PM મોદી આજે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ધાટન, ફક્ત 8.30 કલાકમાં નોઈડાથી ગાઝીપુર પહોંચી શકાશે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પૂર્વાંચલ એક્સપ્રેસ વેના ઉદ્ધાટન પહેલા સોમવારના રોજ એક્સપ્રેસ વેની એર સ્ટ્રિપ પર પહોંચ્યા અને તૈયારીઓની સમીક્ષા કરી. અહીંથી આજે પ્રધાનમંત્રી મોદી પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું દેશને લોકાર્પણ કરશે.

PM મોદી આજે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ધાટન, ફક્ત 8.30 કલાકમાં નોઈડાથી ગાઝીપુર પહોંચી શકાશે

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 1.30 વાગે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું દેશને લોકાર્પણ કરશે. લખનૌથી ગાઝીપુરને જોડતો આ 341 કિલોમીટર લાંબા આ પૂર્વાંચલ એક્સપ્રેસ વેને બનાવવામાં કુલ 36 મહિના લાગ્યા જ્યારે તેમાં કુલ ખર્ચો 22,500 કરોડ રૂપિયાનો થયો. તેના ઉદ્ધાટન બાદ ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગની રાજધાની લખનૌ સાથે કનેક્ટિવિટી સારી બનશે. આ સાથે જ પૂર્વ યુપીના જિલ્લાઓનું દિલ્હી અને નોઈડા વચ્ચેનું અંતર પણ ઓછું થઈ જશે.

વિકાસના દ્વાર ખોલશે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે એરસ્ટ્રિપની મુલાકાત લીધી અને મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે આ પૂર્વાંચલમાં વિકાસના દ્વાર ખોલશે. તેનાથી ઉત્તર પ્રદેશ અને બિહાર બંનેને ફાયદો થશે. આ સાથે જ તે ડબલ એન્જિનની સરકારની ગિફ્ટ પણ હશે. સીએમ યોગીએ જણાવ્યું કે આ એરસ્ટ્રિપ પર પ્રધાનમંત્રીની હાજરીમાં એર શો થશે. આ એર શોમાં મિરાજ-2000, સુખોઈ-30 અને જગુઆર વિમાનો ભાગ લેશે. પરંતુ તે અગાઉ પ્રધાનમંત્રી મોદી પોતે હર્ક્યુલસ વિમાનથી આ પૂર્વાંચલ એક્સપ્રેસ વચ્ચે બનેલી હવાઈ પટ્ટી પર ઉતરણ કરશે. 

— Narendra Modi (@narendramodi) November 15, 2021

અત્રે જણાવવાનું કે છેલ્લા 3 દિવસથી વિમાનોના ટચડાઉનનું રિહર્સલ ચાલુ છે. પ્રધાનમંત્રીની સામે વિમાન આ એર સ્ટ્રિપ પર ટચ એન્ડ ગો શો ઉપરાંત ત્રણેય ફાઈટર પ્લેન જગુઆર, મિરાજ અને સુખોઈ યુદ્ધ સમયે કેવી રીતે કામ કરે છે કઈ રીતે એર સ્ટ્રિપ પર ગ્રાઉન્ડ સ્ટાફ ઝટપટ તૈયારી કરે છે તે બધાનું પ્રદર્શન કરશે. છેલ્લે ત્રણ કિરણવાળા એરને પણ દેખાડવામાં આવશે.

ફક્ત 8.30 કલાકમાં નોઈડાથી ગાઝીપુર પહોંચી શકાશે
પૂર્વાંચલ એક્સપ્રેસ વેના ઉદ્ધાટન બાદ નોઈડાથી ગાઝીપુર જવું સરળ  બનશે. ફક્ત 8.30 કલાકમાં પહોંચી શકાશે. નોઈડાથી આગ્રાને જોડનારો યમુના એક્સપ્રેસ વે 165 કિમીનો છે જે 2 કલાકમાં અંતર કાપી શકાય છે. ત્યારબાદ આગ્રા-લખનૌ એક્સપ્રેસ વેની લંબાઈ 302 કિમી છે, આ અંતર કાપતા 3 કલાકનો સમય લાગશે. લખનૌથી ગાઝીપુરને જોડતો પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું અંતર 341 કિમી છે જે તમે સાડા ત્રણ કલાકમાં અંતર કાપી શકશો. આ ત્રણેય એક્સપ્રેસ વે દ્વારા તમે 800થી વધુ કિમીનું અંતર ફક્ત 8.30 કલાકમાં કાપી શકશો. 

યુપીના આ 9 શહેરોમાંથી પસાર થશે પૂર્વાંચલ એક્સપ્રેસ વે
પૂર્વાંચલ એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશના 9 શહેરોમાંથી પસાર થશે. આ એક્સપ્રેસ વે રાજ્યના લખનૌ, બારાબંકી, અયોધ્યા, આંબેડકરનગર, અમેઠી, સુલતાનપુર, આઝમગઢ, મઉ અને ગાઝીપુર જિલ્લાઓની સરહદોમાંથી પસાર થશે. આ એક્સપ્રેસ વેના કારણે વારાણસી, ગોરખપુર, પ્રયાગરાજ જેવા જિલ્લાઓને પણ ફાયદો થશે. 

અયોધ્યા-ગોરખપુર જનારાને પણ થશે ફાયદો
પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર જ્યારે તમે 80 કિમી સુધી જશો તો અયોધ્યા માટે પણ એક કટ અપાયો છે. અહીંથી અયોધ્યા માત્ર 50 કિમીના અંતરે છે. તમે ફક્ત એક કલાકમાં અયોધ્યા પહોંચી જશો. પૂર્વાંચલ એક્સપ્રેસ વેથી ગોરખપુરને જોડવા માટે એક લિંક એક્સપ્રેસ વે પણ બનાવવામાં આવી રહ્યો છે. બધુ મળીને યુપી સરકાર સારી કનેક્ટિવિટી પર કામ કરી રહી છે. ચૂંટણી પહેલા સરકારના જનતા સાથે કનેક્શનના ટાર્ગેટને પૂરા કરવાની કોશિશ પણ છે. 

કેટલો ટોલ લાગશે
પૂર્વાંચલ એક્સપ્રેસથી સરકારને ટોલ દ્વારા લગભગ 202 કરોડ રૂપિયાનું રાજસ્વ મળશે. જો કે હાલ લોકોએ આ ટોલ આપવો પડશે નહીં એટલે કે થોડા દિવસ માટે આ મુસાફરી મફત રહેશે. હકીકતમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સ વસૂલવાનું કામ પ્રાઈવેટ કંપનીને સોંપાશે અને આ કંપની જલદી પ્રતિ કિલોમીટર પ્રમાણે ટોલના દર નક્કી કરશે. હાલ એક્સપ્રેસ વે પર ટોલના દર નક્કી નથી. પરંતુ માનવામાં આવે છે કે તેના દર લખનૌ-આગ્રા એક્સપ્રેસ વેના દરની આજુબાજુ જ રાખવામાં આવશે. આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર મુસાફરી કરવા માટે કાર, જીપ, વેન અને હળવા મોટર વાહનોએ 600 રૂપિયા ટોલ આપવો પડે છે. આ ઉપરાંત હળવા વ્યવસાયિક, હળવા માલવાહક અને મિની બસોએ 945 રૂપિયા આપવા  પડે છે. બસ અને ટ્રોએ 1895 રૂપિયા, ભારે ભરખમ કાર્ય મશીન વાહનોએ 2915 રૂપિયા અને વિશાળ વાહનોએ 3745 રૂપિયા ચૂકવવા પડે છે. 

ફક્ત 3 વર્ષમાં તૈયાર થયો પૂર્વાંચલ એક્સપ્રેસ વે
ફક્ત 3 વર્ષમાં 22500 કરોડ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થયેલો પૂર્વાંચલ એક્સપ્રેસ વે 8 લેનનો છે. પરંતુ ભવિષ્યમાં તેને 8 લેનમાં પણ ફેરવી શકાય તેવી વ્યવસ્થા છે. એક્ઝિક્યુટીવ એન્જિનિયર દેવેન્દ્ર કુમારે જણાવ્યું કે 120ની સ્પીડ ડિઝાઈન કરાઈ છે. પરંતુ સ્પીડ લિમિટ 100 કિમી પ્રતિ કલાક રખાઈ છે. ક્રેશ બેરિયરને એક્સપ્રેસ વેની ચારેબાજુ ઉપયોગમાં લેવાયા છે. એક્સપ્રેસ વે ને Q4 થી બનાવવામાં આવ્યો છે. 

સુરક્ષાનો ખાસ ખ્યાલ રખાયો છે
ગાઝીપુર જવા માટે તમે જ્યારે લખનૌ તરફથી 9 કિમી આગળ વધશો તો  તમને પહેલો ટોલ પ્લાઝા મળશે. 16 બૂથ ટોલ કલેક્શન માટે બનાવવામાં આવ્યા છે. આ એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે છે. આથી સુરક્ષાનો ખાસ ખ્યાલ રખાયો છે. પૂર્વાંચલનો આ એક્સપ્રેસ વે 100 વર્ષ પ્રમાણે તૈયાર કરાયો છે. તેની ડિઝાઈનમાં ખાસ વાતોનું ધ્યાન રખાયું છે. આ એક્સપ્રેસ વે પર 18 ફ્લાયઓવર, 7 રેલવે ઓવર બ્રિજ, 7 મોટા પુલ, 118 નાના પુલ, 13 ઈન્ટરચેન્જ, 8 ટોલ પ્લાઝા, 271 અંડરપાસ, 503 નાના પુલ બનાવવામાં આવ્યા છે. કુલ 13 કટ અપાયા છે. જ્યાંથી તમે આ એક્સપ્રેસ વે પર જઈ શકો છો અને ઉતરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news