નૂહમાં ગેરકાયદેસર દબાણો પર ચાલ્યું બુલડોઝર, 50થી વધુ દુકાનો, અનેક મકાનોને ધ્વસ્ત કરાયા

હરિયાણાના નૂહમાં હિંસા બાદ સરકાર સક્રિય થઈ ગઈ છે. હિંસામાં સામેલ લોકોના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યાં છે. નૂહમાં 50થી વધુ દુકાનો અને અનેક મકાનો પર બુલડોઝર ચાલ્યું છે. 5 જિલ્લામાં કુલ 102 FIR,નોંધાઈ છે અને 200થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

નૂહમાં ગેરકાયદેસર દબાણો પર ચાલ્યું બુલડોઝર, 50થી વધુ દુકાનો, અનેક મકાનોને ધ્વસ્ત કરાયા

નૂહઃ હરિયાણાના નૂહમાં હિંસા બાદ જ્યાં હજુ તણાવનો માહોલ છે, ત્યાં જિલ્લા વહીવટી તંત્રએ ગેર કાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવાની મેગા ડ્રાઈવ શરૂ કરી છે. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનેલી દુકાનો અને ઝુંપડપટ્ટી પર મોટી સંખ્યામાં બુલડોઝર ફેરવી દેવાયા. અનેક એકર જમીન ખુલ્લી કરાવાઈ. આ કવાયત હિંસાના આરોપીઓ સામે એક મોટી કાર્યવાહી છે, કેમ કે જે દબાણો પર બુલડોઝર ફર્યા છે, તેમાંથી મોટાભાગના દબાણો હિંસાના આરોપીઓના હતા. રાજ્ય સરકારની આ કાર્યવાહી આગામી સમયમાં પણ યથાવત્ રહે તેવી સંપૂર્ણ શક્યતા છે. 

હરિયાણાના નૂહમાં જ્યાં હિંસાની તપાસ ચાલી રહી છે, મોટી સંખ્યામાં શકમંદોની ધરપકડ કરાઈ છે, ત્યાં હવે તંત્રએ બુલડોઝર એક્શન પણ શરૂ કરી દીધી છે...જિલ્લામાં મોટી સંખ્યામાં ગેકકાયદેસર બાંધકામોને જમીનદોસ્ત કરી દેવાયા. સરકારી જમીનો પર દબાણ કરીને બનાવેલી પાકી દુકાનો, ઝુંપડા અને સ્ટોલ પર બુલડોઝર ફરી વળ્યા...નાલ્હરમાં 40થી વધુ દુકાનો કાટમાળમાં ફેરવાઈ ગઈ. આ ગેરકાયદેસર બાંધકામોમાં એ લોકોએ કરેલા બાંધકામોનો પણ સમાવેશ થાય છે, જેઓ હિંસામાં સામેલ હતા. 

આ જ કારણ છે કે મુખ્યમંત્રીના આદેશ બાદ જિલ્લા વહીવટી તંત્રએ ડિમોલિશનની કાર્યવાહી કરી હતી. SHKM ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પાસ સરકારી જમીન પરથી જે દબાણો દૂર કરાયા છે, ત્યાં 31મી જુલાઈના રોજ હિંસા ભડકી હતી, વાહનોને આગ ચાંપવામાં આવી હતી તેમજ પથ્થરમારો કરાયો હતો. હવે સરકારે તોફાની તત્વો પર ગાળિયો કસ્યો છે.

ડેમોલિશનના કાર્યવાહી દરમિયાન ફરી બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જો કે રેપિડ એક્શન ફોર્સ તેમજ પોલીસે તુરંત પરિસ્થિતિ પર કાબૂ મેળવીને કલમ 144 લાગુ કરી દીધી હતી. નૂહમાં હજુ પણ ઈન્ટરનેટ સેવાઓ બંધ છે.

શુક્રવારે તંત્રએ નૂહમાં તાવડુ રોહિંગ્યાઓ અને ઘૂસણખોરોના ગેરકાયદેસર બાંધકામો પર પણ બુલડોઝર ચલાવ્યા હતા. હરિયાણા સરકારની જમીન પર દબાણ કરીને ઉભા કરવામાં આવેલા 200 જેટલા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા હતા. આ ઝુંપડાઓમાં બાંગ્લાદેશથી આવેલા ઘૂસણખોરો પણ રહેતા હતા, જેમાંથી ઘણા લોકો હિંસામાં સામેલ હતા.

31 જુલાઈએ નૂંહ મેવાતમાં યોજાયેલી બ્રિજમંડલ યાત્રા દરમિયાન પથ્થરમારો કરાયો હતો, આગચંપી અને ફાયરિંગ પણ કરાયું. જેમાં હોમગાર્ડના બે જવાનો સહિત 6 લોકોના મૃત્યુ થયા છે. હિંસાની આગ નૂંહ બાદ ગુરુગ્રામ, પલવલ, ફરિદાબાદ અને રેવાડીમાં પણ ભડકી હતી. આ પાંચેય જિલ્લામાં અત્યાર સુધી 102 FIR દાખલ કરીને 200થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે. રાજ્યના ગૃહ મંત્રીનો દાવો છે કે આ હિંસા પૂર્વ આયોજિત કાવતરું હતી.

પોલીસ હિંસા સમયના વીડિયોના આધારે કાર્યવાહી કરી રહી છે. જેને જોતાં આગળ હજુ પણ ધરપકડો થાય તેવી શક્યતા છે. હવે રાહ એ જોવાઈ રહી છે કે હરિયાણામાં માહોલ ક્યારે સામાન્ય થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news