ગાયબ થયેલા કુંભાણી સુરતમાં સાક્ષાત પ્રક્ટ થયા, મીડિયાને જોઈને ઘરનો દરવાજો જ ન ખોલ્યો

Nilesh Kumbhani : સુરત કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી સુરતમાં પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા, અગાઉ કોંગ્રેસના કાર્યકરોએ કુંભાણીના ઘરે કર્યો હતો હોબાળો, ફરી હોબાળો થવાની આશંકાના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ગાયબ થયેલા કુંભાણી સુરતમાં સાક્ષાત પ્રક્ટ થયા, મીડિયાને જોઈને ઘરનો દરવાજો જ ન ખોલ્યો

Surat Loksabha Election : સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા બાદથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ગાયબ થયા હતા. તેમના ટેકેદારોનો પણ કોઈ અત્તોપત્તો ન હતો. ત્યારે આખરે નિલેશ કુંભાણી સાક્ષાત પ્રકટ થયા છે. ગત અઠવાડિયે વીડિયો જાહેર કર્યા બાદ કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી બુધવારે રાતે સુરત પહોચ્યા હતા. નિલેશ કુંભાણી સુરત ખાતે પોતાના નિવાસસ્થાને આવી પહોચ્યાહતા. જેથી નિલેશ કુંભાણીના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. નિલેશ કુંભાણી આવ્યાની જાણ થતા જ મીડિયાની ટીમ તેમના ઘરે પહોંચી હતી, પરંતુ તેઓએ ઘરનો દરવાજો ખોલ્યો ન હતો.

કુંભાણીની પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરાઈ
સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી વિવાદ મામલે નિલેશ કુંભાણી ફરી ચર્ચામાં આવ્યા છે. બુધવારે રાતે સુરત આવી ગયેલા નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ આવી મોટો ઘટસ્ફોટ કરે તેવી શક્યતા છે. સુરતમાં આવ્યા બાદ કુંભાણી પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, પરંતુ ગણતરી ના કલાકો માં આ પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરાઈ હતી. તબિયત નાંદુરસ્ત હોવાનું બહાનું આપીને પ્રેસ કોન્ફરન્સ રદ્દ કરાઈ હતી. 

હાલ નિલેશ કુંભાણીના ઘરે ફરી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અગાઉ કોંગ્રેસ દ્વારા કુંભાણીના ઘરે હોબાળો કરાયો હતો. સુરતમાં કોંગ્રેસે મોટાપાયે કુંભાણીનો વિરોધ દર્શાવ્ોય હતો. ત્યારે ફરી કોઇ હોબાળો થાય તે આશંકાના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. હવે આજે કુંભાણી શું કરે છે તે મોટી ચર્ચા છે. 

હાઈકોર્ટે કોંગ્રેસને આપ્યો ઝટકો
ગુજરાત કોંગ્રેસને હાઈકોર્ટથી મોટો ઝટકો મળ્યો છે. સુરતથી ભાજપ ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતને પડકારતી PIL નકારવામાં આવી છે. અરજી પર સુનાવણી કરવાનો હાઈકોર્ટ દ્વારા ઈન્કાર કરવામાં આવ્યો છે. સાથે જ આ વિવાદ માટે ઈલેક્શન પિટિશન ફાઈલ કરવા ટકોર કરાઈ છે. અરજીમાં મતદારો મતદાનની વંચિત રખાયાનો મુદ્દો ઉઠાવાયો હતો. મહત્વનું છે કે, સુરતથી કોંગ્રેસના ઉમેદવાર કુંભાણીના ફોર્મમાં ટેકેદારોની સહી મિસમેચ થતા અને ટેકેદારો રહસ્યમય રીતે ગાયબ થતા ફોર્મ રદ થયું હતું. જે બાદ અન્ય ઉમેદવારોએ પણ ઉમેદવારી પાછી ખેંચતા ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. જે બાદ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધી છે. સુરત ભાજપાના ઉમેદવાર બિન હરીફ જાહેર થવા અંગેની જાહેરહિતની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે જાહેર હિતની અરજી સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. સુરતના અરજદાર ભાવેશ પટેલે જાહેરત હિતની અરજીમાં દાવો કર્યો હતો કે સુરતમાં મતદારોને નકારાત્મક મતનો વિકલ્પ અપાયો નથી. મતદારોને નોટાના અધિકારીથી વંચિત રખાયા છે. આ કારણે અરજદારે ભાજપના ઉમેદવારને બિન હરીફ કરવાના નિર્ણયને રદબાતલ કરવા માંગ કરી હતી. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના બિનહરીફ જાહેર કરવી દેવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી અરજીની સુનાવાણી કરવા હઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા આગ્રવાલની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં ઈન્કાર કર્યો હતો. હાઈકોર્ટે આ બાબતે કહ્યું કે, બિનહરીફ જાહેર થયેલ ઉમેદવારને પણ મતગણતરીની પ્રક્રિયા મારફતે ચુંટાયેલા ઉમેદવાર સમાન જ ગણાય. આ અરજી જાહેરહિતની અરજીના નિયમોમાં આવતી નથી. હાઈકોર્ટે અરજદારને ટકોર કરી કે, આ માટે ઈલેક્શન પીટિશન દાખલ કરો. તેને પીઆઈએલ તરીકે સ્વીકારાશે નહિ. 

કોંગ્રેસે કુંભાણીને કર્યા સસ્પેન્ડ
ગત અઠવાડિયે કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા. કોંગ્રેસ શિસ્ત સમિતિએ લાંબી ચર્ચા બાદ આ નિર્ણય લીધો છે. પૂરતો સમય આપ્યો હોવા છતાં નિલેશ કુંભાણીએ કોઈ ખુલાસા કર્યા નથી તેવુ શિસ્ત સમિતિએ જણાવ્યું. સમિતિએ જણાવ્યું કે, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવું એકમ નસીબ ઘટના છે. ફોર્મ રદ થવા અંગે નિલેશ કુંભાણીએ સંપૂર્ણ નિષ્કાળજી દાખવી છે. ભારતીય જનતા પાર્ટી સાથે તેમનું મેરાપીપણું દેખાયું. કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સ્પષ્ટતા માટે સમય આપ્યો હોવા છતાં નિલેશ કુંભાણી ગાયબ થઇ ગયા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news