સુરતમાં બળાત્કારનો ફરાર આરોપી ડોક્ટર પ્રફુલ દોષી ભૂતકાળમાં પણ આચરી ચૂક્યો છે પાપલીલા

મહિલાઓ માટે કામ કરતી સુરતની અનીષ સંસ્થાને અનેક મહિલાઓએ કરી હતી ફરિયાદ, બાદમાં સમાજમાં બદનામીના ભયથી ડોક્ટર સામે કાર્યવાહી કરવા આગળ ન આવી 

સુરતમાં બળાત્કારનો ફરાર આરોપી ડોક્ટર પ્રફુલ દોષી ભૂતકાળમાં પણ આચરી ચૂક્યો છે પાપલીલા

સુરતઃ તાજેતરમાં જ સુરતના એક જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર પ્રફુલ દોષી વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ બાદ ડોક્ટર પ્રફુલ દોષી ફરાર છે. હવે, આ ડોક્ટરનાં કરતૂતો ધીમે-ધીમે બહાર આવી રહ્યા છે. ભૂતકાળમાં પણ આ ડોક્ટર આવી જ પાપલીલા આચરી ચૂક્યો છે એવું સુરતમાં મહિલાઓ માટે કામ કરતી અનીષ સંસ્થાના સેક્રેટરી રેણુકા શાહે જણાવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, આ ડોક્ટર સુરત શહેરના જાણીતા વિસ્તારમાં "મી એન્ડ મમ્મી" નામનું નિઃસંતાન મહિલાઓને આઈવીએફ દ્વારા માતા બનાવવા માટેનું એક ક્લીનીક ચલાવે છે. તાજેતરમાં જ આ ડોક્ટરે એક નિઃસંતાન મહિલાને તેની ચેમ્બરમાં બોલાવીને દવાના નામે ઈન્જેક્શન આપી બેભાન કરીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ મહિલા જ્યારે ભાનમાં આવી ત્યારે તેના પર બળાત્કાર ગુજારાયો હોવાનું માલુમ પડતાં તેણે હિંમત કરીને ડોક્ટર સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. 

પોલીસમાં ફરિયાદ થયાની જાણ થતાં જ આ ડોક્ટર શહેર છોડીને ફરાર થઈ ગયો છે. પોલીસ હાલ મહિલાની ફરિયાદના આધારે કલમ 376 મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ કરી રહી છે.

હવે આ બાળાત્કારી ડોક્ટરે ભૂતકાળમાં આચરેલી પાપલીલાઓ પણ બહાર આવી રહી છે. સુરતમાં મહિલાઓ માટે કામ કરતી અનીષ સંસ્થા સમક્ષ 2006માં સાતેક મહિલાઓએ આ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેમાં ડો.પ્રફુલ દોશી લેબર રૂમમાં મહિલાઓને અકુદરતી સેક્સની ફરજ પાડતો હતો, પ્રસુતિની તપાસ દરમિયાન મહિલાઓની છેડતી કરતો હોવા જેવા ગંભીર આક્ષેપો કરાયા હતા.
 
આવી ફરિયાદ બાદ અનીષ સંસ્થામાં 2006માં બંધ બારણે મિટીંગ કરાઈ હતી. જેમાં અખિલ મહિલા પરિષદના પ્રમુખ ગીતા શ્રોફ, અંનતાબેન પરીખ, સુરત શાખાના ડો.પ્રભાવતીબેન દીક્ષિત, ભારતીબેન દલાલ, શ્રમજીવી સસ્થામાંથી મમતાબેન દેસાઈ, અનીષ સંસ્થાના સેક્રેટરી રેણુકાબેન શાહ, વાઇસ પ્રેસીડન્ટ મીતા શેઠ, ડો.મુકુલ ચોકસી, સહિતના હાજર હતા. અન્ય એક-બે ગાયનેક ડોકટરની હરકતો બાબતે પણ તેમને ચોંકાવનારી વિગતો મળી હતી. 

આ અંગે અનીષ સંસ્થાના સેક્રેટરી રેણુકા શાહે ઝી મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, ભૂતકાળમાં એક મહિલાનું ઓપરેશન ન કરવાનું હતું અને થઈ ગયું હતું. ખોટી રીતે ઓપરેશન થતાં એ મહિલાનું મોત થયું હતું. ત્યાર બાદ થયેલા હોબાળામાં ડોક્ટર દ્વારા મહિલાઓ પર બાળાત્કાર ગુજારાતો હોવાની વાત પણ બહાર આવી હતી. આથી, અમારી અનીષ સંસ્થાએ તેના માટે એક મંચ ઊભો કર્યો હતો. જેમાં મહિલાઓએ એવું જણાવ્યું હતું કે, આ મહિલા નજરનો ખરાબ છે. રૂપાણી અને શરમાળ મહિલાઓ-યુવતીઓની પ્રસુતિની તપાસ દરમિયાન આ ડોક્ટર ખૂબ જ ખરાબ વર્તન કરતો હતો.

રેણુકાબહેને વધુમાં જણાવ્યું કે, 2006 બાદ આ ડોક્ટરના ત્યાં તપાસ માટે આવતી મહિલાઓ બહાર વેઈટિંગ રૂમમાં પણ એક-બીજાને સલાહ આપતી હતી કે આ ડોક્ટરનું વર્તન ખરાબ હોવાથી વહુ કે દીકરીને પ્રસુતિની તપાસ માટે એકલી મોકલવી નહીં. કેટલાક કેસમાં અમને મળેલી ફરિયાદ બાદ અમે જ્યારે પુરતી તપાસ કરીએ ત્યારે સમાજમાં બદનામીના ડરથી ફરિયાદ કરનારી મહિલાઓ આગળ કાર્યવાહી માટેનો ઈનકાર કરી દીધો હતો. 

તેમણે વધુમાં જણાવ્યું કે, અમારી સંસ્થા વતી જે-તે વખતે તત્કાલિન પોલીસ કમિશનરને પણ આ બાબતે રજૂઆત કરી હતી, પરંતુ કોઈ મહિલા સામે ન આવતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. સુરત મેડિકલ એસોસીયેશનને પણ આ બાબતે વાત કરી પરંતુ તેઓ પણ સહકાર ન આપતા સમગ્ર મામલો દબાઇ ગયો હતો. જો તે વખતે ડો. પ્રફુલ દોશીનું ભોપાળું બહાર આવી ગયું હોત તો કતારગામની મહિલા સહિત અનેક મહિલાઓ ભોગ બનતા બચી જતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news