આયુષ્યમાન કાર્ડ ધારકો માટે ખુશખબર, આખરે ગુજરાતમાં ખાનગી હોસ્પિટલનો વિવાદ ઉકેલાયો

PMJAY ખાનગી હોસ્પિટલનો વિવાદ ઉકેલાયો છે. રાજ્યના  આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથેની બેઠકમાં સમાધાન નીકળ્યું છે. ખાનગી હોસ્પિટલના બાકી નાણાંની શુક્રવાર સુધીમાં ચૂકવણી કરવાનું કહેવામાં આવ્યું છે. વીમા કંપનીઓ પાસેથી પણ બાંહેધરી લેવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં PMJAY હેઠળ સારવાર ચાલુ રહેશે. 

આયુષ્યમાન કાર્ડ ધારકો માટે ખુશખબર, આખરે ગુજરાતમાં ખાનગી હોસ્પિટલનો વિવાદ ઉકેલાયો

ઝી બ્યુરો/ગાંધીનગર: PMJAY ખાનગી હોસ્પિટલનો વિવાદ ઉકેલાઈ ગયો છે. રાજ્ય સરકાર સાથે સમાધાન થતાં ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોએ ચાર દિવસની હડતાલ પાછી ખેંચી લીધી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથેની બેઠકમાં ખાનગી હોસ્પિટલનું સમાધાન થઈ ગયું છે. ખાનગી હોસ્પિટલના બાકી નાણાંની શુક્રવાર સુધીમાં ચૂકવણી કરી દેવામાં આવશે. ઋષિકેશ પટેલે ખાનગી હોસ્પિટલ સંચાલકોને આ વિશે ખાતરી આપી છે. વીમા કંપનીઓ પાસેથી પણ બાંહેધરી લેવામાં આવી છે. હવે ખાનગી હોસ્પિટલમાં PMJAY હેઠળ સારવાર ચાલુ રહેશે.

ગુજરાતમાં PMJAY હોસ્પિટલને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે PMJAY એમપેનલ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન ગુજરાત દ્વારા કરવામાં આવેલી રજૂઆતના અનુસંધાને આ પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યા અને તારીખ 24 ફેબ્રુઆરી ના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયા, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રિન્સિપલ હેલ્થ સેક્રેટરી ધનંજય દ્વિવેદી, હેલ્થ કમિશનર હર્ષદ પટેલ, PMJAY યોજનાના અધિકારી ડોક્ટર શૈલેષ આનંદ, ઓરિએન્ટલ અને બજાજ ઇન્સ્યોરન્સના અધિકારીઓ તથા હોસ્પિટલ એસોસિએશન PEPHAG ના સભ્યો વચ્ચે એક મહત્વની મીટીંગ કરવામાં આવી હતી. 

આ મિટિંગમાં આઈ .એમ .એ.ગુજરાતના સેક્રેટરી અને AMA ના પ્રેસિડેન્ટ ડોક્ટર મેહુલ શાહ તથા ડોક્ટર તુષાર પટેલ પણ હાજર રહ્યા હતા. આ મિટિંગમાં આગળની પોલીસી તથા ચાલુ પોલીસીના બાકી રહેલા નાણાની ચુકવણી અને અન્ય પ્રશ્નોના કાયમી ઉકેલ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સરકાર તરફથી આ બધી જ મુશ્કેલીઓનું  નિરાકરણ લાવી દરેક દર્દીઓને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ઉત્તમ સારવાર મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ છે એવું જણાવવામાં આવ્યું હતું. 

આના અનુસંધાને કેન્દ્ર અને રાજ્યના આરોગ્ય મંત્રીઓએ PMJAY હોસ્પિટલના બાકી પેમેન્ટનો પેશન્ટ વાઇઝ ડેટા દરેક હોસ્પિટલને બે ત્રણ દિવસમાં ઈમેલ દ્વારા મોકલવામાં આવશે અને શુક્રવાર સુધીમાં તેમના બાકી નાણાંની ચુકવણી પણ કરી આપવામાં આવશે એવી બાહેંધરી આપી હતી. આ ઉપરાંત ક્લેમ વખતે કરવામાં આવતા રિજેક્શન, ડીડક્શન અને અન્ય પ્રશ્નોના ઉકેલ માટે તાત્કાલિક રીતે સમસ્યાનું નિરાકરણ આવે એ માટે સ્ટેટ હેલ્થ ઓથોરિટી તથા PEPHAG ના સભ્યોની વચ્ચે નિયમિત મિટિંગો કરી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. 

આ રીતે PMJAY યોજના ને વધુ ને વધુ કાર્યક્ષમ બનાવવાની બાહેધરી આપવામાં આવી છે. આથી PEPHAG ના સભ્યો દ્વારા સરકારની આ પહેલને લીધે બધા જ પ્રશ્નોનું નિરાકરણ જલ્દી આવી જશે એવી આશા સાથે દરેક હોસ્પિટલ નિયમિતપણે પીએમજય યોજના હેઠળ તા 26 થી 29 ફેબ્રુઆરી દરમિયાન પણ સારવાર ચાલુ જ રાખશે એવું જાહેર કર્યુ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news