અરવલ્લીમાં આવેલ મિની વાવાઝોડાએ 100 મકાનોનો સોથ વાળ્યો, 50 વીજપોલ તૂટ્યા

અરવલ્લી જિલ્લામાં ગઈકાલે સાંજે આવેલા વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાંને પગલે જિલ્લાના ભિલોડા મોડાસા અને મેઘરજ તાલુકામાં મોટું નુકશાન સર્જ્યું છે. વાવાઝોડાને કારણે ત્રણેય તાલુકાના અનેક લોકોના ઘરો ઉપરનાં છાપરા ઉડી ગયા, જ્યારે ઉનાળુ ખેતીને પણ જમીનદોસ્ત થઇ જતા મોટું નુકશાન થયું છે.
અરવલ્લીમાં આવેલ મિની વાવાઝોડાએ 100 મકાનોનો સોથ વાળ્યો, 50 વીજપોલ તૂટ્યા

સમીર બલોચ/અરવલ્લી :અરવલ્લી જિલ્લામાં ગઈકાલે સાંજે આવેલા વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાંને પગલે જિલ્લાના ભિલોડા મોડાસા અને મેઘરજ તાલુકામાં મોટું નુકશાન સર્જ્યું છે. વાવાઝોડાને કારણે ત્રણેય તાલુકાના અનેક લોકોના ઘરો ઉપરનાં છાપરા ઉડી ગયા, જ્યારે ઉનાળુ ખેતીને પણ જમીનદોસ્ત થઇ જતા મોટું નુકશાન થયું છે.

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં ગઈ કાલે બપોર બાદથી પલટો આવ્યો હતો. ગઈકાલે બપોર બાદ જિલ્લાના મોડાસા મેઘરજ ભિલોડા તાલુકાઓમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. ચક્રવાતે એ હદે વિનાશ વેર્યો કે, મેઘરજ તાલુકાના વાવકંપા સહીતના ગામડાઓમાં ખેતી બરબાદ થઇ ગઈ છે. ટીંટોઇમાં પાંચથી વધુ વાહનો દબાયા હતા. જ્યારે મોડાસા-રાજેન્દ્રનગર હાઈવે 40થી વધુ વૃક્ષો પડવાના કારણે બે કલાક માટે બંધ રહ્યો હતો. જેને માર્ગ મકાન વિભાગે જેસીબીની મદદથી ખુલ્લો કરી વાહન વ્યવહાર શરુ કરાવ્યો હતો. જિલ્લામાં 50થી વધુ વીજપોલ ધરાશાહી થતા હજી પણ વીજળી ડુલ છે, ત્યારે વીજ વિભાગ રાત્રિથી જ કામે લાગ્યો છે અને લોકોને શાંતિ રાખવા અપીલ કર્યો છે. જિલ્લાના ત્રણ તાલુકાઓમાં 100થી વધુ મકાનો અને તબેલાનાં પતરા ઉડી ગયા છે, ત્યારે ચક્રવાતે એટલું તો બતાવી દીધું કે કુદરત આગળ માનવી નિસહાય છે.

વાવાઝોડાથી બાજરીના પાકને નુકશાન  
વાવાઝોડાને પગલે જિલ્લાના મેઘરજ ભિલોડા તેમજ મોડાસા તાલુકામાં ઉનાળુ વાવેતર કરાયેલા કુલ 2૦૦૦ હેકટર જમીનમાં બાજરી ,મકાઈ અને જુવાર તેમજ કેરી સહિતના પાકોનો સોથ વળી ગયો છે. ત્યારે ખેડૂતના મોઢામાં આવેલો કોળીયો કુદરતે છીનવી લેતા ખેડૂતોને પડતા ઉપર પાટુ મારવા જેવી ઘટના બની છે, ત્યારે સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. 

નુકશાન માટે સર્વે કરવા માટે ટીમો મોકલી
સમગ્ર મામલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના ત્રણ તાલુકાઓમાં વાવાઝોડાનાં કારણે થયેલા નુકશાન અંગે જિલ્લા કલેક્ટર દ્વારા ખેતીવાડી વિભાગને સર્વે કરવાની કામગીરી માટેના આદેશ કરી દેવામાં આવ્યા છે. જ્યારે વીજ કંપનીને પણ તાલુકાનાં જે ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે, તેવા સ્થળોએ સત્વરે કામગીરી કરી વીજ પુરવઠો પૂર્વવત કરાય તેવી સૂચના આપી દેવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news