AIIMS ના ડાયરેક્ટરે શાળાઓ ખોલવાની વાતનું કર્યું સમર્થન, કહ્યું- 'બાળકોની ઈમ્યુનિટી મજબૂત'

AIIMS ના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા ( AIIMS Director Dr Randeep Guleria)એ ત્રીજી લહેરની આશંકા વચ્ચે પણ શાળાઓ ખોલવાની વકિલાત કરી છે અને આ માટે તેમણે ખાસ રણનીતિ બનાવવાનું સૂચન પણ આપ્યું છે. 

AIIMS ના ડાયરેક્ટરે શાળાઓ ખોલવાની વાતનું કર્યું સમર્થન, કહ્યું- 'બાળકોની ઈમ્યુનિટી મજબૂત'

નવી દિલ્હી: કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે બાળકો પર તેનો સૌથી વધુ ખતરો હોવાનું કહેવાઈ રહ્યું છે અને આજ કારણે અનલોકની પ્રક્રિયા બાદ પણ શાળાઓને હજુ પણ ખોલવામાં આવી નથી. જો કે AIIMS ના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા ( AIIMS Director Dr Randeep Guleria)એ ત્રીજી લહેરની આશંકા વચ્ચે પણ શાળાઓ ખોલવાની વકિલાત કરી છે અને આ માટે તેમણે ખાસ રણનીતિ બનાવવાનું સૂચન પણ આપ્યું છે. 

પ્રથમ લોકડાઉનથી બંધ જ છે શાળાઓ
ડો.ગુલેરિયાએ કહ્યું કે તમામ રાજ્ય સરકારોએ ખાસ રણનીતિ પર કામ કરીને શાળાઓ ખોલવા પર વિચાર કરવો જોઈએ. દેશના મોટાભાગના રાજ્યોમાં ગત વર્ષ માર્ચથી પહેલું લોકડાઉન લાગ્યું ત્યારબાદથી શાળાઓ બંધ છે અને હવે તેને ફરીથી ચાલુ કરવા પર કામ કરવાની જરૂર છે. 

કોરોનાકાળમાં વર્ચ્યુઅલી ક્લાસ ચાલી રહ્યા છે અને વિદ્યાર્થીઓ ઘરે રહીને જ અભ્યાસ કરે છે. કેન્દ્ર સરકારે હવે ધીરે ધીરે અનલોકની પ્રક્રિયા આગળ વધારવાના ક્રમમાં ગત ઓક્ટોબર મહિનામાં શાળાઓ ખોલવાની પણ મંજૂરી આપી હતી જો કે અનેક રાજ્યોમાં વિદ્યાર્થીઓ સંક્રમિત થયા બાદ આ નિર્ણય પાછો ખેંચાયો અને શાળાઓ પર ફરીથી મહામારીનું તાળું લટકી ગયું. 

અનેક જિલ્લાઓમાં સંક્રમણ દર ખુબ ઓછો
ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ ડો. ગુલેરિયાએ કહ્યું કે શાળાઓ ફરીથી ખોલવાનું સમર્થન કરું છું પરંતુ આ કામ એ જિલ્લાઓમાં શરૂ થવું જોઈએ જ્યાં કોરોનાના કેસ ખુબ ઓછા છે. જે જિલ્લાઓમાં સંક્રમણ દર પાંચ ટકાથી પણ નીચે છે, ત્યાં શાળાઓ ફરીથી ખોલી શકાય છે. 

એમ્સ ડાયરેક્ટરે બાળકોમાં સંક્રમણ દરને લઈનને જાણકારી આપતા કહ્યું કે દેશમાં એવા બાળકોની સંખ્યા ખુબ ઓછી છે જે વાયરસની ઝપેટમાં આવેલા છે અને મોટાભાગના બાળકોની ઈમ્યુનિટી ખુબ મજબૂત છે. તેમણે કહ્યું કે અનેક બાળકોમાં તો વાયરસ સામે લડવા માટે નેચરલ ઈમ્યુનિટી પણ તૈયાર થઈ ગઈ છે. આવામાં જે બાળકો ઓનલાઈન ક્લાસ લેવામાં સક્ષમ નથી તેમના માટે શાળાઓ ફરીથી ખોલવી જોઈએ. 

સપ્ટેમ્બર સુધીમાં બાળકોની રસી
ડોક્ટર ગુલેરિયાએ એ વાત ઉપર પણ ભાર મૂક્યો કે હાલાતની સતત સમીક્ષા કરવામાં આવે અને જો સંક્રમણ ફેલાવવાની સ્થિતિ પેદા થાય તો તત્કાળ શાળાઓને બંધ પણ કરી શકાય છે.  તેમણે સૂચન આપ્યું કે વૈકલ્પિક રીતે બાળકોને શાળાએ મોકલી શકાય છે, આ સિવાય પણ અનેક ઉપાય છે જેના પર કામ કર્યા બાદ શાળાઓ ફરીથી ખોલી શકાય છે. 

તેમણે કહ્યું કે કોરોના પ્રોટોકોલનું પાલન કરતા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે શાળાઓ ફરીથી ખોલી શકાય છે. આ સાથે જ ત્યાં યોગ્ય રીતે વેન્ટિલેશનની વ્યવસ્થા કરવાની જરૂર રહેશે. બાળકો માટેની રસી મુદ્દે ડો.ગુલેરિયાએ કહ્યું કે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં બાળકોની રસી આવી શકે છે. કારણ કે બાળકોની કોવેક્સિનની ક્લિનિકલ ટ્રાયલથી ભેગા થયેલા ડેટા એ વાતનું આશાનું કિરણ આપે છે. 

ભારતમાં કોરોના લેટેસ્ટ અપડેટ
દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં 30,093 નવા કેસ નોંધાયા છે. જ્યારે 374 લોકોના કોરોનાથી જીવ ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં રસીના કુલ 41,18,46,401 ડોઝ અપાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news