આજથી 3 દિવસ આખા ગુજરાતમાં ડાયાલિસીસ નહિ થાય, હળતાળ પર ઉતર્યા ડોક્ટરો

dialysis update : આજથી 3 દિવસ સુધી ડાયાલિસિસની કામગીરી બંધ... રાજ્યભરના નેફ્રોલોજિસ્ટ 3 દિવસની હડતાળ પર.. રાજ્યમાં PMJAY હેઠળ ચાલતા ડાયાલિસિસ સેન્ટર બંધ... ડાયાલિસિસના 2 હજારથી ઘટાડી 1650 રૂપિયા કરતા વિરોધ.. PMJAY માટે NHA ગાઇડ લાઈનમાં 2200ના ચાર્જની જોગવાઈ

આજથી 3 દિવસ આખા ગુજરાતમાં ડાયાલિસીસ નહિ થાય, હળતાળ પર ઉતર્યા ડોક્ટરો

PMJAY અતુલ તિવારી/અમદાવાદ : આજથી રાજ્યમાં PMJAY અંતર્ગત ડાયાલીસીસ બંધ કરાવાયું છે. આગામી ત્રણ દિવસ એટલે કે, 16 ઓગસ્ટ સુધી રાજ્યમાં PMJAY અંતર્ગત ડાયાલિસિસ નહીં કરવામાં આવે. ગઈકાલે નેફ્રોલોજી એસોસિએશન સાથે આરોગ્ય વિભાગની બેઠક નિષ્ફળ રહી છે. PMJAY અંતર્ગત ડાયાલીસીસ માટેની રકમ 2 હજારથી ઘટાડીને 1650 રૂપિયા કરી દેવાતા ડોક્ટરોમાં રોષ વ્યાપી ગયો છે. ત્યારે આ અંગે ગુજરાત નેફ્રોલોજી એસોસિએશન કલેક્ટરને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવશે. નેફ્રોલોજી એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું છે કે, PMJAY અંતર્ગત 1.27 લાખ દર્દીઓ ડાયાલીસીસ કરાવે છે. વર્ષે 1.03 કરોડ ડાયાલીસીસ રાજ્યમાં PMJAY અંતર્ગત થાય છે, જેમાંથી 78 ટકા ખાનગી હોસ્પિટલમાં થઈ રહ્યા છે. ડાયાલીસીસ માટેના દરમાં 8 વર્ષથી વધારો કરાયો નથી, પરંતુ અચાનક 17 ટકાનો ઘટાડો થતા નારાજગી છે. 

PMJAY અંતર્ગત ડાયાલીસીસ કરતા ટ્રસ્ટ તેમજ ખાનગી હોસ્પિટલમાં હડતાળથી સરકાર ચિંતિત બની છે. અમદાવાદમાં આવેલી કિડની હોસ્પિટલના નિયામક દ્વારા રાજ્યના તમામ ડાયાલીસીસ ટેક્નિશિયનને પત્ર લખી સતર્ક કરાયા છે. ગુજરાતના નેફ્રોલોજીસ્ટ ડોકટરોની ત્રણ દિવસીય હડતાળ હોઈ અવિરત ડાયાલીસીસ ચાલુ રાખવા સૂચના અપાઈ છે. તો હડતાળને કારણે દર્દીઓને સમસ્યા ના થાય તે ઉદેશથી જે પણ દર્દીઓ આવે તેમનું ડાયાલીસીસ કરી આપવા કહેવામાં આવ્યું છે. દર્દીઓને તકલીફ ના થાય તેની જવાબદારી લઈ કામગીરી કરવા સૂચિત કરાયા છે. જો હડતાળ લંબાય તો જે તે સમયગાળા સુધી દર્દીઓની સેવામાં કટિબદ્ધ રહેવા આદેશ અપાયો છે. ઉલ્લેખનીય છે કે, નેફ્રોલોજી એસોસિએશન દ્વારા ત્રણ દિવસ સુધી PMJAY અંતર્ગત ડાયાલીસીસ ના કરવા એલાન આપી હડતાળ કરાઈ છે. PMJAY ડાયાલીસીસ અંતર્ગત મળતા 2000 રૂપિયાને બદલે ચાર્જ 1650 કરાતા નેફ્રોલોજી એસોસિએશન નારાજ થયું છે. 

સૌરાષ્ટ્રની 40 હોસ્પિટલોમાં ડાયાલિસીસ બંધ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રની 40 હોસ્પિટલમાં ડાયાલિસિસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજથી ત્રણ દિવસ ડાયાલિસિસ બંધ રહેશે. રાજ્યભરના નેફ્રોલોજિસ્ટ ત્રણ દિવસની હડતાળ પાડી છે. રાજ્યમાં PMJAY હેઠળ ચાલતા ડાયાલિસિસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 16 ઓગસ્ટ સુધી ગુજરાતની તમામ ટ્રસ્ટ, ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસ બંધ રાખવામાં આવનાર છે. PMJAY હેઠળ સારવાર માટે નેફ્રો વિભાગને અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. 8 વર્ષથી ડાયાલિસિસની સારવાર માટે ખર્ચમાં કોઈ વધારો કરાયો નથી, ઉલ્ટાનો ડાયાલિસિસનો દર 17 ટકા ઘટાડીને રૂ. 2000થી 1650 કરાયો છએ. અન્ય રાજ્ય કરતા ગુજરાતમાં દર ઓછા છએ. રાજસ્થાન, છત્તીસગઢ અને અન્ય રાજ્યોમાં 2100 અપાય છે. તેમજ PMJAY માટે NHA ગાઇડલાઈનમાં રૂ.2200 ચાર્જની જોગવાઈ છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 14, 2023

 

આ મુદ્દે નેફ્રોલોજી એસોસિએશનના મીડિયા કન્વીનર ડોક્ટર ઉમેશ ગોધાણીનું કહેવું છે કે, સમગ્ર રાજ્યમાં 900 જેટલા ટ્રસ્ટ અને ખાનગી હોસ્પિટલમાં PMJAY ડાયાલીસીસ થાય છે. છેલ્લા 8 વર્ષથી ડાયાલીસીસના રેટ નહતા વધ્યા, 11 જુલાઈના રોજ રેટ વધારવાને બદલે ઘટાડી દેવાયો છે. અન્ય તમામ સારવારોમાં વધારો અપાયો પણ ડાયાલીસીસનો રેટ ઘટાડી દેવાયો છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં 2100 રૂપિયા ચુકવવામાં આવે છે. આરોગ્ય વિભાગના ACS મનોજ અગ્રવાલ દ્વારા બેઠક માટે કાલે અમને બોલાવવામાં આવ્યા હતા પણ અમને કોઈ ચોક્કસ બાંહેધરી ના મળી એટલે હડતાળ યથાવત રાખી છે. અમને પેન્ડિંગ રકમ બાકી રાખવામાં આવશે એવી ધમકી અપાઈ રહી છે, PMJAY માંથી દૂર કરી દેવાની ધમકી પણ મળી રહી છે. નેફ્રોલોજી એસોસિએશનને AMA, આહના તરફથી સમર્થન મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, PMJAY ડાયાલીસીસ માટે રેટ 2500 કરી આપવામાં આવે તેવી એસોસિએશન દ્વારા માંગ કરાઈ છે. જો ત્રણ દિવસમાં ઉકેલ નહીં આવે તો 120 ડૉક્ટરો અમે PMJAY યોજનામાંથી દૂર થવા તૈયાર છીએ તેવું ડો. ઉમેશ ગોધાણીએ જણાવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news