વડોદરા સામૂહિક આપઘાત કેસમાં નવો વળાંક, મૃત પામેલો જ્યોતિષ જીવતો નીકળ્યો

વડોદરા સામૂહિક આપઘાત કેસમાં નવો વળાંક, મૃત પામેલો જ્યોતિષ જીવતો નીકળ્યો
  • ગજેન્દ્ર ભાર્ગવ મૃત હોવાનું સોની પરિવારને જાણ કરનાર હેમંત જોશી હાલ ફરાર છે
  • જ્યોતિષીઓની ટોળકીનો મુખ્ય સૂત્રધાર જ હેમંત જોશી છે. જે હજી પોલીસ પકડથી દૂર છે

ઝી મીડિયા/બ્યૂરો :વડોદરાના સોની પરિવારના સામૂહિક આત્મહત્યા કેસમાં મૃતક ભાવીન સોનીએ મરતા પહેલા પોલીસને નવ જ્યોતિષીઓના નામ આપ્યા હતા. જેમાંથી સીતારામ ઉર્ફે સાહિલ ભાર્ગવ અને ગજેન્દ્ર ઉર્ફે અમિત ભાર્ગવની પોલીસે ગઈકાલે ધરપકડ કરી છે. જોકે, જે જ્યોતિષી મૃત હોવાનું સોની પરિવારને જણાવવામાં આવ્યું હતું, તે પોલીસ તપાસમાં જીવિત નીકળ્યો છે. 

ગજેન્દ્રએ વિધિના નામે 4 લાખ પડાવ્યા હતા 
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં સોની પરિવારે જ્યોતિષીઓના ચક્કરમાં લાખો ગુમાવ્યો, અને છેવટે આખા પરિવારને સામૂહિક આત્મહત્યાનો વારો આવ્યો. સોની પરિવારનો પુત્ર ભાવિન સોનીએ મરતા પહેલા 9 જ્યોતિષીઓના નામ પોલીસને આપ્યા હતા. જેથી વડોદરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે, આ કેસમાં એવો વળાંક આવ્યો છે કે, પોલીસ પકડથી દૂર રહેવા તમામ જ્યોતિષી રાજસ્થાન ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે. જેમાં બે જ્યોતિષીઓ પકડાઈ ગયા છે. સીતારામ ઉર્ફે સાહિલ ભાર્ગવ અને ગજેન્દ્ર ઉર્ફે અમિત ભાર્ગવની પોલીસે ગઈકાલે ધરપકડ કરી છે. જેમાં એક જ્યોતિષે સોની પરિવાર પાસેથી વિધિના નામે રૂપિયા 4 લાખ અને બીજા જ્યોતિષે રૂપિયા 3.50 લાખ પડાવ્યા હતા.

આ પણ વાંચો : ઝીરો બજેટમાં તરબૂચની ખેતી કરીને વડોદરાના 2 ખેડૂતોએ 3 મહિનામાં લાખો કમાવ્યા

હેમંત જોશીએ ગજેન્દ્ર મર્યો હોવાનું સોની પરિવારને કહ્યું હતું 
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, ગજેન્દ્ર નામના જ્યોતિષીએ સોની પરિવાર પાસેથી વિધી કરાવવાના બહાને ચાર લાખ રૂપિયા લીધા હતા. પરંતુ બાદમાં તે વિધિ કરવા આવ્યો જ ન હતો. જેથી સોની પરિવારે આ વિશે જ્યોતિષ હેમંત જોશીનો સંપર્ક કર્યો હતો. જેથી તેમણએ ગજેન્દ્ર ભાર્ગવનું મોત થયું હોવાનું સોની પરિવારને જણાવ્યું હતું. હકીકતમાં આ લેભાગુ જ્યોતિષ ગજેન્દ્ર ભાર્ગવ જીવિત હતો. તે સોની પરિવાર પાસેથી રૂપિયા લઈને પોતાના વતનમાં ભાગી ગયો હતો. ત્યાં તે દરજીકામ કરવા લાગ્યો હતો. 

આ પણ વાંચો : વ્હાલસોયી દીકરીની દુષ્કર્મ બાદ થયેલી હત્યા જીરવી ન શકનાર પિતાએ ફિનાઈલ પીને મોત વ્હાલુ કર્યું 

જ્યોતિષ હેમંત જોશી મુખ્ય સૂત્રધાર 
જોકે, ગજેન્દ્ર ભાર્ગવ મૃત હોવાનું સોની પરિવારને જાણ કરનાર હેમંત જોશી હાલ ફરાર છે. હેમંત જોશીએ ગોત્રી વિસ્તારનું પોતાનુ મકાન ઘણા સમય પહેલા બદલી નાંખ્યું હતું. તેનુ અસલીનામ હેમતારામ હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે. જ્યોતિષીઓની ટોળકીનો મુખ્ય સૂત્રધાર જ હેમંત જોશી છે. જે હજી પોલીસ પકડથી દૂર છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news