નવસારીનું વર્ષોનું સપનું થશે સાકાર, હવે પાણી માટે બેડું ઉઠાવવું નહિ પડે

Water Crises : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવસારીની મુલાકાતે... 110 કરોડના ખર્ચે બનેલા પૂર્ણા ટાઈટલ ડેમનું કર્યુ ખાત મૂહૂર્ત... ધમડાછામાં 40 કરોડના ખર્ચે તૈયાર બ્રિજનું કર્યુ લોકાર્પણ... 

નવસારીનું વર્ષોનું સપનું થશે સાકાર, હવે પાણી માટે બેડું ઉઠાવવું નહિ પડે

Navsari News ધવલ પારેખ/નવસારી : દરિયાઈ ભરતીના પાણી પૂર્ણા નદી થકી નવસારીના ગામોમાં ખારાશ વધારે છે. જેથી તેને અટકાવવા વર્ષોથી નદી ઉપર ટાઇડલ રેગ્યુલેટરી ડેમ બનાવવાની માંગ હતી, જે આજે પૂર્ણ થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આજે 110 કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા ટાઇડલ ડેમનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. નવસારી જિલ્લાને એક વર્ષમાં બીજો ટાઇડલ ડેમ મળ્યો છે. 

નવસારીની લોકમાતા પૂર્ણા નદીમાં દરિયાઈ ભરતી વખતે આવતા ખારા પાણીને કારણે નદીના મીઠા પાણી ખારા થવા સાથે જ આસપાસની જમીનમાં પણ ક્ષારની માત્રા વધતા ખેત ઉત્પાદન પર અસર થઈ રહી છે. ત્યારે આ ખારાશને આગળ વધતા અટકાવવા છેલ્લા અઢી દાયકાથી પૂર્ણા નદી પર ટાઇડલ રેગ્યુલેટરી ડેમની માંગ થતી હતી. જેમાં જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલ દ્વારા અલુરા બોદાલી ગામ વચ્ચે ડેમ બનાવવા રજૂઆત હતી. પરંતુ આસપાસના ગામડાઓ દ્વારા વિરોધ કરવામાં આવતા ડેમ અટક્યો હતો. ત્યારબાદ સરકાર દ્વારા અન્ય બે જગ્યાઓએ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ગત વર્ષે નવસારીના વિરાવળથી કસ્બા ગામ વચ્ચે 110 કરોડના ખર્ચે ટાઈડલ ડેમ બનાવવાની મંજૂરી મળી હતી. જેનુ આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે નવસારી જિલ્લાની પાણી સમસ્યા વર્ણવી તેના સમાધાન માટે કરેલા પ્રયાસો અને વર્ષોની માંગ આજે ડેમના ખાતમુહૂર્ત સાથે પૂર્ણ થઈ છે. સાથે જ તેમણે તળાવોને ઉંડા કરવા બનાવેલી યોજનાની જેમ પૂર્ણા નદીને ઉંડી કરવા માટે પણ સરકાર યોગ્ય યોજના બનાવે એવી માંગ કરી હતી. 

નવસારીની પૂર્ણા નદી ઉપર ટાઈડલ રેગ્યુલેટરી ડેમના લોકાર્પણ બાદ ઉપસ્થિતોને સંબોધતા મુખ્યમંત્રીએ ગુજરાતનો વિકાસ પંચ શક્તિ ઉપર આધારિત હોવાની વાત કરી હતી. જેમાં જળ શક્તિ જે જીવન શક્તિ છે. ત્યારે પાણીની મુશ્કેલી જેણે વેઠી હોય એજ જાણી શકે. તેથી નવસારી અને આસપાસના ગામોને મીઠુ અને શુદ્ધ પાણી મળી રહે એ માટે ટાઈડલ ડેમ બનાવવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આત્મનિર્ભરતા થકી વિકાસનું ઉત્તમ ઉદાહરણ આ ડેમ છે. સરકારે 1 વર્ષમાં બીજો ડેમ નવસારીને આપ્યો છે. જ્યારે આવનારા દિવસોમાં રાજ્યના દરેક જિલ્લા સાથે કુલ 75 અમૃત સરોવરો બનાવવામાં આવશેની જાહેરાત પણ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલના પ્રતિનિધિત્વના ભરપૂર વખાણ કર્યા હતા. 

નવસારીની વર્ષોની માંગ આજે સંતોષાઈ. પણ જેનું સપનું જોનારા આગેવાનોમાંના એક જલાલપોરના ધારાસભ્યની આજે સૂચક ગેરહાજરી પણ જણાઇ હતી. જોકે ટાઈડલ ડેમ બનતા નવસારી સહિત 23 ગામડાઓની પાણી અને સિંચાઇ સમસ્યાનો અંત આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news