#CBIvsMamata: મમતાના ધરણાને વિરોધ પક્ષોનું ભરપૂર સમર્થન, શિવસેનાનો પણ સપોર્ટ, જાણો શું કહ્યું

કોલકાતામાં સીબીઆઈ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ધરણા પર બેઠેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને ભાજપ વિરોધી અનેક પક્ષોના સમર્થનની સાથે સાથે એનડીએના જ પ્રમુખ સહયોગી શિવસેનાનું પણ સમર્થન મળી રહ્યું છે. એનડીએના સહયોગી શિવસેનાએ કહ્યું કે પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યના મુખ્યમંત્રી ધરણા પર બેસે તે ગંભીર મામલો છે. 

#CBIvsMamata: મમતાના ધરણાને વિરોધ પક્ષોનું ભરપૂર સમર્થન, શિવસેનાનો પણ સપોર્ટ, જાણો શું કહ્યું

નવી દિલ્હી: કોલકાતામાં સીબીઆઈ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ધરણા પર બેઠેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને ભાજપ વિરોધી અનેક પક્ષોના સમર્થનની સાથે સાથે એનડીએના જ પ્રમુખ સહયોગી શિવસેનાનું પણ સમર્થન મળી રહ્યું છે. એનડીએના સહયોગી શિવસેનાએ કહ્યું કે પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યના મુખ્યમંત્રી ધરણા પર બેસે તે ગંભીર મામલો છે. તેમણે કહ્યું કે શું આ સીબીઆઈ વિરુદ્ધ મમતા બેનરજી છે કે પછી મમતા બેનરજી વિરુદ્ધ ભાજપ, એ તો આપણને જલદી માલુમ પડી જશે. જો સીબીઆઈનો દુરઉપયોગ થઈ રહ્યો છે તો તે રાષ્ટ્રની ગરિમા અને કેન્દ્રીય એજન્સીની પ્રતિષ્ઠાનો મામલો છે. 

અખિલેશ યાદવ
આ બાજુ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે આવી ઘટનાઓ ફક્ત પશ્ચિમ બંગાળમાં જ નથી થઈ રહી. પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી પણ આવા અહેવાલો આવી રહ્યાં છે. ચૂંટણી નજીક આવતા જ ભાજપ અને કેન્દ્ર સરકાર સીબીઆઈનો દુરઉપયોગ કરે છે. ફક્ત હું જ નહીં, સમાજવાદી પાર્ટી નહીં પરંતુ તમામ રાજકીય પક્ષો આવું કહે છે. 

અખિલેશ યાદવે કહ્યું કે પહેલા સીબીઆઈ આપસમાં જ ગૂંચવાયેલી હતી, કેન્દ્રને સીબીઆઈ ડાઈરેક્ટરથી ડર લાગતો હતો. હવે તેઓ સીબીઆઈથી બધાને ડરાવવા માંગે છે. હવે કહો કે સંસ્થાનો દુરઉપયોગ કોણ કરે છે? જો કોઈએ સંસ્થાનું રાજનીતિકરણ કર્યું હોય તો તે ભાજપ છે. 

કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ
ગુલામ નબી આઝાદે કહ્યું કે જે દિવસથી કેન્દ્રમાં ભાજપની સરકાર આવી છે તેમનું ધ્યાન દેશ માટે કામ કરવાનું ઓછુ અને વિપક્ષી પાર્ટીઓને ખતમ કરવામાં વધુ રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ આ જ કામ કરી રહ્યાં છે. દેશમાં  ભાજપથી વધુ ભ્રષ્ટાચારી કોઈ પાર્ટી નથી. 

નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા
ફારુક અબ્દુલ્લાએ  કહ્યું કે મમતા બેનરજીનો આરોપ એકદમ યોગ્ય છે. દેશ પર તાનાશાહી શાસનનો ખતરો તોળાઈ રહ્યો છે. આ લોકો દેશના માલિક નથી, જનતા માલિક છે. 

સોમવારે સવારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ આ મામલે કહ્યું કે અમે લોકો દિલ્હીમાં સોમમવારે તમામ વિપક્ષી નેતાઓની સાથે ચર્ચા કરીશું. આ સાથે જ દેશમાં આંદોલન ચલાવવાને લઈને રણનીતિ પણ તૈયાર કરીશું. ટીડીપીના સાંસદ આ મામલે અન્ય વિપક્ષી દળોના સાંસદો સાથે  ધરણા આપશે. 

સંસદના બંને સદનોમાં હોબાળો
અત્રે જણાવવાનું કે શારદા ચીટ ફંડ મામલે સીબીઆઈના કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ કરવાના મામલે સોમવારે સંસદના બંને સદનમાં હોબાળો થયો. હોબાળાના પગલે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરાઈ હતી. લોકસભામાં પણ ખુબ હોબાળો થયો. શૂન્યકાળમાં ટીએમસીએ સદનમાં આ મુદ્દો ઉઠાવ્યો. 

કેન્દ્રએ રાજ્યપાલ પાસે માંગ્યો રિપોર્ટ
લોકસભામાં કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે પહેલા આવી ઘટના ક્યારેય થઈ નથી. સીબીઆઈના અધિકારીઓને રોકવામાં આવ્યાં. જનતાની કમાણીને શારદા સમૂહે હડપી લીધી. સીબીઆઈના ઓફિસરોને બળજબરીથી પોલીસ સ્ટેશન લઈ જવાયા. તેમણે કહ્યું કે મેં રાજ્યપાલ પાસે રિપોર્ટ માંગ્યો છે. પશ્ચિમ બંગાળ સરકાર તપાસમાં મદદ કરે. 

તેમણે કહ્યું કે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ પ્રમુખ સચિવ અને ડીજીપીને સમન જારી કર્યું છે. રાજ્યપાલને જલદી સ્થિતિ ઠીક કરવાના નિર્દેશ અપાયા છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ તરફથી શારદા ચીટ  ફંડ કૌભાંડમાં અપાયેલી તપાસના આદેશ બાદ કાર્યવાહીનું પગલું લેવાયું હતું. પોલીસ કમિશનરને અનેકવાર સમન પાઠવવામાં આવ્યાં હતાં. પરંતુ તેઓ હાજર થયા નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news