સ્વામીનારાયણ સંપ્રદાય : ગુજરાતના રાજકારણમાં મજબૂત પક્કડ, એમ જ નથી થઈ સરકારની એન્ટ્રી

salangpur mural controversy : ગુજરાતીમાં કહેવત છે કે 'સાધુ થવું તો સ્વામીનારાયણના.' આ કહેવત એમ જ નથી પ્રચલિત... ગુજરાતનું રાજકારણ સ્વામીનારાયણ સંપ્રદાયની તાકાત અને મહિમાને ક્યારેય પડકારી શક્યું નથી  

સ્વામીનારાયણ સંપ્રદાય : ગુજરાતના રાજકારણમાં મજબૂત પક્કડ, એમ જ નથી થઈ સરકારની એન્ટ્રી

Sanatan Dharma : સાળંગપુરનો વિવાદ હવે ધીમેધીમે વધી રહ્યો છે, સનાતન ધર્મના સાધુઓ સતત આ મામલે આકરા બનતાં હવે સરકારની એન્ટ્રી થઈ છે. આજે સીએમ અને ગૃહમંત્રીની અધ્યક્ષતામાં એક મીટિંગ થઈ રહી છે. સરકારની એન્ટ્રીનું મુખ્ય કારણ લોકસભાની ચૂંટણી પણ છે. સ્વામીનારાયણ સંપ્રદાયને અવગણવો કોઈ પણ સરકાર માટે શક્ય નથી. આજે આ સંપ્રદાય કરોડો અનુયાયીઓ સાથે લખલૂટ રૂપિયા ધરાવે છે. સમગ્ર સંપ્રદાય 7500થી વધુ મંદિરો, 400થી વધુ શિખરબંધ મંદિરો, 7000થી વધુ સંતો, 1000થી વધુ ગુરુકુળો અને કરોડો હરિભક્તો ધરાવે છે. ગુજરાતમાં આ સંપ્રદાય સવિશેષ ફૂલ્યો ફાલ્યો છે. એટલે ગુજરાતના રાજકારણ પર આ સંપ્રદાયની મજબૂત પક્કડ છે. ઈ. સ. 1801માં સહજાનંદ સ્વામીએ આધ્યાત્મિક અને સમાજ-સુધારણાની આરંભેલી પ્રવૃત્તિ સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે વ્યાપક સ્વીકાર પામી છે. ગુજરાતીમાં કહેવત છે કે 'સાધુ થવું તો સ્વામીનારાયણના.' આ કહેવત એમ જ નથી પ્રચલિત... ગુજરાતનું રાજકારણ સ્વામીનારાયણ સંપ્રદાયની તાકાત અને મહિમાને ક્યારેય પડકારી શક્યું નથી. સ્વામીનારાયણ સંપ્રદાયના વડા પ્રમુખ સ્વામી અક્ષર નિવાસી થયા ત્યારે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને શ્રદ્ધાંજલિ આપવા દિલ્હીથી ગુજરાત આવ્યા હતા. માત્ર વડા પ્રધાનની વાત નથી. ગુજરાતમાં સત્તા પર આવેલા તમામ રાજકીય પક્ષો સ્વામીનારાયણ સંપ્રદાય સાથે રહ્યા છે. હાલમાં જે સાળંગપુરના મંદિર સાથે વિવાદ જોડાયેલો છે એ કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિનું લોકાર્પણ પણ દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થયું હતું. ગુજરાતના રાજકારણમાં સ્વામીનારાયણ સંપ્રદાય સીધો નહીં પણ આડકતરી રીતે જોડાયેલો છે. 

સ્વામીનારાયણ સંપ્રદાય હંમેશાં સત્તાની નજીક રહ્યો હોવાનું પણ કહેવાય છે. કારણ કે BAPS સાથે હજારોની સંખ્યામાં પાટીદાર સમાજ જોડાયેલો છે. સ્વામીનારાયણ સંપ્રદાયમાં એવું તે શું છે કે સાધુઓ સામે કોઈ આંગળી ચિંધી શકતું નથી કે સંપ્રદાયને કોઈ પડકારી શકતું નથી? કારણ કે સમગ્ર સંપ્રદાય આજે વિશ્વમાં 7500થી વધુ મંદિરો ધરાવે છે અને સમાજસેવાની અનેક પ્રવૃત્તિઓ કરે છે. જેની તાકાતને પડકારવી એ સરકાર માટે પણ યોગ્ય રસ્તો નથી. સાળંગપુર વિવાદમાં ઘીના ઠામમાં ઘી ઢળશે અને મામલો ઉકેલાઈ જશે. આજે સરકારની એન્ટ્રીને પગલે આ વિવાદ જલદી ઉકેલાય તેવી પૂરી સંભાવના છે. હાલમાં આ સંપ્રદાય સાથે કરોડો અનુયાયીઓ જોડાયેલા છે. ગાંધીનગર–દિલ્હીનાં અક્ષરધામ મંદિરો કે લંડન, હ્યૂસ્ટન, એટલાન્ટાનાં મંદિરોની મુલાકાતે જનારાઓને એનો પરિચય થયા વિના રહેતો નથી. 

સ્વામીનારાયાણ સંપ્રદાય હવે વહેંચાયેલો છે પણ ભગવાન સ્વામીનારાયણની વાત આવે ત્યારે દરેક એક થાય છે.  ઉત્તર પ્રદેશના છપૈયાના ઘનશ્યામ પાંડેએ એવો સ્વામીનારાયણ સંપ્રદાય રચ્યો કે વર્ષ 2000 સુધીમાં માત્ર અમેરિકામાં જ તેનાં 30 મંદિરોનું નિર્માણ થઈ ગયું હતું. અમેરિકા ઉપરાંત દક્ષિણ આફ્રિકા, પૂર્વ આફ્રિકા અને બ્રિટનમાં પણ સ્વામીનારાયણ સંપ્રદાયનાં મંદિરો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો શિલ્પ અને સ્થાપત્ય કલાના ઉત્તમ નમુનારુપ છે. ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં અમદાવાદ, ભુજ, ધોલેરા, જૂનાગઢ, ગઢડા, મૂળી, વડતાલ વગેરે સ્થળોએ ભવ્ય શિખરબદ્ધ મંદિરોનું નિર્માણ કરાવ્યુ હતું. તેમણે સૌ પ્રથમ મંદિર અમદાવાદમાં હાલના કાલુપુરમાં બનાવેલું અને છેલ્લું મંદિર ગઢડામાં. આ સિવાય પણ સ્વામિનારાયણ સંપ્રદાય આખા વિશ્વમાં ૭૫૦૦થી વધુ મંદિરો ધરાવે છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ મંદિરો બન્યાં છે. બીએપીએસ સંસ્થાએ જ ૧૫૦૦થી વધુ સ્વામિનારાયણ મંદિર અને દિલ્હી અને ગાંધીનગરમાં વિશ્વપ્રસિદ્ધ અક્ષરધામનું નિર્માણ કર્યું છે. આ સિવાય આ સંસ્થા અબુધાબી અને રોબિન્સવિલેમાં પણ મંદિર બનાવી રહી છે.

સ્વામિનારાયણ અથવા સહજાનંદ સ્વામી (૩ એપ્રિલ ૧૭૮૧ - ૧ જૂન ૧૮૩૦) સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક તથા ઇષ્ટદેવ છે. તેમનું મૂળ નામ ઘનશ્યામ પાંડે હતું અને તેમનો જન્મ ઉત્તર પ્રદેશના છપૈયા ગામે ૧૭૮૧માં થયો હતો. ૧૭૯૨માં તેમણે પ્રવાસ શરુ કર્યો અને હિમાલયથી કન્યાકુમારી, જગન્નાથપુરીથી કાઠીયાવાડ ગુજરાત એમ આખા ભારતમાં પગપાળા યાત્રા કરી હતી. ભગવાન સ્વામિનારાયણે સંપ્રદાયને દૃઢમૂળ અને ચિરસ્થાયી બનાવવા 6 જેટલાં સ્થળોએ – અમદાવાદ, ભુજ, વડતાલ, ધોલેરા, જૂનાગઢ અને ગઢડામાં શિખરબંધ મંદિરો બંધાવ્યાં હતાં. અમદાવાદની ગાદી ઉત્તરની અને વડતાલની ગાદી દક્ષિણની ગણાય છે. આ મંદિરો સમય જતાં ‘સંસ્થા’ ગણાવા લાગ્યાં. સ્વામિનારાયણ સંસ્થા તરીકે પોતાની આગવી ઓળખથી તેઓ વહીવટ કરવા લાગ્યા. આ પરંપરા આજેય ચાલુ છે.  સાળંગપુર મંદિરમાં વિવાદ થતાં આજે સ્વામીનારાયમ સંપ્રદાયના સંતો સરકાર સાથે મીટિંગ કરવાના છે. સરકારને પણ આ વિવાદ બને એટલો જલદી ઉકલે એમાં રસ છે. કારણ કે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. સરકાર પણ નથી ઈચ્છતી કે આ વિવાદ આગળ વધે કારણ કે સનાતન કે સ્વામીનારાયણ સંપ્રદાયમાં વિવાદ એ હિન્દુત્વને નુક્સાન છે. ભાજપ હિન્દુત્વને આધારે તો ચૂંટણીમાં ઝંપલાવતી હોય છે. આ વિવાદ આગળ વધે તો ચૂંટણી પર સીધી અસર થાય એ પહેલાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સક્રિય થયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news