CAAના સમર્થમાં ગાંધી આશ્રમ ખાતે યોજાઈ રેલી, સીએમ સહિત અનેક લોકો જોડાયા

CAA ના દેશવ્યાપી વિરોધ બાદ સરકારની વ્હારે વધુ એકવાર RSS મેદાનમાં. RSS સાથે જોડાયેલા પ્રબુદ્ધ નાગરિકોની નાગરિક સમિતિઓ સમગ્ર રાજ્યમાં યોજી CAAના સમર્થનમાં રેલીઓ. તમામ જિલ્લામથકો પર યોજાયેલી રેલીઓમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપ પ્રમુખ સહિત મંત્રીઓ અને હોદેદારો નાગરિકો સાથે મોટી સંખ્યામાં જોડાયા. 
 

CAAના સમર્થમાં ગાંધી આશ્રમ ખાતે યોજાઈ રેલી, સીએમ સહિત અનેક લોકો જોડાયા

બ્રિજેશ દોશી/અમદાવાદઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત સાબરમતી આશ્રમ ખાતે નાગરિક સમિતિના નેજા હેઠળ સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટ માટે કાર્યક્રમ યોજાયો હતો. બિનરાજકીય મંચ પરથી યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પૂર્વ લોકાયુક્ત જસ્ટિસ સોની  ઉપસ્થિત રહી દેશના નાગરિકોને CAA કાયદા અંગે જાગૃતિ લાવવા આહવાન કર્યું હતું. તો સાથે જ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં હિન્દૂ લઘુમતીઓ પર થતા ધાર્મિક અત્યાચારના કારણે આ અધિનિયમના સમર્થનમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

કેન્દ્રની મોદી સરકારે આઝાદીના 70 વર્ષ બાદ નાગરિકતા સંશોધન અધિનિયમ લોકસભા અને રાજ્ય સભામાં બહુમતીના જોરે પસાર કર્યા બાદ કોંગ્રેસ અને વિરોધી પક્ષો દ્વારા ઠેર ઠેર CAA કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વિરોધની આગને ઠારવા અને દેશની જનતાને આ કાયદા વિશે સાચી માહિતી આપવા યોજાયેલા કાર્યક્રમમાં પાકિસ્તાનમાંથી વિસ્થાપિત થઈને આવેલા 200 જેટલા હિંદુ પરિવારોનું સ્વાગત કરાયું હતું.

આ કાર્યક્રમમાં આવેલા નાગરિકોને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આજે કેટલાક લોકોથી મોદી સરકારની સારી કામગીરી સહન થતી નથી. જેના કારણે દેશને તોડવાનું કામ કરી રહ્યાં છે. કોંગ્રેસ, ડાબેરીઓ અને મમતા બેનરજી પોતાની વોટબેંકની રાજનીતિ માટે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ તેના ચૂંટણી ઢઢેરામાં રામ મંદિર, 370, ત્રિપલ તલાક, CAA અને NRC લાગુ કરવાની વાત કરી હતી. તેના આધારે જનતાએ ભાજપને 303 બેઠકો આપી હતી. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દેશના રસ્તા પર ઉતરી જાતિવાદ ફેલાવાનો પ્રયાસ કરે છે. ભારતમાં મુસ્લિમ સુખી છે એટલા માટે તેમની વસ્તી વધીને 14 ટકા પહોંચી છે. જ્યારે પાકિસ્તાનમાં 22 ટકા હિન્દૂ હતા જે ઘટીને 3 ટકા રહ્યા છે કારણ કે ત્યાં તેમના પર અત્યાચારો અને બળાત્કાર થાય જેના કારણે તેઓ ભારત આવે છે.

CAA કાયદા ને લઈ જે રીતે વિપક્ષ મોદી સરકારને ઘેરી રહ્યો હતો તેવા સમયે વિશ્વની સૌથી મોટી પાર્ટીનું સંગઠન લોકો સુધી સરકારની વાત પહોંચાડી શક્યું નહીં. જેના કારણે RSSએ મેદાને આવવું પડ્યું. સમગ્ર ગુજરાતમાં આજે યોજાયેલી રેલીઓ નાગરિક સમિતિઓ વડપણ હેઠળ યોજાઈ જેમાં મોટાભાગના લોકો RSS સાથે જોડાયેલા છે અને આ રેલીઓને ભાજપ અને સરકારે સમર્થન આપ્યું. આમ વધુ એકવાર RSS એ મેદાને ઉતરી સરકારની નીતિઓનો બચાવ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news