ગુજરાતના આ મંદિરમાં મળે છે ભજીયા-જલેબીનો પ્રસાદ, જેને ખાઈને બીમારી આસપાસ પણ નથી ભટકતી તેવી માન્યતા છે

ગુજરાતના આ મંદિરમાં મળે છે ભજીયા-જલેબીનો પ્રસાદ, જેને ખાઈને બીમારી આસપાસ પણ નથી ભટકતી તેવી માન્યતા છે
  • આ વર્ષે પણ કોરોનાની ત્રીજી લહેરના ડરને કારણે વાંકાનેરનો મેળો ન યોજાતા જલેબી-ભજીયાની પ્રથા પણ તૂટી 
  • પરંતુ રાતની મહા આરતીમાં વાંકાનેર અને આસપાસના ગામોમાંથી માનવ મહેરામણ ઉમટ્યું 

હિમાંશુ ભટ્ટ/મોરબી :મેળા તો તમે ઘણા જોયા હશે પરંતુ જલેબી-ભજીયાનો મેળાઓ તમે જોયો નહિ જ હોય... જો કે આવો મેળો માણવો હોય તો મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે જવું પડે. કેમ કે ત્યાં વાંકાનેર રાજ્યના રાજ પરિવારના ગુરૂ એવા નાગાબાવાના મંદિરે શ્રાવણ વદ નોમની રાતે આરતી યોજાઇ છે. જેના બાદ જલેબી ભજીયાનો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે. ત્રણ દિવસનો આ મેળો હોય છે. જો કે, હાલમાં કોરોના મહામારીની ત્રીજી લહેરને ધ્યાને રાખીને આ વર્ષે મેળો બંધ રાખવામાં આવેલ છે. પરંતુ રાતની મહા આરતીમાં વાંકાનેર અને આસપાસના ગામોમાંથી માનવ મહેરામણ ઉમટ્યું હતું છે. 

ભક્તોને પ્રસાદમાં અપાય છે જલેબી અને ભજીયા 
જલેબીને ભજીયાનો મેળો આ સાંભળીને જ કોઇપણ વ્યક્તિને નવાઇ લાગે, પરંતુ આ વાત સો ટકા સાચી છે. મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલ નાગાબાવાના મંદિર ખાતે દર શ્રાવણ મહિનામાં નોમની રાતથી ત્રણ દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં મહા આરતી પછી ભક્તોને જલેબી અને ભજીયાનો પ્રસાદ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે, વાંકાનેરના ઇતિહાસ સાથે નાગાબાવા, શાહબાવા અને વનમાળીદાસ આ ત્રણ સંતોનો ઈતિહાસ જોડાયેલા છે અને નાગાબાવાને વાંકાનેરના રાજાએ ગુરુ બનાવ્યા હતા અને વાંકાનેર વસ્યું તેમાં નાગાબાવાના આશીર્વાદ છે.

No description available.

સાધુએ ચીપિયો ફેંક્યો હતો ત્યાં મીઠો વીરડો બન્યો હતો 
એવુ પણ કહેવામાં આવે છે કે વાંકાનેરમાં નાગાબાવા અને શાહબાવા ગઢીયા ડુંગરમાં પૂર્ણ કુટીર બનાવી રહેતા હતા. એક દિવસ ધાંગધ્રા સ્ટેટના 151 ઘોડેસવારો સાથે રાજકુમાર આવ્યા હતા અને તેમની કુટિરમાં આશરો લીધો હતો. ત્યારે નાગાબાવાએ એક થાળીમાં રહેલ લાડવા અને ગાંઠીયા પર ખપ્પર ઢાંકી બધાં લોકોને ભરપેટ જમાડ્યા હતા. તેમણે પાણી પીવા માટે ચીપિયાનો જ્યાં ઘા કર્યો હતો, અને ચીપિયો જ્યાં પડ્યો ત્યાં અમૃત નામનો વિરડો બન્યો હતો. જ્યાં બધાએ પાણી પીધું. આજે પણ આ વીરડો ગઢીયા ડુંગરમાં છે અને મીઠું પાણી આજે પણ મળી રહ્યું છે. 

No description available.

ત્રીજી લહેરના ડરથી આ વર્ષે મેળો નહિ યોજાય
પૌરાણિક મેળો હોવાથી ન માત્ર મોરબી કે વાંકાનેરના જ લોકો, પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ઘણા લોકો જલેબી ભજિયાનો મેળો માણવા માટે વાંકાનેર આવે છે. વષો પહેલા જે જગ્યાએ નાગાબાવાએ જીવતા સમાધિ લીધી હતી તે જગ્યાએ જ હાલમાં નાગાબાવાનું મંદિર આવેલું છે અને તે મંદિરના લાભાર્થે જ આ મેળાનું આયોજન કરવામાં આવે છે. જો કે, આ વર્ષે કોરોનાની ત્રીજી લહેરની આગાહી હોવાથી મેળાને બંધ રાખવામાં આવ્યો છે. આમ વાંકાનેરના ઇતિહાસ સાથે નાગાબાવાનો ઈતિહાસ જોડાયેલો છે અને નાગાબાવાએ નોમના દિવસે જીવતા સમાધિ લીધી હોવાથી તે દિવસે તે સમયથી દર વર્ષે વાંકાનેર ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને નોમની રાત્રે બાર વાગ્યે મહાઆરતી બાદ હજારો લોકો મંદિરે ભજીયા અને જલેબીનો પ્રસાદ લેવા માટે આવે છે. જેના પાછળનું મુખ્ય કારણ એ છે કે, નાગાબાવાએ તે સમયે રાજાને કોલ આપ્યો હતો કે જે લોકો આ પ્રસાદ લેશે તે નિરોગી રહેશે. તેથી વાંકાનેર તેમજ આસપાસના વિસ્તારના લોકો આ મેળાનો લાભ લેતા જ હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news