પાવાગઢના જંગલમાં મળી લાશ, પોસ્ટમોર્ટમ કરવા પહાડ પર ચઢ્યા ડોક્ટરો

પાવાગઢના જંગલમાં મળી લાશ, પોસ્ટમોર્ટમ કરવા પહાડ પર ચઢ્યા ડોક્ટરો
  • હાલોલનો યુવક 11 જુલાઈએ રહસ્યમય સંજોગોમાં પાવાગઢ જંગલથી ગુમ થયો હતો
  • મિત્રો સાથે ફરવા ગયેલા યુવકની લાશ આઠ દિવસ બાદ જંગલમાંથી મળી આવી 

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :પાવાગઢ ખાતે વડોદરાના કેટલાક યુવકો ફરવા ગયા હતા. જેમાંનો એક યુવક રહસ્યમ સંજોગોમાં જંગલોમાંથી ગુમ થયો હતો. ત્યારે આજે આઠ દિવસ બાદ ખૂનીયા મહાદેવના ધોધ પાસેથી તેનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે ડોક્ટર દ્વારા મૃતદેહનું પેનલ કરીને પરિવારજનોની હાજરીમાં જ જંગલમાં ઘટના સ્થળે તેની અંતિમ વિધિ કરાઈ હતી. રહસ્યમય ઘટનાના પગલે યુવકના મોતને લઈ અનેક અટકળોએ સ્થાન લીધું છે.

11 તારીખે પાવાગઢ ફરવા ગયો હતો વિજય 

હાલોલના પાવાગઢ (pavagadh) રોડ પર આવેલ નવરંગ કોલોનીમાં રહેતા શાંતિલાલ બાબુલાલ સોલંકીનો 20 વર્ષીય પુત્ર વિજય સોલંકી બાસ્કા ગામે આવેલ રોકમેન કંપનીમાં નોકરી કરતો હતો. ગત તારીખ 11 જુલાઈના રોજ સવારના સુમારે વિજય પોતાના પિતાને ‘હું પાવાગઢ ખાતે દર્શન કરવા મિત્રો સાથે જવું છું...’ તેમ કહી ઘરેથી નીકળ્યો હતો. ત્યાર બાદ મોડી રાત સુધી વિજય દર્શન કરી ઘરે પરત ન આવતાં વિજયના ભાઈ વિપુલે તેના મોબાઈલ પર ફોન કર્યો હતો. જેમાં ફોન ઉઠાવનાર ઈસમે  ‘હું સુભાષ બોલું છું...’ તેમ કહ્યું હતું અને થોડી ક્ષણમાં ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો. આ કારણે પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા અને પાવાગઢ ખાતે વિજયની શોધમાં પહોંચ્યા હતા. જ્યાં લાંબી શોધખોળના અંતે પાવાગઢ ખાતેથી વિજયનો પત્તો ન મળી આવતા હાલોલ સહિત આસપાસના વિસ્તારોમાં સમગ્ર રાત્રિ દરમિયાન તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ વિજય ન મળી આવ્યો હતો.

બીજા દિવસે તેનો ભાઈ વિજય સાથે રોકમેન કંપનીમાં કામ કરતા સુભાષ કે જેણે વિજયનો ફોન રિસીવ કર્યો હતો તેની પાસે રોકમેન કંપની ખાતે ગયો હતો. તેમજ તેની સાથે પાવાગઢના ગયેલા મિત્રોની પૂછપરછ કરતા સુભાષ સહિત અન્ય મિત્રોએ જણાવ્યું હતું કે અમે લોકો યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ માચી બસ સ્ટેન્ડ પાસે રોડ પર હતા ત્યારે સિક્યુરિટી ત્યાં આવી પહોંચતા અમે ત્યાંથી છૂટા પડી ગયા હતા. આ સમયે વિજયનો ફોન અમારી પાસે રહી ગયો હતો. જેમાં વિજયના પિતા શાંતિલાલ સહિત પરિવારજનો સુભાષ સહિત અન્ય મિત્રોને સાથે રાખી પાવાગઢ ખાતે ફરી એકવાર વિજયની શોધવા પહોંચ્યા હતા. વિજયની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ વિજયનો પત્તો ન લાગતા તેની સાથે પાવાગઢ દર્શને ગયેલા સુભાષ સહિત તેના મિત્રોને સાથે રાખી પાવાગઢ પોલીસ મથકે પહોંચી પોતાનો પુત્ર  11મી જુલાઈથી પાવાગઢ ખાતેથી ગુમ થયા અંગેની ફરિયાદ કરાઈ હતી. 

આ દરમિયાન ઘટનાના પાંચ દિવસ બાદ ગુમ વિજયનો મૃતદેહ ખૂનીયા મહાદેવના ધોધ વચ્ચે પથ્થરોમાં વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે વિજયના મૃતદેહનું ઘટના સ્થળેજ પેનલ ડોક્ટરને બોલાવી પીએમ કરાવ્યું હતું. મૃતદેહ કહોવાયેલો હોવાથી ઘટના સ્થળે જ તેના અંતિમ સંસ્કાર કરાયા હતા. 

No description available.

પરંતુ વિજય સાથે પાવાગઢ ફરવા ગયેલા અન્ય ત્રણ મિત્રો કોણ હતા, આ ઘટનામાં તેમની શું ભૂમિકા હતી, વિજય કયા સંજોગોમાં ગુમ થયો હતો, વિજયનો મોબાઈલ અન્ય મિત્ર પાસે કેવી રીતે આવ્યો, માચી ખાતે પહોંચેલા ચાર મિત્રો સાથે ખરેખર શું ઘટના બની તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. 

ખૂનીયા મહાદેવના ધોધ પર જવા તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવી રસ્તો બંધ કરી પોલીસ પોઇન્ટ મુકાયો છે. ધોધ સુધી જવા બે કિલોમીટર સુધીનો રસ્તો ઘોર જંગલમાંથી પસાર થાય છે. જંગલમાં જંગલી જાનવરો વસે છે. તંત્ર દ્વારા ફોટા સહિતના બોર્ડ લગાવાયા છે. તેમ છતાં પાવાગઢ આવતા મોટાભાગના યાત્રાળુઓ જીવના જોખમમાં મૂકી ખૂનીયા મહાદેવના ધોધમાં નહાવા જાય છે. ખૂનીયા મહાદેવના ધોધમાં યાત્રાળુઓ ફસાઈ જવાની છાશવારે ઘટનાઓ બને છે. તંત્રની બેદરકારીના લીધે સર્જાતી દુર્ઘટનાઓમાં નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news