બનાસકાંઠામાં જમીન સંપાદનથી ખેડૂતોનો આક્રોશ : અમે જમીન વગરના થઈ જશુ તો સામુહિક આત્મહત્યા કરીશું

Farmers Protest : અમદાવાદ-આબુરોડ હાઇવે ઉપરના જગાણા નજીકથી ખેમાણા ગામ સુધી બાયપાસ રોડ મંજૂર કરાયો છે, પોતાની જમીન કપાતા ખેડૂતોએ કલેક્ટર કચેરી જઈને વિરોધ દર્શાવ્યો 

બનાસકાંઠામાં જમીન સંપાદનથી ખેડૂતોનો આક્રોશ : અમે જમીન વગરના થઈ જશુ તો સામુહિક આત્મહત્યા કરીશું

Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : પાલનપુર હાઇવે પર આવેલા એરોમા સર્કલ ઉપર થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સરકાર દ્વારા અમદાવાદ-આબુરોડ હાઇવે ઉપરના જગાણા નજીકથી ખેમાણા ગામ સુધી બાયપાસ રોડ મંજૂર કરાયો છે. જો કે આ બાયપાસ રોડને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે બાયપાસ રોડનો અમારે કોઈ વિરોધ નથી. રોડ થાય તો ટ્રાફિક સમસ્યા દૂર થાય. જોકે જે 25 કિલો મીટરનો બાયપાસ રોડ નીકળવામાં આવી રહ્યો છે. તેમાં ઘણી જગ્યાએ 300 ફૂટનો રોડ નીકળવામાં આવે છે તો ઘણી જગ્યાએ 200 અને 100 ફૂટ નો રોડ નીકળવામાં આવે છે અને જેના કારણે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતોની જમીન કપાતા અમુક ખેડૂતો જમીન વિહોણા તેમજ પાણીના બોર નીકળી જતા પાણી વિનાના બની જશે તેવા આક્ષેપ સાથે ખેડૂતોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તેમજ બાયપાસ રોડની કામગીરી સંતોષકારક કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી.

પાલનપુરના એરોમા સર્કલ ઉપર છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિક સમસ્યા ઘેરી બનતી જાય છે અને જેના કારણે લોકોને ખૂબ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જોકે આ મુશ્કેલીના નિવારણ માટે સરકાર દ્વારા બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે. પાલનપુરના જગાણા નજીકથી ખેમાણા સુધી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે ત્યારે આ બાયપાસ રોડની કામગીરી શરૂ કરાતા ખેડૂતોએ વિરોધ નોધાવ્યો છે. પાલનપુર તાલુકાના 25 થી વધુ ગામડાઓના ખેડૂતો આજે પાલાનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ખેડૂતોએ બાયપાસ રોડને લઈને સરકારની બેવડી નીતિ હોવાના આક્ષેપ કર્યા હતા.

ખેડૂતોએ રજૂઆત કરતા કહ્યું હતું કે બાયપાસ રોડનો અમારે કોઈ વિરોધ નથી. રોડ નીકળે તો શહેર ની ટ્રાફિક સમસ્યા દૂર થાય. પરંતુ રોડ નીકાળવા માટે ખેડૂતોના ખેતરોમાં અલગ અલગ જગ્યાએ ખેતીની જમીન કપાઈ જતા ખેડૂતો ખેતીવિહોણા તેમજ ઘણી જગ્યાએ ખેડૂતોના પાણીનાં બોર નીકળી જાય છે. જેનાથી ખેડૂત જમીન વિહોણો અને પાણીવિહોણો થઈ જતા હોવાના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર આપી ખેડૂતોએ યોગ્ય કામગીરી કરવાની માંગ કરી હતી. અને કામગીરી અટકાવવાની તેમજ સામુહિક આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ખેડૂત અમરતભાઈ ફાંસીએ કહ્યું કે, સરકાર દ્વારા ખેડૂતોને અન્યાય કરાઈ રહ્યો છે અમુક બિલ્ડરોને ફાયદો થાય તેવું કામ કરાઈ રહ્યું છે જો માંગ નહિ સ્વીકારાય તો અમે આંદોલન કરીશું.

તો અન્ય ખેડૂત રમેશભાઈ પટેલ જણાવે છે કે, બાયપાસ રોડનો અમને કોઈ વિરોધ નથી પણ જે રીતે ખેડૂતોની જમીનો કપાઇ રહી છે. તેમાં કેટલાય ખેડૂતો જમીન વગરના થઈ જશે અમે સામુહિક આત્મહત્યા કરીશું.

બાયપાસ રોડને લઇને મોટી સંખ્યામાં ખેડૂતો સૂત્રોચ્ચાર સાથે કલેકટર કચેરી પહોંચ્યા હતા. ત્યારે ખેડૂતોએ આ બાયપાસ રોડમાં સરકારની નીતિને લઇ વિરોધ નોધાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે, અમુક જગ્યાએ 100 ફૂટ તો અમુક જગ્યાએ 300 ફૂટનો રોડ નિકાળી ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ બાયપાસ રોડની કામગીરી સામે વિરોધ નોંધાવી 100 થી વધુ ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી બાયપાસ રોડની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ જો બાયપાસ રોડ બનાવવામાં ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી હતી.

ખેડૂત વિજયભાઈ પટેલનું કહેવું છે કે, આજે અમે આવેદનપત્ર આપીને રજુઆત કરી છે જો અમારી માંગ નહિ સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરીશું પણ કામ નહીં થવા દઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news