WC 2019: બાંગ્લાદેશ વિરુદ્ધ અભ્યાસ મેચમાં તૈયારીઓને આખરી ઓપ આપવા ઉતરશે ટીમ ઈન્ડિયા

ભારતીય ટીમ વિશ્વકપમાં પોતાના અભિયાન પહેલા બીજા અને અંતિમ પ્રેક્ટિસ મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. તેણે પહેલા અભ્યાસ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 6 વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 

 WC 2019: બાંગ્લાદેશ વિરુદ્ધ અભ્યાસ મેચમાં તૈયારીઓને આખરી ઓપ આપવા ઉતરશે ટીમ ઈન્ડિયા

કાર્ડિફઃ બેટ્સમેનોની નિષ્ફળતાને કારણે ન્યૂઝીલેન્ડને હાથે મળેલા પરાજય બાદ ભારતીય ટીમ વિશ્વ કપમાં પોતાના અભિયાન પૂર્વે મંગળવારે અહીં બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી બીજી અને અંતિમ પ્રેક્ટિસ મેચમાં વાપસી કરી પોતાના દરેક વિભાગને મજબૂત કરવાનો પ્રયત્ન કરશે. ટાઇટલની પ્રબળ દાવેદાર ભારતની ઈંગ્લેન્ડ પહોંચવા પર શરૂઆત અનુકૂળ ન રહી અને તેણે ઓવલમાં પ્રથમ અભ્યાસ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 6 વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ભલે કહ્યું કે, આ હાર ચિંતાનો વિષય નથી પરંતુ ટીમ વિશ્વકપમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ 5 જૂને રમાનારી પ્રથમ મેચ પૂર્વે પોતાનું મનોબળ વધારવામાં કોઈ કસર છોડશે નહીં. 

ભારતની બેટિંગમાં પોતાના ટોપ ક્રમના ત્રણ બેટ્સમેનો રોહિત શર્મા, શિખર ધવન અને વિરાટ કોહલી પર ખુબ નિર્ભર છે પરંતુ આ ત્રણેય મળીને 22 રન બનાવી શક્યા હતા. ફાસ્ટર ટ્રેન્ટ બોલ્ટની સ્વિંગ કરતા બોલની સામે ટોપ ક્રમની નિષ્ફળતા બાદ ભારતીય ટીમ બહાર ન આવી શકી જેનાથી નક્કી થઈ ગયું કે ટૂર્નામેન્ટ દરમિયાન આ ત્રણેય ફેલ થાય તો ભારતને ભારે પડી શકે છે. નંબર-4ને લઈને લાંબા સમય સુધી ચર્ચા ચાલતી રહી પરંતુ પાછલા મેચમાં કેએલ રાહુલ ચોથા સ્થાન પર ઉતર્યો અને ફરીથી તેને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે. 

જાડેજાએ 50 બોલ પર 54 રન બનાવીને વિશ્વકપ માટે અંતિમ ઇલેવનમાં સ્થાન મેળવવા પોતાનો દાવો મજબૂત કરી દીધો છે. આ ઓલરાઉન્ડર પહેલા પણ ઈંગ્લેન્ડમાં સફળ રહ્યો છે. ભારતીય બોલિંગની આગેવાની જસપ્રીત બુમરાહ કરશે. પાછલા મેચમાં તેણે 4 ઓવરમાં 2 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. ભારતે બે સફળતા જલ્દી મેળવી લીધી હતી પરંતુ બોલરો તેનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. 

બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ આ નાની-નાની ભૂલોમાંથી છૂટકારો મેળવવાનો પ્રયત્ન કરશે. બાંગ્લાદેશને વિશ્વકપ પહેલા હજુ પ્રેક્ટિસ મેચની તક મળી નથી. પાકિસ્તાન વિરુદ્ધ તેની પ્રથમ પ્રેક્ટિસ મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી પરંતુ અહીં આવતા પહેલા બાંગ્લાદેશે આયર્લેન્ડમાં ત્રિકોણીય સિરીઝ જીતી જ્યાંની પરિસ્થિતિ લગભગ સમાન છે. 

બાંગ્લાદેશની ટીમ પરિસ્થિતિઓ સાથે સારો તાલમેલ બેસાડી શકે છે અને તેથી ભારતે સતર્ક કહેવાની જરૂર છે. હવામાન વિભાગે વરસાદની ભવિષ્યવાણી કરી છે અને તેવામાં મેચ મોડો શરૂ થવાની સંભાવના છે. જો વાદળ હશે તો ફાસ્ટ બોલર તેનો ફાયદો ઉઠાવી શકે છે. આમ તો કાર્ડિફમાં મોટો સ્કોર બનતો રહ્યો છે અને તેવામાં રોહિત, ધવન અને કોહલી મોટી ઈનિંગ રમવાનો પ્રયત્ન કરશે. 

ટીમ આ પ્રકારે છે 
ટીમ ઈન્ડિયાઃ 
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા.

બાંગ્લાદેશ
મુશરફે મોર્તજા (કેપ્ટન), તમીમ ઇકબાલ, મબમૂદુલ્લાહ, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન (વાઇસ કેપ્ટન), સૌમ્યા સરકાર, લિટન દાસ, શબ્બીર રહમાન, મેહદી હસન, મોહમ્મદ મિથુન, રૂબેલ હુસૈન, મુસ્તફિઝુર રહમાન, મોહમ્મદ સૈફુદ્દીન, મોસાદેક હુસૈન, અબુ ઝાયદ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news