની નકલની તપાસ કરતાં એસઆઈટીએ તે બનાવટી હોવાનું અને અન્ય કોઈ ખોટા હેતુસર ઉપજાવી કાઢેલી હોવાનું તારણ રજૂ કર્યું હતું.

- બનાવટી દસ્તાવેજી ઉપજાવી કાઢવા પાછળ સંજીવ ભટ્ટનો હેતુ ગંભીર ગુના માટેની કાયદાની કલમો હેઠળ વિવિધ વ્યક્તિઓને ફસાવી દેવાનો હતો.

- સંજીવ ભટ્ટે એસઆઈટી સમક્ષ એવો ખોટો દાવો કર્યો હતો કે તે 27 ફેબ્રુઆરી 2002ના રોજ મુખ્યમંત્રીના નિવાસસ્થાને મોડી રાત્રે યોજાયેલી એક મીટિંગમાં ઉપસ્થિત હતા. પરંતુ સુપ્રીમ કોર્ટના નિરિક્ષણ હેઠળ કામ કરી રહેલી એસઆઈટીની તપાસમાં એ સાબિત થયું હતું કે ભટ્ટ એ કથિત મીટિંગમાં ઉપસ્થિત નહોતા. અને તેમણે એ મીટિંગના નવ વર્ષ બાદ આવો દાવો વિવિધ વ્યક્તિઓને ગંભીર ગુનાની કલમો હેઠળ ફસાવી દેવા માટે કર્યો હતો. આ માટે તેમણે ઘણા બનાવટી દસ્તાવેજોને ખોટી રીતે ઉપજાવી કાઢ્યા હતા.

- ગુજરાત સરકારને આ મામલાની તપાસમાં જાણવા મળ્યુ હતું કે, સંજીવ ભટ્ટ સહિત કેટલીક વ્યક્તિઓ , વિવિધ એનજીઓ, કેટલાક રાજકીય નેતાઓ અને સંસ્થાઓ સુપ્રીમ કોર્ટની એસઆઈટી જેવી સંસ્થાઓનો ઉપયોગ ગુનાહીત ષડ્યંત્ર રચીને પોતાનો અંગત સ્વાર્થ અને હીતો માટે કરી રહી હતી.

આ કેસમાં બીજા નંબરના આરોપી આર બી શ્રીકુમારની શું હતી ભૂમિકા?

- જાકીયા જાફરીની ફરિયાદમાં કરવામાં આવેલા મોટાભાગના આક્ષેપો આર બી શ્રીકુમાર દ્વારા નાણાવટી શાહ પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાંથી લેવામાં આવી હતી. 

- શ્રીકુમાર રમખાણો સમયે અધિક પોલીસ મહાનિર્દેશક (આર્મ્ડ યુનિટ) તરીકે ફરજ બજાવતા હતા અને તેમણે તપાસ પંચ સમક્ષ પોતાના સોગંદનામામાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, તેમને મળેલી કોઈપણ માહિતી વ્યક્તિગત રીતે મળેલી માહિતી નહીં, પરંતુ તેમના એ હોદ્દા પર હોવાને કારણે મળી હતી. એસઆઈટી દ્વારા નોંધવામાં આવેલા નિવેદનોમાં એ બાબત પણ જાણવા મળી હતી કે ફરિયાદને લગતાં તમામ તથ્યોની માહિતી તેમને 9 એપ્રિલ 2002ના રોજ અધિક પોલિસ મહાનિર્દેશક (ઇન્ટેલિજન્સ)નો પદભાર સંભાળ્યા બાદ મળી હતી.  

- ઉલ્લેખનીય છે કે શ્રીકુમારે તેમણે રજૂ કરેલી પ્રથમ બે એફિડેવિટમાં સરકાર વિરુદ્ધ કોઈપણ આક્ષેપો કર્યા ન હતા, પરંતુ 9 એપ્રિલ 2005 બાદ રજૂ કરેલી ત્રીજ એફિડેવિટથી જ સરકાર સામે આક્ષેપ કરવાની શરૂઆત કરી હતી.  

- શ્રીકુમારના આક્ષેપો સંદર્ભે તપાસ કર્યા બાદ એસઆઈટી એ તારણ પર પહોંચી હતી કે તેમણે પોતાના ઉપરી અધિકારીઓની જાણબહાર મૌખિક સૂચનાઓની નોંધ કરવાનાં રજિસ્ટરમાં ગોળ ખાનગી સિક્કો લગાવ્યો હતો.  

આ કેસમાં ત્રીજા નંબરના આરોપી તીસ્તા સેતલવાડ છે, તેમની શું હતી ભૂમિકા?  

- તીસ્તા સેતલવાડે ખોટા દસ્તાવેજો, પુરાવા, અને તથ્યો ઉપજાવી કાઢ્યા હતા જેનો નિર્દેશ એસઆઈટી દ્વારા જમા કરવામાં આવેલા ફાઇનલ રિપોર્ટમાં જોવા મળે છે. 

- આ ઉપરાંત કેસના સાક્ષીઓને પ્રભાવિત કરવા અને તેમને ચોક્કસ પ્રકારના નિવેદનો આપવા માટે તૈયાર કરવામાં પણ તીસ્તા સેતલવાડે ભૂમિકા ભજવી હતી. 

- આ બાબતની પુષ્ટિ જાકીયા જાફરીએ ગુલબર્ગ સોસાયટી કેસની સુનાવણીમાં તેમની ઉલટ તપાસ દરમિયાન કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ આ ઘટનાના થોડા સમય બાદ તીસ્તા સેતલવાડને જાણતા હતા અને ઘટનાના થોડા સમય બાદ આર બી શ્રીકુમારના સંપર્કમાં પણ આવ્યાં હતા. તેમણે નાણાવટી શાહ કમિશન સમક્ષ આપેલા નિવેદનમાં પણ તેમણે દર્શાવ્યું હતું કે તેમને નિવેદનમાં શું કહેવું. તેની તૈયારી તીસ્તા સેતલવાડે કરાવી હતી. તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે સમગ્ર ઉલટ તપાસ દરમિયાન તેમણે સતત તીસ્તા સેતલવાડની સૂચનાઓને અનુસરી હતી.

આ ઉપરાંત 19 સાક્ષીઓએ એવો આગ્રહ કર્યો હતો કે તેમણે જે નિવેદનો પર સહી કરી હતી તે નિવેદનો તીસ્તા સેતલવાડ અને વકીલ એમ એમ તિરમિઝી દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતાં. તેમને તમામને કોમ્પ્યુટર પર તૈયાર કરવામાં આવેલા એક જેવા નિવેદનો તીસ્તા સેતલવાડ અને એમ એમ તિરમિઝી દ્વારા આપવામાં આવ્યા હતાં અને તેમણે માત્ર તેમની પર સહી જ કરી હતી.  

- આ તમામ બાબતને ધ્યાનમાં રાખીને સંજીવ ભટ્ટ, આર બી શ્રીકુમાર અને તીસ્તા સેતલવાડ વિરુદ્ધ આઇપીસીની 194, 211, 218, 468, 471 અને 120 બી મુજબ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news