3 રાજ્યોમાં જનતા કયા ચહેરાને જોવા માગે છે પોતાના મુખ્યમંત્રી? આ નામો પર ચાલી રહી છે ચર્ચા!

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે જીત તો હાંસલ કરી લીધી, પણ પક્ષ સામે સૌથી મોટો સવાલ એ છે કે મુખ્યમંત્રીનું પદ કોને સોંપવું. જૂના ચહેરાની પસંદગી કરવી કે પછી યુવાનોને સ્થાન આપવું. આ માટે ભાજપે ત્રણેય રાજ્યો માટે ત્રણ-ત્રણ પર્યવેક્ષકોની પસંદગી કરી છે, તેઓ જે તે રાજ્યના ધારાસભ્ય દળના નેતા એટલે કે મુખ્યમંત્રીની પસંદગી માટે પક્ષને મદદ કરશે. 

3 રાજ્યોમાં જનતા કયા ચહેરાને જોવા માગે છે પોતાના મુખ્યમંત્રી? આ નામો પર ચાલી રહી છે ચર્ચા!

ઝી બ્યુરો/નવી દિલ્હી: રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી કોણ બનશે, તેની અટકળો વચ્ચે ભાજપે ત્રણેય રાજ્યો માટે પર્યવેક્ષોના નામ જાહેર કરી દીધા છે, જે મુખ્યમંત્રીના ચહેરાની પસંદગીમાં મોટી ભૂમિકા અદા કરશે. ત્યારે કોણ છે આ પર્યવેક્ષકો અને સીમ પદની રેસમાં કોના નામ આગળ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે જીત તો હાંસલ કરી લીધી, પણ પક્ષ સામે સૌથી મોટો સવાલ એ છે કે મુખ્યમંત્રીનું પદ કોને સોંપવું. જૂના ચહેરાની પસંદગી કરવી કે પછી યુવાનોને સ્થાન આપવું. આ માટે ભાજપે ત્રણેય રાજ્યો માટે ત્રણ-ત્રણ પર્યવેક્ષકોની પસંદગી કરી છે, તેઓ જે તે રાજ્યના ધારાસભ્ય દળના નેતા એટલે કે મુખ્યમંત્રીની પસંદગી માટે પક્ષને મદદ કરશે. 

આ નામો પર નજર કરીએ તો રાજસ્થાન માટે ભાજપે પર્યવેક્ષક તરીકે રક્ષા મંત્રી રાજનાથસિંહ, પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને રાજ્યસભા સાંસદ સરોજ પાંડેનો સમાવેશ થાય છે. જ્યારે મધ્ય પ્રદેશમાં પર્યવેક્ષક તરીકે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, સંસદીય  બોર્ડના સદસ્ય કે. લક્ષ્મણ અને રાષ્ટ્રીય સચિવ આશા લકડાનો સમાવેશ થાય છે. 

તો છત્તીસગઢના પર્યવેક્ષકો તરીકે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, અસમના પૂર્વ સીએમ સર્વાનંદ સોનોવાલ તેમજ મહાસચિવ દુષ્યંત કુમાર ગૌતમની પસંદગી કરી છે. પર્યવેક્ષકો પોતાને સોંપવામાં આવેલા રાજ્યોમાં જશે અને ત્યાં ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજશે. રવિવાર સુધી ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીના નામ પર મહોર લાગી શકે છે. 3 રાજ્યોના મુખ્યમંત્રીની પસંદગી ભલે બાકી હોય, પણ ભાજપમાં આ માટે કેટલાક નામો પર અટકળો થઈ રહી છે. 

ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રી પદના દાવેદારો પર નજર કરીએ તો, મધ્ય પ્રદેશમાં સૌથી પહેલું નામ છે શિવરાજસિંહ, જેઓ ચાર ટર્મથી મુખ્યમંત્રી છે. આ ઉપરાંત પ્રહલાદ પટેલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, નરેન્દ્ર સિંહ તોમર અને કૈલાશ વિજયવર્ગીયનું નામ પણ સંભવિતોમાં છે.

વાત રાજસ્થાનની કરીએ તો અહીં પણ મુખ્યમંત્રીના દાવેદારોમાં ઘણા નામ સામે આવ્યા છે. સૌથી મોટા દાવેદાર વસુંધરા રાજે સિંધિયા છે. આ ઉપરાંત કેન્દ્રિય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન રામ મેઘવાલ, પ્રદેશ અધ્યક્ષ સી પી જોશી, દીયાકુમારી અને મહંત બાલકનાથના નામ પણ ચર્ચામાં છે.

છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદના દાવેદારો પર નજર કરીએ તો, તેમાં પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહનું નામ ટોચ પર છે. જો કે પક્ષના પ્રદેશ અધ્યક્ષ અરુણકુમાર સાવ, વિપક્ષના નેતા ધરમલાલ કૌશિક અને પૂર્વ આઈએએસ ઓપી ચૌધરી પણ દાવેદારોમાં સામેલ છે.

આ દરમિયાન વિધાનસભાની ચૂંટણી જીતેલા ભાજપના તમામ સાંસદોએ સાંસદ પદેથી રાજીનામા આપી દીધા છે. આ દરમિયાન સૂત્રોએ એક મોટો દાવો એ કર્યો છે કે ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગી માટે ભાજપ ગુજરાત મોડેલને અપનાવી શકે છે. જેમાં મુખ્યમંત્રી અને મંત્રીઓમાં બિલકુલ નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે. શનિવાર સુધી ચહેરા અંગેની સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે. ગુજરાતમાં ભાજપે જ્યારે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી, ત્યારે જનતા ઉપરાંત ભાજપના જ નેતાઓમાં પણ આશ્ચર્ય સર્જાયું હતું. કેમ કે તેમનું નામ સીએમ પદના દાવેદારોમાં ક્યાંય હતું જ નહીં. ત્યારે હવે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ ભાજપ આ જ મોડેલને અપનાવે છે કે કેમ તેના પર સૌની નજર છે.

મુખ્યમંત્રીની પસંદગી કરીને ભાજપ ઘણા સંકેત આપી શકે છે. હાલના તબક્કે ભાજપ આ માટે 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખે તેની સૌથી વધુ શક્યતા છે. જો કે ચહેરાની પસંદગીમાં ચોંકાવનારા અને આઉટ ઓફ ધ બોક્સ નિર્ણય લેવા ભાજપની રાજકીય તાસીર રહી છે. ત્યારે જોવું એ રહેશે કે આ વખતે ભાજપ આ વખતે કોઈ મોડેલને અનુસરે છે કે પછી નવા મોડેલનું સર્જન કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news