સૌથી મોટી ખુશખબર; ગુજરાતમાં 24 હજાર 700 શિક્ષકોની ભરતી થશે, જાણો શું છે ભરતી પ્રક્રિયા અને નિયમો?

Teacher Recruitment: ટેટ અને ટાટ પાસ ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. આ મુદ્દે આજે કેબિનેટની બેઠક મળી હતી, જેમાં રાજ્યમાં 24,700 ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને લઇને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

સૌથી મોટી ખુશખબર; ગુજરાતમાં 24 હજાર 700 શિક્ષકોની ભરતી થશે, જાણો શું છે ભરતી પ્રક્રિયા અને નિયમો?
  • 2023 સુધી જે પરીક્ષાઓ લેવાઈ ટેટ એ પરીક્ષાઓને માન્ય ગણી આ ભરતી માટે ઉમેદવારો માન્ય ગણવામાં આવશે.
  • ડિસેમ્બર 2024 સુધીમાં આ પરથી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
  • 42 હજારથી વધુ જગ્યાઓ ખાલી હોવાનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો.
  • ખાલી જગ્યાઓના 50 ટકા જગ્યાઓ ભરવામાં આવશે.
  • 50% એલિજેબલ ટેસ્ટ અને સર્ટિફિકેટ ના માર્ક ગણવામાં આવશે.
  • જ્ઞાન સહાયક છે તે પણ આ ભરતી માટે લાયક ગણાશે.
  • 42759 ખાલી જગ્યાઓ છે જેમાં થી 24700 જગ્યાઓ ભરાશે.

Gujarat Teacher vacancy: રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્‍ડરને આખરી ઓપ આપ્યો છે. શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોર તેમજ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્‍ડરનાં સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગષ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે રાજ્યના યુવાઓના વિશાળ હિતમાં કરેલા આ મહત્વપૂર્ણ આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી. ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્‍ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય (HMAT PASS ઉમેદવારો)ની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તા. 01/08/2024 રહેશે.

ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક (TAT HIGHER SECONDARY પાસ ઉમેદવારો)ની કુલ મળીને અંદાજે 4000 જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક  શિક્ષણ સહાયક માટે 750 અને ગ્રાન્‍ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3250 જગ્યાઓનો સમાવેશ થાય છે તેની સંભવિત જાહેરાતની તા. 01/09/2024 રહેશે.

આ ઉપરાંત સરકારી અને ગ્રાન્‍ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 3500 જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.01/10/2024 રહેશે જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 500 જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 3000 જગ્યા માટે ભરતી જાહેરાત થશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-2 પાસ ઉમેદવારો માટેની અંદાજે 7000 જગ્યાઓ માટેની સંભવિત ભરતી જાહેરાતની તા. 01/11/2024 રહેશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (અન્ય માધ્યમ) ટેટ-2 પાસ ઉમેદવારોની અંદાજે 600 જેટલી જગ્યાઓ માટે સંભવતઃ તા. 01/11/2024ના રોજ જાહેરાત કરાશે.

આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 5000 જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-1 પાસ ઉમેદવારો માટેની અંદાજે 1200 જગ્યાઓ માટે ભરતી માટે સંભવતઃ તા.01/12/2024ના રોજ જાહેરાત થશે. ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, TET-1 અને TET-2 ઉમેદવારોના સંબંધિત પરીક્ષાના પ્રમાણપત્રની માન્યતાની અવધિ અંગે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનાં નિર્ણયો કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, આ નિર્ણયો અનુસાર આજે જાહેર થયેલી ભરતીમાં TET-1માં વર્ષ 2012 થી 2023 સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા TET-2 માં 2011 થી 2023 સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે. આ ભરતી બાદ 2023માં TET-1 અને TET-2 પાસ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતાની અવધિ પ્રમાણપત્ર ઇશ્યુ કર્યાની તારીખથી 5 વર્ષ અથવા તો NCTE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત નવું માળખું જાહેર થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની રહેશે.

એટલું જ નહીં, વર્ષ-2023 પહેલા TET-1 અને TET-2 પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે. ત્યારબાદ વર્ષ-2023 પહેલાના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં. તેમને વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના તા. 29-04-2023ના ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે TAT-માધ્યમિક અને TAT-ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવારો માટે વર્ષ 2023માં લેવાયેલ દ્વિ-સ્તરીય શિક્ષક અભિરૂચી કસોટીના પરિણામને જ ધ્યાને લેવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની કેબિનેટ બેઠકના આ નિર્ણયથી રાજ્યની શાળાઓમાં આ ભરતી દ્વારા પૂરતી સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થશે તેમજ યોગ્ય ઉમેદવારોને તક મળશે તેમ તેમણે જણાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news