ગીરની હિર ગણાતી કેસર કેરી પર આફત આવી, મધિયાએ વાડીઓમાં આતંક મચાવ્યો

છેલ્લા દસ વર્ષમાં કોઇ વર્ષમાં દવાનો આટલો છંટકાવ થયો નથી, તેટલી દવાનાં ખર્ચા ખેડૂતોએ કર્યા હોવા છતા કેરીનો પાક કેટલો થઈ શકશે તેનો કોઇ અંદાજ અનુભવી શકાતો નથી

ગીરની હિર ગણાતી કેસર કેરી પર આફત આવી, મધિયાએ વાડીઓમાં આતંક મચાવ્યો
  • આ વર્ષે ઓછા આવેલ કેસર કેરીના પાકમાં મધિયાનો રોગ વકર્યો 
  • આંબામાં રોગ વધવા લાગતા ખેડૂતો દવાનો છંટકાવ જ એકમાત્ર ઓપ્શન

ઝી મીડિયા/બ્યૂરો :કેસર કેરીના પાકમાં દુષ્કાળમાં અધિક માસ જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. ગીરનાં આંબાનાં બગીચાઓમાં ઓછા પાક વચ્ચે મધિયા નામનો રોગ વધ્યો છે. સામાન્ય રીતે, જાન્યુઆરી બાદ રોગનું પ્રમાણ હળવું થવા લાગે છે અને વધતી ગરમીથી રોગ કુદરતી રીતે નાશ પામે છે. પરંતુ જેના પર  કેરીનાં પાકનો મદાર હોય તે કોરામણ વધવાથી મધિયો રોગ વધી રહ્યો છે. આ મધિયાના રોગે કેસર પકવતા ખેડૂતોની ચિંતામાં બમણો વધારો કર્યો છે.

ગીર વિસ્તારનાં જ્યાં હાલ 35 થી 36 ડિગ્રી તાપમાનનો પારો છે. જેમ જેમ તાપમાન વધે એટલે કેસર કેરીના બગીચાઓમાં રોગચાળો ઓછો થાય. પણ ગીરમાં પ્રથમ વાર મધિયો ૩૫ ડિગ્રીથી વધુ તાપમાં જોવા મળ્યો છે. જ્યારે કેસર કેરીનાં બગીચાઓમાં પાક ખીલવવાનો આખરી તબક્કામાં આવેલ મોરમાં હાલમાં નાની કેરીઓ બંધાયેલી છે. તાલાલા-ગીર સહિત સમગ્ર ગીર વિસ્તારમાં પથરાયેલ આંબા વાડીઓમાં કેસર કેરીનો પાક બચાવવા ખેડૂતો મથામણ કરી રહ્યા છે. અને આંબાઓમાં મધિયો- તડતડીયો રોગ વધવા લાગતા ખેડૂતો દવાનો છંટકાવ કરીને થાકવા લાગ્યા છે.

છેલ્લા દસ વર્ષમાં કોઇ વર્ષમાં દવાનો આટલો છંટકાવ થયો નથી, તેટલી દવાનાં ખર્ચા ખેડૂતોએ કર્યા હોવા છતા કેરીનો પાક કેટલો થઈ શકશે તેનો કોઇ અંદાજ અનુભવી શકાતો નથી.  

ખેડૂત જગુભાઈ મોરી કહે છે કે, ગીરમાં કેસર કેરીનાં આંબાઓમાં ગત વર્ષે કૂંકાયેલા વાવાઝોડાની અસરથી ગીરમાં ઉના, ગીર ગઢડા અને કોડીનાર તાલુકામાં વૃક્ષોમાં તારાજી સર્જાઈ હતી. અને વાવાઝોડાની અમર્યાદિત પવનની ઝડપમાં આંબાના મૂળ તૂટી જવા સાથે મુળિયામાં હલચલ થતા આંબાવાડીઓમાં દર વર્ષે ચાલતી પ્રક્રિયાની કુદરતી સાયકલ ખોરવાઇ ગઈ છે. જેના કારણે આંબામાં મોર ઓછા ફૂટતા અને જે મોર ફૂટ્યાં તે આખરી તબક્કામાં ફૂટ્યાં. 

નવેમ્બર માસથી આંબાઓમાં મોર ફૂટવાની પ્રક્રિયા શરૂ થતાં ખેડુતોએ આંબામાં આવતાં રોગ મધિયો, ફૂગ, કથીરી જેવા રોગો સામે દવાનો છંટકાવ કરી રહ્યા છે. ગીરમાં 35 થી 36 ડિગ્રી તાપમાનમાં વધેલા આંબામાં રોગથી ખેડૂતો ખર્ચા કરી થાકી ચૂકયા છે. અને તેવામાં આ હિટવેવને લઈ મધિયો ઓછો થવો જોઈએ તેમની જગ્યાએ સાનુકુળ વાતાવરણને લીધે વધી રહ્યો છે. અને જેની સીધી અસર કેસરનાં પાકમાં પણ થઈ શકે છે અને બજારમાં કેસરના ભાવ પર અસર પડી શકે માટે કૃષિ નિષ્ણાતનાં મતે યોગ્ય દવાનો છંટકાવ કરવો જોઈએ તેવુ કેવિકેના કૃષિ નિષ્ણાત રણજીતસિંહ બારડે જણાવ્યું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news