પીએમ ઉમેદવાર પર ચર્ચા કરવાનો આ યોગ્ય સમય નથીઃ મમતા બેનરજી

પીએમ ઉમેદવાર પર ચર્ચા કરવાનો આ યોગ્ય સમય નથીઃ મમતા બેનરજી

કોલકાતાઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 2019ની લોકસભા ચૂંટણીમાં વિરોધ પક્ષના ગઠબંધનના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાના સવાલના જવાબમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે જણાવ્યું કે, અત્યારે પીએમ ઉમેદવાર વિશે વાત કરવાનો યોગ્ય સમય નથી. ચૂંટણી આવવા દો, અમે બધા જ મજબુતી સાથે ઊભા છીએ અને સાથે કામ કરી રહ્યા છીએ, રાજકીય પક્ષો ભેગા થઈને જે નિર્ણય લેશે તે જ જવાબ હશે.

આ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 2019ની લોકસભા ચૂંટણીમાં વિરોધ પક્ષના ગઠબંધનના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવા માટે ડીએમકે નેતા એમ.કે. સ્ટાલિનના પ્રસ્તાવ અંગે સપા પ્રમુખ અખિલેશ યાદવે સોમવારે જણાવ્યું હતું કે, ગઠબંધનમાં આવો મત હોય એવું હાલ કશું નક્કી નથી. 

અખિલેશે જણાવ્યું હતું કે, દેશની પ્રજા ભાજપથી નારાજ છે એટલે ત્રણ રાજ્યોમાં કોંગ્રેસને વિજય મળ્યો છે. મમતાજી (પ.બંગાળના મુખ્યમંત્રી), પવાર જી (એનસીપી નેતા શરદ પવાર) અને અન્ય લોકોએ 2019ની લોકસભા ચૂંટણી પહેલા ગઠબંધન બનાવવા માટે તમામ નેતાઓને સાથે લાવવાનો પ્રયાસ કર્યો છે. 

સ્ટાલિને જણાવ્યું હતું કે રાહુલમાં છે મોદી સરકારને હરાવાની ક્ષમતા
ઉલ્લેખનીય છે કે ડીએમકે નેતા એમ.કે. સ્ટાલિને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને દેશના આગામી વડા પ્રધાન બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરતા રવિવારે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને હરાવાની ક્ષમતા છે. 

સ્ટાલિન ચેન્નાઈમાં પક્ષના વડા મથક ખાતે ડીએમકે નેતા અને તેમના દિવંગત પિતા એમ. કરૂણાનિધીની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ એક રેલીને સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 2018માં થેલૈવાર કલાઈગ્નારની પ્રતિમાના અનાવરણ પ્રસંગે હું પ્રસ્તાવ રજુ કરું છું કે અમે દિલ્હીમાં નવો વડા પ્રધાન બનાવીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news