નવરાત્રિ યોજવા મુદ્દે આમને-સામને થયા તબીબો અને કલાકારો, સામસામે આક્ષેપબાજી થઈ

નવરાત્રિ યોજવા મુદ્દે આમને-સામને થયા તબીબો અને કલાકારો, સામસામે આક્ષેપબાજી થઈ
  • અમદાવાદ મેડિકલ એસોસિએશને (AMA) સરકારને પત્ર લખીને મંજૂરીઓ ન આપવા માંગ કરી.
  • એએમએના પત્ર બાદ જાણીતા નિર્દેશક અભિલાષ ઘોડાએ તબીબોની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા અને તેમને લૂંટારા ગણાવ્યા

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં નવરાત્રિ (Navratri) ના પર્વ પર ગરબા થવા અંગે હવે નવો વિવાદ શરૂ થયો છે. એક તરફ સરકાર ગરબા આયોજન અંગે મંજૂરી આપવા વિચારણા કરી રહી છે, ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશને (AMA) સરકારને પત્ર લખીને મંજૂરીઓ ન આપવા માંગ કરી છે. એસોસિએશનને ડર છે કે, જો ગરબા આયોજનોને મંજૂરી આપવામાં આવશે તો કોરોના સંક્રમણનો રાફડો ફાટશે અને મનોરંજન માટે આયોજનોને મંજૂરી આપવાની જરૂર નથી. એએમએના પત્ર બાદ જાણીતા નિર્દેશક અભિલાષ ઘોડાએ તબીબોની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા અને તેમને લૂંટારા ગણાવ્યા. જેના કારણે આ વિવાદ વધુ વકર્યો. અભિલાષ ઘોડા (abhilash ghoda) નો દાવો છે કે, ગરબા આયોજન એ મનોરંજન નથી પણ તેની સાથે ઘણા લોકોની રોજીરોટી જોડાયેલી છે. તેવા સંજોગોમાં ગરબા આયોજનને મંજૂરી મળવી જોઈએ, પરંતુ મર્યાદિત સંખ્યામાં. અભિલાષ ઘોડાના નિવેદન બાદ તબીબો અને કલાકારો આમને સામને આવી ગયા છે. 

અભિલાષ ઘોડાની માંગણી 
હું સમગ્ર ડોક્ટરી આલમનો વિરોધ નથી કરતો. જે લોકો તેમની જવાબદારી અને ફરજ ન હોવા થતા સરકારને પત્ર લખ્યો છે, તેવા લોકોને ટાંકીને લખ્યો છે. તેથી સમગ્ર ડોક્ટરી આલમ આ પાઘડી પોતાના માથા પર ન પહેરે. એકમાત્ર કલાજગત એવુ છે જે સૌથી પહેલા બંધ થયું છે અને હજી સુધી ખૂલ્યુ નથી. તમામ વેપાર ધંધા ખૂલી ગયા છે. પરંતુ ઓડિટોરિયમ બંધ છે. લગ્નમાં સંગીત સંધ્યા થતી નથી, કાર્યક્રમો યોજાઈ નથી રહ્યાં. કોઈ તહેવારોમાં કલાકારો કામ નથી રહ્યાં. નવરાત્રિમાં પણ ધુંધળુ દેખાઈ રહ્યું છે. એવામાં બળતામાં ઘી નાંખવાનુ કામ આ પ્રકારના એસોસિયેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. અમે મોટા આયોજનને સમર્થન નથી કરતા. મોટા આયોજકોએ સ્પષ્ટ ના પાડી દીધી છે. સરકાર 25 ટકા અને મહત્તમ મર્યાદામાં પરમિશન આપે તો ગુજરાતી અનેક કલાકારોની ટીમ પણ તેમાં સચવાઈ જશે. બીજા અન્ય વ્યવસાયકારોને પણ કામધંધો મળશે. 

અભિલાષભાઈ તબીબોની માફી માંગે 
અમદાવાદ મેડિકલ એસોસિયેશનના સેક્રેટરી ડો. વસંત પટેલ રોગચાળામાં મોટા પ્રોગ્રામથી વધારો થઈ ગયો છે. અમે નિયમ બનાવનારા નથી. એસોસિયેશને સજેશન મૂક્યું છે કે, મોટા કાર્યક્રમથી સંક્રમણમાં વધારો થઈ શકે છે તેવું અમારું માનવું છે. છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાત અને ભારતમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સંક્રમણથી કલાકાર, નાસ્તાવાળો, આવનારા લોકોને પણ સંક્રમણ થશે. સંક્રમણ કોઈને ઓળખીને થતુ નથી. વાયરસને એવી ખબર પડતી નથી કે, કોઈ બેકાર છે તો તેની પાસે ન જવું. છૂટછાટ કેવી રીતે આપવી, એસઓપી કેવી રીતે બનાવવી તે સરકારનો નિર્ણય છે. અભિલાષભાઈએ કહ્યું કે, ડોક્ટરો લૂંટે છે તે ખોટું છે. તો તમે સમગ્ર ડોક્ટર આલમને કહી દો કે, હું એ માટે સોરી કહુ છું. હું એ ચારથી પાંચ તબીબોનો વિરોધ કરુ છું. સમગ્ર તબીબ આલમને તેમાં આવરી લેવાની જરૂર ન હતી. 

નવરાત્રિનો તહેવાર નજીક આવે છે ત્યારે ગરબાના આયોજન મામલે અવઢવ યથાવત છે. નાયબ મુખ્યમંત્રીના નિવેદન બાદ ચર્ચા ચાલી હતી કે નવરાત્રિના આયોજનને મંજૂરી મળી છે. જો કે આ વચ્ચે તબીબોએ એવું સૂચન કર્યું કે, કોરોના કાળમાં ગરબાને મંજૂરી ન આપવામાં આવે. જેનો ખેલૈયાઓ અને કલાકારો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ZEE 24 કલાકે વિવિધ જિલ્લાના કલાકારો સાથે વાત કરી તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો.

ગુજરાતમાં કોરોનાકાળમાં ગરબાના આયોજન પર ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે મોટા સમાચાર એ પણ સામે આવ્યા કે, સંતો પણ ગરબાનું આયોજન મોકૂફ રાખવાના પક્ષમાં છે. ZEE 24 કલાક સાથેની વાતમાં મહંત અખિલેશ્વરદાસજી મહારાજે કહ્યું કે, નવરાત્રિમાં ગરબાનું આયોજન મોફૂક રાખવું જોઈએ. ગરબા અને માતાજીની ઉપાસના વચ્ચે કોઈ લેવા દેવા નથી. નવરાત્રિ માતાજીની ઉપાસનાનું પર્વ છે. તેથી કોરોનાના કારણે સાદગીથી આયોજન થવું જોઈએ.

કચ્છમાં ગરબા આયોજકોએ ગરબાનું આયોજન નહીં કરવોનો નિર્ણય લીધો છે. કોરોનાના વધતા કેસના કારણે ગરબામાં ભીડ થવાની ભીતિ હોવાથી કોઈ આયોજકો રિસ્ક લેવા માગતા નથી. જ્યાં મોટા ગરબાનું આયોજન થાય છે, ત્યાં 5 થી 8 હજાર ખેલૈયાઓ હોય છે. આયોજકોનું કહેવું છે કે ખેલૈયાઓની જવાબદાર સરકાર આયોજકો પર નાંખશે તો ગરબા નહીં કરવામાં આવે. 8 હજારની પબ્લિક વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ શક્ય નથી. માસ્ક સાથે ગરબા રમાડવામાં આવે તો પણ મેડિકલ સાયન્સ મુજબ અનુરૂપ નથી.

અરવલ્લીના મોડાસામાં સાદાઈથી નવરાત્રિ મહોત્સવ ઉજવવા આયોજકો દ્વારા નિર્ણય લેવાયો છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે રામપાર્ક, કલ્યાણ ચોક, કુમકુમ પાર્ટી પ્લોટ સહિતના સ્થળોએ યોજાતી નવરાત્રિ મહોત્સવ નહિ યોજાય. એક તરફ ખેલૈયાઓમાં ઉત્સાહ અને બીજી તરફ આયોજકો ગરબા ન યોજવાના મૂડમાં છે. આ વર્ષે નવરાત્રિને કોરોનાનું સંક્રમણ લાગતા ખેલૈયાઓ મૂંઝવણમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news