પત્નીની હત્યા કરી પતિ આખી રાત લાશ પાસે બેસી રહ્યો, 25 દિવસે ખૂલ્યો હત્યાનો ભેદ

valsad latest news : વલસાડમાં 25 દિવસ પહેલા મળેલી મહિલાની લાશનો ભેદ આખરે પોલીસે ઉકેલી કાઢ્યો, મહિલાનો પતિ નીકળ્યો અસલી હત્યારો

પત્નીની હત્યા કરી પતિ આખી રાત લાશ પાસે બેસી રહ્યો, 25 દિવસે ખૂલ્યો હત્યાનો ભેદ

Valsad Latest News ઊમેશ પટેલ/વલસાડ : વલસાડ ના માલવણ ગામ ખાતે થી 23 દિવસ પહેલા મળેલી અજાણી મહિલાની લાશનો ભેદ વલસાડ જિલ્લા પોલીસે ઉકેલી કાઢ્યો છે. મહિલાના પતિ દ્વારા જ મહિલાની હત્યા કરાઈ હતી. પતિએ પત્નીની લાશ પાસે આખી રાત વિતાવી હતી. બાદમાં ત્યાં જ મહિલાની લાશ મૂકી ફરાર થઇ ગયો હતો. પોલીસે ટેકનિકલ એનાલિસિસની મદદથી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

વલસાડ નજીક કાંઠાના ગામ માલવણ કરદીવા ફળિયા ભાગલ રોડ ઉપર ધીરૂભાઇ ભુલાભાઇ પટેલની બંજર જમીનમાં 1 ડિસેમ્બર 2022ના રોજ એક મહિલાની ડિકમ્પોઝ્ડ હાલતમાં હાડપિંજર જેવી લાશ મળી આવી હતી. જેની જાણ ડુંગરી પોલીસની ટીમને કરવામાં આવી હતી. ડુંગરી પોલીસની ટીમે મૃતદેહનો કબજો કરી વધુ તપાસ હાથ ધરી હતી. જે બાદ નવસારી ખાતે રહેતા નરેન્દ્રગિરી ગોસ્વામીએ ડુંગરી પોલીસ સ્ટેશનમાં પહોંચી મહિલાના મતૃદહે પર મળેલા કપડાં ઓળખી કાઢ્યા હતા. તેણે મહિલાનો પતિ હોવાનો દાવો કર્યો હતો. જે બાદ મહિલાના માતાપિતાને પોલીસ સ્ટેશન બોલાવી મહિલાની માતાના DNA સેપમ્પલ લેવાયા હતા. સુરત ખાતે સેમ્પલ મોકલાવતા મહિલાની ઓળખ સાબિત થઈ હતી. મહિલા મૂળ ગણદેવી તાલુકાના ધોલાઇ સલાબેટ ફળિયામાં રહેતી જીમીશા તુલસીદાસ ટંડેલ હોવાનું ખૂલ્યું. જેનો પ્રથમ પતિ દિવ્યેશ ઉર્ફ પિન્કેશ નરેશભાઇ ટંડેલ હોવાનું તેણે જણાવ્યું. દિવ્યેશ તેણીને મારઝુડ કરતો હતો. જેને લઇ છેલ્લા 1 વર્ષથી જીમીશા પ્રથમ પતિ દિવ્યેશને છોડીને જલાલપોર નવસારીના એરૂચાર રસ્તા પર એલડી કોમ્પલેક્સમાં રહેતા યુવાન જયગીરી નરેન્દ્રગીરી ગોસ્વામી સાથે પ્રેમસંબંધ બંધાતા પત્ની તરીકે રિલેશનશીપમાં રહેવા ચાલી ગઇ હતી. જેને લઇ પ્રથમ પતિ દિવ્યેશ તેની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું.

વલસાડ નાની દાંતી ખાતે રહેતા દિવ્યેશ દ્વારા તેની પત્ની જીમીશાને મારઝૂડ કરાતી હતી. તેની પત્ની એક વર્ષ પહેલાં નવસારીના જયગીરી સાથે પ્રેમ થતા દિવ્યેશને છોડી જતી રહી હતી. જે બાદ માલવણ ગામ ખાતે જીમીશાના પહેલા પતિ દિવ્યેશ દ્વારા 6-11-2022  જીમીશાને મળવા બોલાવી હતી. જે બાદ દિવ્યેશ જીમીશાને સુમસાન જગ્યા ઉપર લઈ ગયો હતો. તેણે દોરીથી જીમીશાનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. જે બાદ જીમીશાની લાશ સાથે આખી રાત વિતાવી હતી. બાદ વહેલી સવારે લાશ ત્યાં ફેંકી માછીમારી કરવા માટે દિવ્યેશ નીકળી ગયો હતો.

પોલીસે સમગ્ર ઘટનામાં ઊંડાણપૂર્વક તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. દિવ્યેશને પોતાની પત્ની અન્ય સાથે રહે તે પસંદ ન હતું. જેને લઈ દિવ્યેશ દ્વારા વારંવાર પત્નીને સમજાવવાના પ્રયત્નો તથા જયગીરી ગોસ્વામીને તથા જીમીશાના માતા પિતાને વારંવાર જયગીરી અને જીમીશાને મારી નાંખવાની ધમકી આપી હતી. હાલ પોલીસે દિવ્યેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.  

પોતાની પત્ની સાથે મારઝુડ કરતા દિવ્યેશે પોતાની પત્ની અન્ય ઈસમ સાથે રહેતા ન જોઈ શકતા એ વાતનો ગુસ્સો રાખ્યો હતો. તેણે પત્નીને મળવાના બહાને બોલાવી હતી અને મોતના ઘાટ ઉતારી હતી. સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા હત્યારો પતિ પકડાઈ ગયો છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news