"BJP અને અમારા રામ વચ્ચે મોટું અંતર છે": શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી

સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યું કે, સંતોની ઈચ્છા છે કે અયોધ્યામાં રામ લલ્લાના મંદિરનું નિર્માણ થવું જોઈએ અને ભાજપે આ વખતે પોતાનું આ વચન પુરું કરીને બતાવવું જોઈએ 
 

"BJP અને અમારા રામ વચ્ચે મોટું અંતર છે": શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી

મથુરાઃ દ્વારકા-શારદાપીઠ અને જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ ફરીથી નરેન્દ્ર મોદી સરકાર બન્યા પછી ભાજપને જૂનું વચન યાદ અપાવ્યું છે. તેમણે કહ્યું કે, હવે આ સરકારે અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિરની સ્થાપના કરવાનું વચન જરૂર પુરું કરવું જોઈએ. તેઓ અહીં વૃન્દાવનમાં એક દિવસના પ્રવાસે આવ્યા હતા. 

તેમણે પત્રાકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "ભારતીય જનતા પાર્ટી વર્ષોથી અયોધ્યામાં રામ મંદિર નિર્માણની વાત કરતી આવી છે, પરંતુ તેણે આ મુદ્દાને ક્યારેય ગંભીરતાથી લીધો નથી. કેમ કે ભાજપના રામ અને ધર્માચાર્યોના રામમાં મોટું અંતર છે."

તેમણે કહ્યું કે, "ભાજપના રામ આદર્શ મહાપુરુષ છે, જ્યારે અમારા રામ આરાધ્ય રામ છે. સંતોની ઈચ્છા છે કે અયોધ્યામાં રામ લલ્લાના મંદિરનું નિર્માણ થવું જોઈએ અને ભાજપે આ વખતે પોતાનું આ વચન પુરું કરીને બતાવવું જોઈએ". તેમણે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ બાબતે એવી દલીલ પણ કરી કે ત્યાં રામ જન્મભૂમિ પર મસ્જિદ નામની ક્યારેય કોઈ ઈમારત કે જમીન ન હતી. અહીં ક્યારેય બાબર આવ્યો નથી કે ઈતિહાસમાં પણ આવી કોઈ મસ્જિદનો ઉલ્લેખ નથી. 

સ્વરૂપાનંદે વધુમાં જણાવ્યું કે, "ભાજપે જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 દૂર કરવાના, વિદેશોમાં ગૌમાંસની નિકાસ પર પ્રતિબંધ, ગૌરક્ષા માટે પગલાં લેવા, દેશની પવિત્ર નદીઓને પ્રદુષણ મુક્ત કરવા જેવા અનેક વચનો વર્ષોથી આપ્યા છે. જેને હવે પુરા કરવાનો સમય આવી ગયો છે."

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news