Ahmedabad: કાંકરિયા કાર્નિવલના સમયમાં ફેરફાર, તમે પણ જવાનો હોય તો રાખજો ધ્યાન

AMC News: અમદાવાદ મહાનગર પાલિકાએ કોરોના સંક્રમણને જોતા કાંકરિયા કાર્નિવલના સમયમાં ફેરફાર કર્યો છે. આ સાથે કાર્નિવલમાં કોર્પોરેશન દ્વારા કોરોના ન ફેલાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 
 

Ahmedabad: કાંકરિયા કાર્નિવલના સમયમાં ફેરફાર, તમે પણ જવાનો હોય તો રાખજો ધ્યાન

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ ચીન સહિત અન્ય દેશોમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને જોતા ભારત સહિત ગુજરાત સરકાર એલર્ટ થઈ ગઈ છે. આ વચ્ચે અમદાવાદમાં 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે. રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોરોના કાળના બે વર્ષ બાદ કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પરંતુ કોરોના સંક્રમણને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એલર્ટ મોડ પર આવી ગયું છે. હવે કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

કાંકરિયા કાર્નિવલના સમયમાં થયો ફેરફાર
કાંકરિયા કાર્નિવલ અમદાવાદની ઓળખ બની ચુક્યો છે. આ કાર્નિવલમાં દર વર્ષે લાખો લોકો મુલાકાત લેતા હોય છે. આ વર્ષે એક ભારત શ્રેષ્ઠ ભારત વિષયની થીમ સાથે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે. પરંતુ કોરોના સંક્રમણને જોતા અમદાવાદ મહાનગર પાલિકાએ કાંકરિયા કાર્નિવલના સમયમાં ફેરફાર કર્યો છે. હવે આ કાર્નિવલનો સમય સાંજે 6થી રાત્રે 9 કલાક સુધીનો રહેશે. નોંધનીય છે કે પહેલા કાંકરિયા કાર્નિવલનો સમય સાંજે 7થી રાત્રે 10 કલાક સુધીનો હતો. અમદાવાદ મહાનગર પાલિકાએ આપેલી માહિતી અનુસાર રાત્રે 8 કલાક પછી લોકોને કાંકરિયા કાર્નિવલમાં પ્રવેશ મળશે નહીં. વધુ લોકો કાર્નિવલમાં ભેગા ન થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. 

કાંકરિયા પરફોર્મન્સ
આ વખતે અમદાવાદમાં આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર કાંકરીયા કાર્નિવલ યોજાઈ રહ્યો છે. જેમાં કાંકરિયા પરિસરમાં અલગ અલગ 3 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જેમાં સાત દિવસ સુધી ગુજરાતના જાણીતા કલાકારો પરફોર્મન્સ કરી રહ્યા છે. જેમાં આજે આઝાદી કા અમૃત મહોત્સવ અને 31 ડિસેમ્બરે એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ પર કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં ભૂમિકા શાહ, જિજ્ઞેશ દવે, વિજય સુવાળા, સાંઈરામ દવે અને આદિત્ય ગઢવી પરફોર્મન્સ કર્યું. જેમાં રોક બેન્ડ,  ડ્રામા, ડાન્સ, યોગા, ડોગ અને હોર્ષ શોની ઝલક કાંકરિયા કાર્નિવલમાં જોવા મળી. તો સાંસ્કૃતિક કાર્યક્રમો અને લાઈટ સાઉન્ડ લેસર શો આકર્ષણનું કેન્દ્ર બની.

કાંકરિયા સ્માર્ટ પોલ
કોરોનાના લીધે બે વર્ષ બાદ રવિવાર અમદાવાદનો સૌથી મોટો ઉત્સવ એટલે કે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે આ વખતે મહાનગર પાલિકાએ કાંકરિયા પ્રાંગણમાં એક ખાસ હાઈબ્રીડ સ્માર્ટ પોલ લગાવ્યો છે. પ્રધાનમંત્રીનાં રીન્યુએબલ અને ગ્રીન એનર્જીના સંકલ્પને પ્રોત્સાહન આપતા અભિગમને ધ્યાનમાં રાખી આ પોલ લગાવવામાં આવ્યો છે. સૌર અને પવન ઊર્જા આધારિત સ્માર્ટ વિન્ડ સોલાર હાઈબ્રિડ સ્ટ્રીટલાઇટ પોલ લગાવ્યું છે. જેમાં કોઈ જ પ્રકારનું કેબલિંગ કરવામાં આવ્યું નથી. એટલું જ નહીં પિ.ટી.ઝેડ સીસીટીવી કેમેરા, 360 ડિગ્રી ફરી શકે તેવા અત્યાધુનિક રેવોલવિંગ વાયરલેસ કેમેરા થી દેખરેખ રાખી શકાય છે. આ હાઇબ્રીડ સ્માર્ટ પોલમાં વીજળીનું બિલ શૂન્ય આવશે અને દરરોજ 8થી 9 યુનિટ વિજળીનું ઉત્પાદન પણ થશે.

કાંકરિયા કાર્નિવલમાં  માસ્કનું વિતરણ
2 વર્ષ બાદ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ મહોત્સવ શરૂ થયો છે. ત્યારે બીજીતરફ કોરોનાનો ભય પણ જોવા મળી રહ્યો છે. પ્રથમ દિવસે કાર્નિવલમાં આવતા લોકોને માસ્ક પણ આપવામાં આવ્યા હતા. આ સાથે અમદાવાદ મહાનગર પાલિકાએ કાર્નિવલમાં કોરોનાના ટેસ્ટિંગ માટેની પણ વ્યવસ્થા કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news