ગુજરાતમાં અહીંથી નીકળશે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા, કોંગ્રેસ કરી રહી છે મોટું પ્લાનિંગ

Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધીની ન્યાય યાત્રા માટે ગુજરાતમાં આખરી ઓપ અપાઈ રહ્યો છે... આ માટે કોંગ્રેસના નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે 

ગુજરાતમાં અહીંથી નીકળશે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા, કોંગ્રેસ કરી રહી છે મોટું પ્લાનિંગ

Rahul Gandhi In Gujarat : રાહુલ ગાંધીના ગુજરાત આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે નક્કી થઈ ગયું કે, કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આગામી 7 મી માર્ચથી ગુજરાતમાં આવશે. ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચથી દાહોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે અને 10 માર્ચે પૂર્ણ થશે. ભારત જોડો ન્યાય યાત્રા ના આયોજન માટે ગોધરા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમિત ચાવડાની અધ્યક્ષતામાં જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠક મળી હતી. ત્યારે હાલ રાહુલ ગાંધીની ન્યાય યાત્રાના ગુજરાતના રૂટને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ માટે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક આવતીકાલથી ગુજરાત પ્રવાસે છે. આવતીકાલે સાંજે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા માટે બેઠક કરશે. કોંગ્રેસના નેતાઓને ન્યાય યાત્રાની જવાબદારી સોંપાશે. બુધવારે સવારે મુકુલ વાસનિક ન્યાય યાત્રાના રૂટની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરશે.  

  • 7 માર્ચના રોજ ઝાલોદ થી ન્યાય યાત્રાનું ગુજરાતમાં આગમન
  • 8 માર્ચના રોજ દાહોદ ભ્રમણ કરશે ન્યાય યાત્રા 
  • 9 માર્ચે ગોધરા અને પંચહાલનો રૂટ રહેશે યાત્રાનો 
  • 10 માર્ચે નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે ન્યાય યાત્રા

રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રા કોંગ્રેસમા નવા પ્રાણ પૂરશે
અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર ભારતીય રાજકારણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. ભાજપને બે બેઠકો થી સત્તાના શિખરે પહોંચવામાં રામ મંદિરના મુદ્દાએ પણ મુખ્ય ભૂમિકા ભજવી છે અને પાર્ટીની વ્યૂહરચના એ છે કે અયોધ્યામાં જ્યારે ભગવાન શ્રી રામ નું ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ગયું છે ત્યારે તેની મદદથી જીતની હેટ્રિક ફટકારવામાં આવે. ભાજપે 2024ની રાજકીય લડાઈ રામ મંદિરના મુદ્દે જ લડવાની યોજના બનાવી છે. ભાજપે દેશની કરોડો પ્રજાને બતાવવામાં વ્યસ્ત છે કે તેણે રામ મંદિરનું સપનું સાકાર કરવામાં કોઈ કસર છોડી નથી. રામ મંદિરના મુદ્દાનો વિરોધ કરવાની કોઈ વિપક્ષી પાર્ટીમાં હિંમત નથી. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી ન્યાય યાત્રા કરીને મોટો રાજકીય તફાવત ઊભો કરવા માંગે છે.

ગુજરાતના 7 જિલ્લાને આવરી લેશે 
રાહુલ ગાંધી ગુજરાતમાં 445 કિલોમીટરની યાત્રા કરશે. ગુજરાતમાં 5 દિવસની ન્યાય યાત્રા રહેશે. રાહુલની યાત્રા ગુજરાતના 7 જિલ્લામાંથી પસાર થશે. રાહુલ દેશમાં કુલ 6713 કિમીનો પ્રવાસ કરશે. આ યાત્રામાં કુલ 100 લોકસભા બેઠકો આવરી લેવામાં આવશે. ગુજરાતમાં જે લોકોને ન્યાય નથી મળતો એ લોકો સાથે રાહુલ ગાઁધી સંવાદ કરશે તેવી માહિતી અમિત ચાવડાએ આપી. સાથે જ તેમણે કહ્યું કે, ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં આ ભારત જોડો ન્યાય યાત્રા ફરશે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ આ યાત્રાનું મુખ્ય ટાર્ગેટ હશે.

ન્યાય યાત્રા 15 રાજ્યોમાંથી પસાર થશે
ભારત જોડો ન્યાય યાત્રા દેશના કુલ 15 રાજ્યોમાંથી પસાર થશે. આ સમયગાળા દરમિયાન, 110 જિલ્લા, 100 લોકસભા બેઠકો અને 337 વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવશે. આ યાત્રા કુલ 6713 કિલોમીટરની હશે. આ યાત્રા જે 15 રાજ્યોમાંથી પસાર થશે તેમાં મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ યાત્રા મુંબઈ, મહારાષ્ટ્રમાં પૂરી થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news