જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં એક નવા યુગની શરૂઆત થઈ છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોનું વર્તમાન સુધરશે અને તેમનું ભવિષ્ય સુરક્ષિત બનશે
 

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં એક નવા યુગની શરૂઆત થઈ છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અને 35A નાબૂદ થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં એક નવા યુગની શરૂાત થઈ છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોનું વર્તમાન સુધરશે અને તેમનું ભવિષ્ય સુરક્ષિત બનશે. 

પીએણ મોદીએ જણાવ્યું કે, અગાઉની સરકારો એક કાયદો બનાવીને વાહવાહી લૂટતી હતી, પરંતુ તેઓ એવો દાવો કરી શક્તી ન હતી કે તેમનો કાયદો જમ્મુ-કાશ્મીરમાં લાગુ થશે. જમ્મુ-કાશ્મીરના દોઢ કરોડથી વધુ લોકો તેનાથી વંચિત રહી જતા હતા. કલમ-370ની સાથે પણ આવો જ ભાવ હતો. તેના કારણે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના આપણાં ભાઈ-બહેનોને નુકસાન પહોંચતું હતું, પરંતુ તેની ક્યાંય ચર્ચા થતી ન હતી. 

આશ્ચર્ય તો એ વાતનું છે કે, કોઈની પણ સાથે વાત કરો, કોઈ એવું જણાવી શક્તું ન હતું કે કલમ-370થી જમ્મુ-કાશ્મીરના લોકોના જીવનમાં શો ફાયદો થયો? આપણા દેશમાં કોઈ પણ સરકાર હોય, તે સંસદમાં કાયદો બનાવીને દેશની ભલાઈ માટે કામ કરે છે. કોઈ પણ પક્ષની સરકાર હોય, કોઈ પણ ગઠબંધનની સરકાર હોય, આ કામ સતત ચાલતું રહે છે. 

સંસદમાં કાયદો ઘડવાની પ્રક્રિયામાં ઘણી બધી ચર્ચા થાય છે, ચિંતન-મનન પણ થાય છે. જે-તે કાયદાની જરૂરિયાત અંગે ગંભીર પક્ષ રજૂ કરવામાં આવે છે. આટલી લાંબી પ્રક્રિયામાં પસાર થઈને જે કાયદો બને છે તે સમગ્ર દેશનું ભલું કરે છે. જોકે, કોઈ કલ્પના કરી નહીં શકે કે, ભારતની સંસદમાં જેટલી સંખ્યામાં કાયદા બનતા હતા તે દેશના એક ભાગમાં લાગુ થતા ન હતા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, હવે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અને 35A નાબૂદ થઈ જવાથી દેશની સંસદમાં બનતા તમામ કાયદા અહીં પણ લાગુ થશે, જેનો ફાયદો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં રહેતી 1.50 કરોડની પ્રજાને થશે. પ્રદેશમાં વિકાસની નવી ઈબારતો લખવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા રાજ્યસભા અને લોકસભામાં 'જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ-2019' પસાર કરવામાં આવ્યું હતું. જેના અનુસાર જમ્મુ-કાશ્મીર રાજ્યના બે ભાગ પાડવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયા છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અને 35A નાબૂદ કરવાનો પણ રાષ્ટ્રપતિએ આદેશ આપ્યો હતો. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news