અમદાવાદની અવદશા! ગોતા-ચાંદલોડિયાનો અંડરપાસ બનાવવામાં કોના પેટમાં દુખાવો ઉપડ્યો!

Ahmedabad Gota Chandalodiya Underpass : પાંચ વર્ષ પહેલા અમદાવાદના ગોતા ચાંદલોડીયા વિસ્તારના અંડરપાસનું મુહૂર્ત નીકળ્યુ હતું, પરંતુ ભાજપના પદાધિકારીઓ અને અધિકારીઓના કારણે આખો પ્રોજેક્ટ અભરાઈએ ચઢી ગયો

અમદાવાદની અવદશા! ગોતા-ચાંદલોડિયાનો અંડરપાસ બનાવવામાં કોના પેટમાં દુખાવો ઉપડ્યો!

Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદની ગણના સ્માર્ટ સિટીમાં થાય છે, પરંતું હાલ આ સ્માર્ટ સિટીની દશા બેસેલી છે. શહેરના હાઈપ્રોફાઈલ વિસ્તારમાં ગણાતો ગોતા વિસ્તાર વિકાસથી આજે પણ વંચિત છે. આ અમે નથી કહી રહ્યાં, આ બુમરાણ છે સ્થાનિકોની. અમે વાત કરી રહ્યાં છીએ અમદાવાદના ગોતા અને ચાંદલોડીયા વિસ્તારની. આ વિસ્તારમાં પાંચ વર્ષ પહેલાં અંડરપાસનું મુહૂર્ત નીકળ્યું હતું, પછી કોણે જાણે કેમ એ કામને રાજકીય ગ્રહણ લાગી ગયું. અધિકારીઓ અને પદાધિકારીઓના પાપે અહીં પ્રજા થઈ રહી છે પરેશાન, જુઓ આ ખાસ અહેવાલમાં...

અમદાવાદમાં ચારે તરફ ઉભા થઈ રહ્યાં છે કોંક્રિંટના જંગલો. અહીં પગ મુકવાની જગ્યા દેખાય ત્યાં બની રહી છે બિલ્ડિંગો. મકાનોના ઉંચા ભાવ આપીને અહીં રહેનારા થઈ રહ્યાં છે પરેશાન. આ છે અમદાવાદનો પોશ ગણાતો ગોતાનો વંદેમાતરમ વિસ્તાર, કે જ્યાં અંડરપાસનુ કામ અટક્યું છે.

લોકસભા 2024ની ચૂંટણી પહેલાં તંત્રને ફરી આ વિસ્તારનો વિકાસ કરવાનું યાદ આવ્યુ અને ફરી રેલવે અંડરપાસનું કામ હાથ પર લેવાનો દાવો કર્યો. એટલું જ નહીં, દોઢ વર્ષમાં કામગીરી પૂરી કરવાની શરતે ટેન્ડર જાહેર થયું. એ વાતને પણ 6 મહિના થયા ખોદાયેલા ખાડા આજે પાણીથી ભરાયેલા છે. 

લોકો મચ્છરોના ત્રાસથી અને હજારો વાહનચાલકો સાંકડા એક રેલવે ફાટકથી પરેશાન થઈ રહ્યાં છે પણ તંત્રને એસજી હાઈવેથી ચાંદલોડીયા વોર્ડના વંદેમાતરમ વિસ્તારને જોડતા આ 100 મીટરના રોડ પર અંડરપાસ બનાવવામાં પેટમાં દુખી રહ્યું છે. એમએમસી અને રેલવે વિભાગ એકબીજાને ખો આપી રહ્યાં છે અને સામાન્ય પ્રજા પિસાઈ રહી છે. 

એએમસીના રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે, જ્યા અંડપાસની મધ્યભાગ આવી રહ્યો છે ત્યારે 900 મીલી મીટરની વિશાળ ડ્રેનેજ લાઇન પસાર થઇ રહી છે, જેને હટાવી શકાય એમ નથી. જેથી કરીને હાલ રેલ્વે વિભાગ સાથે સંકલન કરીને અંડરપાસની ડિઝાઇન અને અલાઇમેન્ટમાં ફેરફાર કરવા માટે નિર્ણય લેવાઇ રહ્યા છે.

હંમેશાની જેમ અહીં પણ પાડાના પાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ બની છે. અર્થાત રાજનેતાઓ અને અધિકારીઓની આડોડાઈને કારણે સ્થાનિક પ્રજાને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. ભાજપનો ગઢ ગણાતા અમદાવાદના ગોતા વિસ્તાર સાથે ભાજપ શાસિત એએમસીના પદાધિકારીઓ અને રેલવેના અધિકારીઓ કેમ કરી રહ્યાં છે અન્યાય? સ્થાનિકોનો અવાજ બનીને અમે પૂછી રહ્યાં છીએ આ સવાલો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news