સુરત શહેર પરથી પૂરનું સંકટ ટળ્યું, ઉકાઈ ડેમની સપાટી ઘટી

ગુજરાતમાં પહેલા ગુલાબ અને બાદમાં શાહીન વાવાઝોડા (cyclone shaheen) ની અસરથી ભારે વરસાદ વરસી ગયો છે. ત્યારે આજના લેટેસ્ટ આંકડા પર નજર કરીએ...

સુરત શહેર પરથી પૂરનું સંકટ ટળ્યું, ઉકાઈ ડેમની સપાટી ઘટી

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં પહેલા ગુલાબ અને બાદમાં શાહીન વાવાઝોડા (cyclone shaheen) ની અસરથી ભારે વરસાદ વરસી ગયો છે. ત્યારે આજના લેટેસ્ટ આંકડા પર નજર કરીએ તો, રાજ્ય (gujarat rain) માં છેલ્લા ૨૪ કલાકમાં 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, દ્વારકા અને કચ્છના લખપતમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો સુરેન્દ્રનગરના ચોટીલા અને થાનગઢમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 15 તાલુકામાં જ 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 

આ પણ વાંચો : નર્મદા નદીમાં ચમત્કાર થયો, રામાયણની જેમ મહાકાય તરતો પથ્થર આવ્યો

તાપી પર પૂરનું સંકટ ટળ્યુ
તાપી અને સુરત (Surat) જિલ્લા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉકાઈ ડેમ (ukai dam) ના કેચમેન્ટ એરિયામાં વરસાદનું જોર ઘટતા પાણીની આવકમાં ઘટાડો થયો છે. હાલ ડેમના ઉપરવાસમાંથી 1,40,083 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તો સામે ડેમમાંથી 70,248 ક્યુસેક પાણીની જાવક છે. ડેમના 22 ગેટ પૈકી હવે માત્ર 6 ગેટ 4 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 342.59 ફૂટ છે. જે ડેમની ભયજનક સપાટી 345 ફૂટથી 3 ફૂટ નીચે છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા સુરત શહેર પરથી પૂરનું સંકટ ટળ્યું.

મચ્છુ ડેમ-2 95 ટકા ભરાયો
મોરબીનો મહાકાય મહાકાય મચ્છુ-૨ ડેમ 95 ટકા ભરાઈ ગયો છે. જેને કારણે મોરબી અને માળીયાના ૩૧ ગામોને એલર્ટ કરાયા છે. મચ્છુ-1 ડેમ બુધવારે સાંજથી ઓવરફ્લો હોય પાણીની આવક સતત ચાલુ છે. હાલમાં પાણીની આવક, વરસાદ ન હોવા છતા ડેમ છલકાયો છે. જેથી આજે બપોરના 11.30 વાગ્યા સુધીમાં ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે. મોરબી જિલ્લાનો મહાકાય મચ્છુ-1 ડેમ બુધવારે સાંજથી ઓવરફ્લો થઈ રહ્યો છે. છેલ્લા દિવસથી પડી રહેલા વરસાદના લીધે ડેમમાં નવા નીરની આવક સતત વધી રહી છે. મચ્છુ-1 ડેમ ઓવરફ્લો થયાના દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. હાલમાં પણ ઉપરવાસથી ડેમમાં પાણીની આવક ચાલુ હોય ડેમ ઓવરફ્લો થવાનો ચાલુ છે. 

શેત્રુજી ડેમમાં પાણીની આવક ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો
ભાવનગર જિલ્લાના જીવાદોરી શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા ડેમના તમામ દરવાજા 16 ઇંચ બંધ કરાયા છે. અગાઉ ડેમના 59 દરવાજા 5.1 ફૂટ ખોલી પાણી છોડવામાં આવ્યું હતું. હાલ પણ શેત્રુંજી ડેમમા 41890 ક્યુસેક ઉપરવાસના પાણીની આવક ચાલુ છે. ડેમના તમામ 59 દરવાજા 3.9 ઇંચ ખુલ્લા રાખી 41890 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news