પ્રાથમિક શાળાઓને ઉચ્ચતર માધ્યમિકમાં મર્જ કરવાની તજવીજ પડતા પર પાટું મારશે..!

એક તરફ કેન્દ્ર સરકાર નવી શિક્ષણ નીતિ લાવી રહી છે તો બીજી તરફ રાજ્ય સરકાર પ્રાથમિક શાળાઓ બંધ કરવાની તૈયારી કરી રહી છે, સરકારના આવા નિર્ણયથી ફાજલ શિક્ષકોની સંખ્યામાં વધારો થશે અને બાળકીઓનો ડ્રોપ-આઉટ રેશિયો વધવાની પણ સંભાવના દેખાઈ રહી છે 

પ્રાથમિક શાળાઓને ઉચ્ચતર માધ્યમિકમાં મર્જ કરવાની તજવીજ પડતા પર પાટું મારશે..!

અતુલ તિવારી/અમદાવાદઃ એક તરફ કેન્દ્ર સરકાર નવી શિક્ષણ નીતિ લાવી રહી છે તો બીજી તરફ રાજ્ય સરકાર પ્રાથમિક શાળાઓ બંધ કરવાની તૈયારી કરી રહી છે, સરકારના આવા નિર્ણયથી બાળકીઓનો ડ્રોપ-આઉટ રેશિયો વધવાની સંભાવના દેખાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી ઓછી સંખ્યા ધરાવતી અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચાલતી હોય તેવી 5,223 સ્કૂલોને નજીકની સ્કૂલોમાં મર્જ કરવાની તજવીજ શીક્ષણ વિભાગે હાથ ધરી છે.

આ અંગે પ્રાથમિક નિયમક કચેરી દ્વારા તાજેતરમાં જ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર અનુસાર અમદાવાદ શહેરમાં આવેલી આવી 52 પ્રાથમિક શાળાઓને નજીકમાં આવેલી ઉચ્ચતર માધ્યમિક શાળામાં મર્જ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સમગ્ર મામલે અમદાવાદ જીલ્લામાં 52 સ્કુલોની માહીતી નિયામક દ્વારા માગવામાં આવી છે. આ ઉપરાંત, બનાસકાંઠામાં 456, દાહોદમાં 381, પંચમહાલમાં 338, ખેડામાં 312 જ્યારે મહિસાગરમાં 307 સૌથી વધુ સ્કૂલો મર્જ થશે. 

શિક્ષકો ફાજલ પડશે
રાજ્યભરમાંથી 5223 શાળાઓ મર્જ કરવાને કારણે શિક્ષકોની મહેકમ ઘટશે અને સમગ્ર રાજ્યમાં 10 હજારથી વધુ શિક્ષકો ફાજલ પડશે. શિક્ષકો ફાજલ પડવાના કારણે આગામી ભરતી પ્રક્રિયા ઉપર પણ રોક આવી શકે છે.

તાજેતરમાં જ એક આરટીઆઈમાં મળેલી માહિતી અનુસાર, હાલ રાજ્યમાં ધોરણ 1 થી 5માં 2,408, જ્યારે ધોરાણ 6 થી 8માં 6,678 એમ કુલ 9,087 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જેની સામે મર્જ કરાયેલ 5 હજાર સ્કૂલોના 10 હજારથી વધુ શિક્ષકો પણ ફાજલ પડતાં આગામી સમયમાં શિક્ષકોની નોકરીની જાહેરાત જ બહાર નહીં પડે તેવી સ્થિતી ઉભી થશે. 

ડ્રોપ-આઉટ રેશિયો વધવાની શક્યતા
સરકાર પ્રાથમિક શાળાઓને નજીકમાં આવેલી મધ્યમિક શાળાઓમાં મર્જ કરવાનું વિચારી રહી છે. સામાન્ય રીતે વાલીઓ પોતાની દીકરીઓને નજીકની શાળામાં ભણવા મોકલતા હોય છે. હવે, જો નજીકની શાળા બંધ કરીને તેનાથી થોડે દૂર આવેલી શાળામાં તેને મર્જ કરવામાં આવશે તો જે શાળામાં વિદ્યાર્થીઓ ભણતા હશે તેનાથી નવી શાળાનું અંતર વધી જશે. ખાસ કરીને ગામડાઓમાં તો વાલીઓ દીકરીઓને નજીકની શાળાઓમાં જ ભણવા મોકલતા હોય છે. 

હવે જો શાળા દૂર જતી રહે તો તેવા સંજોગોમાં વાલીઓ દીકરીઓનો અભ્યાસ જ અધવચ્ચેથી અટકાવી શકે છે. આ રીતે, રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બાળકીઓનો ડ્રોપ-આઉટ રેશિયો વધી જશે. સાથે જ કેન્દ્ર સરકારની 'બેટી બચાવો, બેટી પઢાઓ' યોજના નિરર્થક નિવડશે.  

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news