મોરબી દુર્ઘટનામાં 70થી વધુ મોત, બચાવ કાર્ય માટે ઈન્ડિયન નેવી અને એરફોર્સના જવાનો રવાના

મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝુલતા પુલમાં આજે દુર્ઘટના સર્જાય છે. જેમાં 77 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે 100 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. 

મોરબી દુર્ઘટનામાં 70થી વધુ મોત, બચાવ કાર્ય માટે ઈન્ડિયન નેવી અને એરફોર્સના જવાનો રવાના

મોરબીઃ રવિવારનો દિવસ ફરી મોરબી માટે કાળ બનીને આવ્યો છે. મોરબીનો પ્રસિદ્ધ ઝુલતો પુલ આજે સાંજે અચાનક ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 77 જેટલા લોકોના મોત થયા છે. તો 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે. તંત્ર દ્વારા રાહન અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી રવાના થયા છે. ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ સહિતના લોકો મોરબી રવાના થયા છે તો કેટલાક મોરબી પહોંચી ગયા છે. ઈજાગ્રસ્તોને મોરબી અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. 

રાહત અને બચાવ કામગીરી ચાલુ
મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે. આ હેતુસર એન.ડી.આર.એફની 3 પ્લાટુન ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર,દીવ અને સુરેન્દ્રનગરથી અદ્યતન સાધનો  સાથે મોરબી જવા માટે રવાના થયા છે.એસ.ડી.આર.એફની 3 તેમજ એસ આર પી. ની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી રહી છે. એટલું જ નહીં રાજકોટ સીવીલ હોસ્પિટલમા એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે. 

તપાસ માટે એસઆઈટીની રચના
મોરબીમાં થયેલી બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે સરકારે એસઆઈટીની રચના કરી છે. જેમાં પાંચ સભ્યો આ સમગ્ર દુર્ઘટનાની તપાસ કરશે. 

કમિટીના સભ્યો
1. રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર

2.  કે એમ પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ), આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર

3. ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ

૪. સંદીપ વસાવા, સચિવ માર્ગ અને મકાન

૫. સુભાષ ત્રિવેદી,આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ

પાંચ દિવસ પહેલા શરૂ થયો હતો બ્રિજ
તમને જણાવી દઈએ કે સમારકામના 5 દિવસ બાદ જ મોરબીનો ઝુલતો પુલ તૂટી પડ્યો છે. નવા વર્ષે જ લોકો માટે ઝુલતો પુલ ખુલ્લો મૂકાયો હતો. ઓરેવા ગ્રુપના MDએ ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 6 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો. ચાર દિવસમાં જ 12000 લોકોએ આ બ્રિજની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબીમાં થયેલી પુલ દુર્ઘટના સંદર્ભે મોરબી જવા અમદાવાદ એરપોર્ટથી રવાના થયા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ ઉભો કરાયો
મોરબીનો ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. રાજકોટમાં 10થી વધારે ડોક્ટરોને સ્ટેન્ડ બાયનો આદેશ અપાયો છે. રાજકોટનું જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસ જવાનો અને રેવન્યૂ સ્ટાફને પણ મોરબી જવાનો આદેશ અપાયો છે.

ચીફ ઓફિસ સંદિપસિંહ ઝાલાનો મોટો ઘટસ્ફોટ 
મોરબી પાલિકાના ચીફ ઓફિસર સાથે ઝી 24 કલાકે વાત કરી હતી. ત્યારે નગર પાલિકાના ચીફ ઓફિસ સંદિપસિંહ ઝાલાનો મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અમને જાણ કર્યા વગર પુલ ખુલ્લો મુકી દેવાયો હતો. ફિટનેસ સર્ટિફિકેટ વગર જ પુલ શરૂ કરી દીધો હતો. મંજૂરી વગર જ દિવાળીના તહેવારોમાં પુલ શરૂ કરી દીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news