RBI ગવર્નર ઉર્જિત પટેલ 19 નવેમ્બરે રાજીનામું આપી શકે છેઃ અહેવાલ

સરકાર અને RBI વચ્ચે છેલ્લા ઘણા સમયથી ખેંચતાણ ચાલી રહી છે, RBI પોતાની સ્વાયત્તતા જાળવી રાખવા માટે મક્કમ છે, જ્યારે સરકાર RBI પાસે પોતાનું ધાર્યું કરાવવા માગી રહી છે 

RBI ગવર્નર ઉર્જિત પટેલ 19 નવેમ્બરે રાજીનામું આપી શકે છેઃ અહેવાલ

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના ગવર્નર ઉર્જિત પટેલ 19 નવેમ્બરના રોજ મળનારી કેન્દ્રીય બેન્કની બોર્ડ બેઠકમાં રાજીનામું આપી તેવી શક્યતાઓ છે. બુધવારે ઉર્જિત પટેલની નજીક રહેલા સૂત્રોના હવાલાથી ઓનલાઈન આર્થિક વેબપોર્ટલ 'મનીલાઈફ' દ્વારા આ અહેવાલ પ્રકાશિત કરાયો છે. 

ઉલ્લેખનીયછે કે, છેલ્લા ઘણા સમયથી સરકાર અને RBI વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. RBI પોતાની સંપૂર્ણ સ્વાયત્તતા ઈચ્છી રહી છે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ધિરાણના દર ઘટાડવા માટે અને RBI પાસે જે સરપ્લસ રિઝર્વ નાણાં પડેલા છે તેનો ઉપયોગ કરવા માગી રહી છે. 

ગયા મહિને બેન્કના ડેપ્યુટી ગવર્નર દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે, કેન્દ્રીય બેન્કની સ્વતંત્રતા નજરઅંદાજ કરવું 'સંભવિત વિનાશ'નું પગલું સાબિત થઈ શકે છે. 

'મનીલાઈફ'ના અહેવાલમાં જણાવ્યું છે કે, જો આ સંઘર્ષ આમ ને આમ આગળ વધતો રહ્યો તો આરબીઆઈના બોર્ડની આગામી બેઠકમાં ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામું આપે તેવી પૂરેપુરી શક્યતા છે. અહેવાલમાં જણાવાયું છે કે, સરકાર સાથેના સંઘર્ષથી તેઓ કંટાળી ગયા છે અને તેની નકારાત્મક અસર તેમના સ્વાસ્થ્ય પર પડી રહી છે. 

જોકે, આ અહેવાલમાં સૂત્રના નામનો ખુલાસો કરાયો નથી. RBI દ્વારા ઉર્જિત પટેલના રાજીનામા અંગે કોઈ પુછવામાં આવતાં કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. 

આ રિપોર્ટ ભારતના પ્રખ્યાત આર્થિક પત્રકાર સુચેતા દલાલ દ્વારા લખવામાં આવી છે જેઓ તેમના ઈન્વેસ્ટિગેટિ રિપોર્ટિંગ માટે જાણીતા છે. તેણી મનીલાઈફના સ્થાપકોમાંના એક છે. 

ઉલ્લેખનીય છે કે, મંગળવારે સમાચાર એજન્સી રોઈટર્સમાં એવા સમાચાર આવ્યા હતા કે કેન્દ્ર સરકાર ઉર્જિત પટેલના રાજીનામાનું જોખમ હોવા છતાં પણ તેનું દબાણ ચાલુ રાખશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news