મા અંબાના દર્શને જઈ રહેલા પદયાત્રીઓને ઈનોવાએ કચડ્યા, 6 શ્રદ્ધાળુઓના મોત

Ambaji Accident : મા અંબાના દર્શને જઈ રહેલા પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. અરવલ્લીના માલપુરના કૃષ્ણાપુર પાસે અકસ્માત સર્જાયો હતો. ઈનોવા ચાલકે અંબાજી જતાં પદયાત્રીઓને કચડ્યા હતા. હૃદય કંપાવી દે તેવી ઘટનામાં 6 પદયાત્રીના મોત નિપજ્યા છે. 5 પદયાત્રી ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા છે. તમામ પદયાત્રી પંચમહાલના કાલોલ પાસે અલાલીના રહેવાસી છે. 

મા અંબાના દર્શને જઈ રહેલા પદયાત્રીઓને ઈનોવાએ કચડ્યા, 6 શ્રદ્ધાળુઓના મોત

પરખ અગ્રવાલ/બનાસકાંઠા :મા અંબાના દર્શને જઈ રહેલા પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. અરવલ્લીના માલપુરના કૃષ્ણાપુર પાસે અકસ્માત સર્જાયો હતો. ઈનોવા ચાલકે અંબાજી જતાં પદયાત્રીઓને કચડ્યા હતા. હૃદય કંપાવી દે તેવી ઘટનામાં 6 પદયાત્રીના મોત નિપજ્યા છે. 5 પદયાત્રી ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા છે. તમામ પદયાત્રી પંચમહાલના કાલોલ પાસે કલાલીના રહેવાસી છે. તમામ મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તો માટે રાજ્ય સરકારે સહાય પણ જાહેર કરી છે.

પૂર ઝડપે આવતી કારે પદયાત્રીઓને કચડ્યા
માલપુરના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે 7 વાગ્યે કરુણ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ઈનોવા ચાલકે મા અંબાના દ્વારે જતા પદયાત્રીઓને કચડયા હતા. અકસ્માતમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે. જેમાં 5 પદયાત્રીઓ અને એક સ્થાનિક વ્યક્તિનું પણ મોત નિપજ્યું છે. તો પદયાત્રીઓ અકસ્માતમાં ઘાયલ થયા છે. પહેલા તમામ ઈજાગ્રસ્તોને માલપુર સીએચસી ખસેડાયા હતા, તેના બાદ ઘાયલ 9 લોકોને હિમ્મતનગર સિવિલમાં ખસેડાયા હતા. 

મૃતકોના નામ 

  • જાદવ પંકજ રમણભાઈ, અલાલી ગામ
  • પ્રકાશ રાઠોલ, અલાલી ગામ
  • સંજય નરેશભાઈ તિલવાડ, વલુડી ગામ
  • અપશીંગભાઈ બારિયા, ખીરખાઈ
  • સુરેશભાઈ બામણિયા, ક્રિષ્ણાપુરા 
  • એક અજાણ્યો વ્યક્તિ

કેવી રીતે થયો અકસ્માત
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ઈનોવા ચાલક ગઈકાલે પુણેથી સતત ૨૦ કલાકથી કાર ચલાવતો હતો. તે પુણેથી ઉદેપુર તરફ જઈ રહ્યો હતો, ત્યારે કાર ચાલકની બેદરકારીથી અકસ્માત સર્જાયો હતો. ટોલ બુથના પિલ્લર સાથે અથડાઈ ન હોત તો મૃત્યુઆંક વધ્યો હોત.

પંચમહાલનો 150 લોકોનો સંઘ અંબાજી જવા નીકળ્યો હતો
ઉલ્લેખનીય છે કે, તમામ પદયાત્રીઓ પંચમહાલ કાલોલના કલાલીના વતની હતા. યુવકોનો સંઘ અંબાજી જવા નીકળ્યો હતો. આ સંઘમાં 150 લોકો સામેલ હતા. પરંતુ સંઘ મા અંબાના દ્વાર પહોંચે તે પહેલા જ અકસ્માત સર્જાયો હતો. 

મૃતકોના પરિવારને 4 લાખની સહાય 
આ ઘટના અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યુ હતું. તેમણે ટ્વીટ કરી કે, અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય આપશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news