ભ્રષ્ટાચારથી કંટાળી સીએ કદમ લેશે દીક્ષા, નીકળ્યો ધામધૂમથી વરઘોડો

દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવાના દવાઓ દરેક સરકારો કરતી હોય છે, પરતું ભ્રષ્ટાચાર ઓછો થવાનું નામ નથી લઇ રહ્યું, વધતા જતા ભ્રષ્ટાચાર અંગે વારંવાર લાંચ આપી કંટાળી ગયેલા સુરતના સીએ કદમ દોશીએ સંસાર છોડી આધ્યાત્મના માર્ગે જવાનું નક્કી કર્યું હતું. કદમે દીક્ષા લઇ જૈન મુની બનવાનું નક્કી કરતા તેનો વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ વરઘોડાની શરૂઆત રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી.

ભ્રષ્ટાચારથી કંટાળી સીએ કદમ લેશે દીક્ષા, નીકળ્યો ધામધૂમથી વરઘોડો

તેજશ મોદી/સુરતઃ વરરાજાની જેમ તૈયાર થયેલો આ છે કદમ દોશી, ભણવામાં ખુબ હોશિયાર કદમ આજે ખુબ ખુશ છે અને ખુશીથી નાચી પણ રહ્યો છે, જોકે તેના લગ્ન નથી પરતું તે દીક્ષા લઇ રહ્યો છે. આજે કદમ અને તેની બહેન વિદિશાનો વરઘોડો નીકળે તે પહેલાં તમામ લોકોએ રાષ્ટ્રગીત ગાયું હતું. કદમ ભણવામાં ખુબ હોશિયાર હતો, જોકે તેને આધ્યાત્મના રસ્તે જવાની ઈચ્છા હતી, પરતું તે અંગે તેને ક્યારેય ગંભીરતાથી વિચાર્યું ન હતું. 

ધોરણ 12માં પાસ થયા બાદ તેણે સીએનો અભ્યાસ શરૂ કર્યો અને પરીક્ષામાં પાસ પણ થઈ ગયો. સીએ થયા બાદ નોકરી શરુ કરી. જોકે નોકરી દરમિયાન અનેક વખત એવો સમય આવ્યો કે અધિકારીને કે સરકારી વિભાગમાં પોતાનું કામ કરાવવા માટે ટેબલ નીચેથી ગેરકાયદેસર રકમ એટલે કે લાંચ આપવી પડી હતી. બસ આ વાત તેના મનમાં સતત ચાલી રહી હતી, શા માટે તંત્રમાં ભ્રષ્ટાચાર આટલી હદે વધી ગયો છે કે કોઈ પણ કામ માટે લાંચ આપવી પડે. 

પોતાના કામ સાથે તે સતત જૈન ગુરુ મહારાજોના પરિચયમાં પણ હતો. કદમને સતત ખોટું કરતો હોવાની અનુભૂતિ થઈ રહી હતી. જેથી તે ગુરૂ મહારાજ પાસે ગયો. ગુરુ મહારાજ સાથે વાત કરી અને આખરે દીક્ષા લેવાનું નક્કી કર્યું, કદમનું કહેવું છે કે, કોલેજ સમયે તેણે સંસારના તમામ સુખોનો આનંદ લૂટ્યો હતો. લાઈફમાં એક ગર્લફ્રેન્ડ પણ હતી, પરતું હવે તમામ સંસારિક સુખો છોડી કદમ દીક્ષા લેવાનો છે.

આચાર્ય અનંતયશસૂરિ અને પદ્મદર્શન વિજયજીની નિશ્રામાં મુમુક્ષુ કદમ દોશીનો દીક્ષા મહોત્સવ નિમિત્તે સંયમ સપ્તાહ ચાલી રહ્યો છે. કદમ સાથે તેની બહેન વિદિશા પણ દીક્ષા લઇ રહી છે. આ અંગે કદમ અને વિદિશાના પિતાનું કહેવું છે કે, ગમે તેટલો અભ્યાસ કરો. સંસારમાં ખોટું કરવું જ પડે છે. આમાં તો પ્રભુએ તો ફક્ત 8 વર્ષની ઉંમરે દીક્ષા લેવાનું કહ્યું છે. પરંતુ મારા બાળકોથી મોડું થયું છે. 

દરેક વ્યક્તિ ઝીણવટથી જોશે તો તેને ક્યાંકને ક્યાંક સંસારનુ રહસ્ય સમજાશે. જ્યાં સુધી આ સમજાતું નથી, ત્યાં સુધી જ સંસાર છે. જ્યારે આત્મમંથન કરવામાં આવે છે ત્યારે સંસાર અને સંયમના માર્ગને ત્રાજવે તોળતા સંયમનું પલ્લું ભારે લાગે છે અને તેથી જ મારા બંને બાળકોએ દીક્ષાની પરવાનગી માંગી હતી. અમે ખુશી ખુશી મંજુરી પણ આપી હતી.

કદમ અને તેની બહેન વિદિશાની આગામી 10 ફેબ્રુઆરીના રોજ દીક્ષા યોજાશે, જેમાં મોટી સંખ્યામાં જૈન મુનીઓ અને સમાજના લોકો હાજર રહેશે. ભ્રષ્ટાચારથી કંટાળી દીક્ષા લેવાનો આ પહેલો કિસ્સો કહી શકાય છે. ત્યારે સવાલ એ છે કે સીએ જેવા વ્યક્તિએ જો લાંચ આપવી પડતી હોય તો દેશના સામાન્ય વ્યક્તિની શું હાલત થતી હશે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news