ગુજરાત સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય, ઉત્તર ગુજરાત- સૌરાષ્ટ્રને થશે ફાયદો!

નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઈપલાઈનો થકી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારને પૂરક સિંચાઈ માટે પાણી અપાશે. ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારના આશરે 60,000 એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.

ગુજરાત સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય, ઉત્તર ગુજરાત- સૌરાષ્ટ્રને થશે ફાયદો!

ઝી બ્યૂરો/અમદાવાદ: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. 

નિર્ણયની અંગે માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે, પૂરક સિંચાઈ માટે નર્મદા મુખ્ય નહેર આધારીત ઉદ્વવહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે 1029 MCFT તેમજ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 1302 MCFT મળી કુલ 2331 MCFT નર્મદાનું પાણી આગામી તા. 30મી જૂન, 2024 સુધીના સમયગાળા માટે ફાળવવાનો ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.

મંત્રીએ જણાવ્યું કે, નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઇપલાઇનો મારફત ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવે છે. અગાઉ, નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઇપલાઇનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે 591 MCFT તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 1600 MCFT મળી કુલ 2191 MCFT પાણીની પીવાના હેતુસર ફાળવણી કરવામાં આવી છે.

આ ઉપરાંત, આગામી ચોમાસા પહેલા ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો દ્વારા બહોળા પ્રમાણમાં ખરીફ પાકનું વાવેતર થાય, તે આયોજનના ભાગરૂપે પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરવા નર્મદાના પાણીની ફાળવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

નર્મદાના પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારના અંદાજીત 60,000 એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news