Bin Sachivalay Clerk Exam: વિદ્યાર્થીઓની 'એક્તા'થી સરકાર ભીંસમાં!, CM રૂપાણીએ તાકીદે બોલાવી બેઠક

કેબિનેટના સીનિયર મંત્રીઓને આ બેઠકમાં બોલાવવામાં આવ્યાં છે. બિન સચિવાલયના ઉમેદવારોએ જે પ્રકારે ગાંધીનગરમાં ઘરના ધર્યા તેનું નિરાકરણ કેવી રીતે લાવવું તેની પર ચર્ચા થઈ શકે છે. મોડી રાત સુધીમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઇ શકાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

Bin Sachivalay Clerk Exam: વિદ્યાર્થીઓની 'એક્તા'થી સરકાર ભીંસમાં!, CM રૂપાણીએ તાકીદે બોલાવી બેઠક

હિતલ પારેખ, ગાંધીનગર: હજારો વિદ્યાર્થીઓ કે જેઓ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા (BinSachivalay Clerk Exam) માં થયેલી ગેરરીતિ સામે ન્યાય માંગવા માટે ગાંધીનગર (Gandhinagar) પહોંચ્યા હતા. પરંતુ ગુજરાતની આ ભાવિ પેઢી સાથે જે વર્તન થયું તે શરમજનક રહ્યું. પોલીસે વિદ્યાર્થીઓને દંડાગીરી કરી હતી. તો સાથે જ પકડી પકડીને તેઓને પોલીસની બસમાં બેસાડીને તેમની અટકાયત કરી હતી. તો બીજી તરફ, રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આ મામલે આક્રોશ (#saveGujratstudents) દેખાઈ રહ્યો છે. સુરેન્દ્રનગર અને સુરતમાં પણ વિરોધ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓ આ પરીક્ષાને રદ કરવાની માગણી પર મક્કમ જોવા મળી રહ્યાં છે જ્યારે બીજી બાજુ સરકાર આ પરીક્ષા રદ કરવા તૈયાર નથી. જેને લઈને વિદ્યાર્થીઓ ખુબ ઉગ્ર જોવા મળી રહ્યાં છે. જો કે વિદ્યાર્થીઓના આક્રોશને જોતા સરકાર પણ ભીંસમાં આવી હોય તેવું જણાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના નિવાસસ્થાને તાકીદે બેઠક બોલાવી છે.

CM રૂપાણીએ બોલાવી બેઠક
કેબિનેટના સીનિયર મંત્રીઓને આ બેઠકમાં બોલાવવામાં આવ્યાં છે. બિન સચિવાલયના ઉમેદવારોએ જે પ્રકારે ગાંધીનગરમાં ઘરના ધર્યા તેનું નિરાકરણ કેવી રીતે લાવવું તેની પર ચર્ચા થઈ શકે છે. મોડી રાત સુધીમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઇ શકાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. બિન સચિવાલય પરીક્ષા ના ઉમેદવારોએ જે પ્રકારે એકતા બતાવી તેનાથી સરકાર ડગમગી હોય તેવું લાગે છે. સરકાર આ અંગે કોઈ મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. 

આ VIDEO પણ જુઓ...

પોલીસે 400 ઉમેદવારોની અટકાયત કરી
ન્યાય માંગવાની આશાએ આજે રાજ્યભરમાં હ્જારો વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. જેમાં યુવતીઓ પણ સામેલ હતી. વી વોન્ટ જસ્ટિસની માંગ સાથે હજ્જારો ઉમેદવારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે કે, બિનસચિવાલય પરીક્ષા કેન્સલ કરવામાં આવે. કારણ કે, આ પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના પુરાવા પણ મળ્યા છે. ત્યારે ગાંધીનગરની પોલીસે પ્રદર્શન કરી રહેલા 400થી વધુ ઉમેદવારોની અટકાયત કરી છે. તમામની અટકાયત ઉપવાસ છાવણી પાસેથી કરાઈ છે. વિદ્યાર્થીઓ પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા આવ્યા છે, પરંતુ સરકારની પેટનું પાણી હાલતું નથી. 

વિદ્યાર્થીઓએ પોસ્ટર પર દર્શાવ્યો વિરોધ
સરકાર અમને ન્યાય આપોના નારા સાથે હજ્જારો વિદ્યાર્થીઓ ગાંધીનગર ઉમટી પડ્યા હતા. ત્યારે તેમના પોસ્ટર પર લખેલા લખાણમાં પણ સરકાર સામેનો વિરોધ સ્પષ્ટ દેખાયો હતો. હમારી ભૂલ કમલ કા ભૂલ, શું આ બધુ કરવા આઝાદી આપી હતી? મહાત્મા ગાંધી, સંવેદનહીન સરકાર જેવા લખાણો સાથે વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા હતા. 

ગાંધીનગરમાં પડ્યા પડધા
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. પરંતુ કેબિનેટ બેઠકમાં પણ બિનસચિવાલય પરીક્ષાના ઉમેદવારોના વિરોધ પ્રદર્શનનો પડઘો પડ્યો હતો. સવારે 10 વાગ્યે શરૂ થયેલી કેબિનેટ બેઠક બપોરે 1 વાગ્યા સુધી પણ ચાલુ હતી. બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિના મામલા પર શું કરવું તેની પણ ચર્ચા થઇ હોવાનું સૂત્રો તરફથી માહિતી મળી હતી. 

જુઓ પ્રદિપસિંહ જાડેજાએ શું કહ્યું...

પરીક્ષા કોઇ કાળે રદ્દ નહી થાય, વિદ્યાર્થીઓ શાંતિથી ઘરે પરત ફરે: પ્રદિપસિંહ જાડેજા
બિન સચિવાલયની પરીક્ષા હાલ સમગ્ર ગુજરાતનો વિવાદિત અને વિદ્યાર્થીઓનો મોટો મુદ્દો બની ચુકી છે. ત્યારે સમગ્ર મુદ્દે વહેતી ગંગામાં હાથ ધોવા માટે એક પછી એક નેતાઓ અને સમાજનાં અગ્રણીઓ પણ આગળ આવી રહ્યા છે. તો બીજી તરફ સરકાર પણ અક્કડ વલણ દાખવી રહી છે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ જણાવ્યું કે, જે દોષીતો છે તેની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જે લોકો સીસીટીવીમાં ચોરી કરતા જોવા મળી રહ્યા છે તેમના પર કાર્યવાહી જરૂર કરવામાં આવશે પરંતુ પરીક્ષા રદ્દ કરવાની જે અયોગ્ય માંગણીઓ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે તે સંતોષી શકાશે નહી. કોઇ પણ સ્થિતીમાં પરીક્ષા રદ્દ કરવામાં આવશે નહી. જેથી વિદ્યાર્થીઓ કોઇ વિપક્ષી નેતા કે અન્ય કોઇ પણ વ્યક્તિનાં દોરવ્યા ગેરમાર્ગે દોરવાવું નહી. દરેક વિદ્યાર્થી શાંતિપુર્વક ઘરે પરત ફરી જાય તે જ પ્રાર્થના અને અપીલ છે. 

ગાંધીનગરમાં ઉઠેલા બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) ના મુદ્દે આક્રોશ બાદ ગુજરાત સરકાર પોતાનો બચાવ કરવા મેદાનમાં ઉતરી હતી. વિદ્યાર્થીઓ તથા સોશિયલ મીડિયા પર ઘેરાયેલી રૂપાણી સરકાર (Vijay Rupani) નો ભારે વિરોધ થયો હતો. ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ પાણી વહી ગયા બાદ પાળ બાંધતા હોય તેમ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે કેવા એક્શન લેવાયા છે તેની માહિતી આપી હતી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, પેપર એક પણ સ્થળ પરથી લિક થયું નથી. જે 39 ફરિયાદો મળી છે, તેના સંદર્ભમાં સંબંધિત લોકોને આવતીકાલથી મંડળમાં બોલાવીને જવાબ લેવાની કાર્યવાહી શરૂ કરાશે. જે ઉમેદવારોએ પરીક્ષામાં ચોરી કરી છે તેમની સામે એક્શન લેવામાં આવશે. તેમજ સંડોવાયેલા જવાબદાર અધિકારીઓના જવાબ લેવામાં આવશે. સમગ્ર પ્રક્રિયામાં કોઈને પણ છોડવામાં નહિ આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news