આતંકી યાસીન ભાટે લશ્કર-એ-તોયબાના આતંકીઓ સાથે મળી ઘડ્યું હતું અક્ષરધામ હુમલાનું કાવતરું

અક્ષરધામ મંદિર પર આતંકી હુમલાને અજામ આપી દીધા પછી સૂત્રધાર યાસીન ભાટ સરહદ પાર કરીને પીઓકેમાં ભાગી ગયો હતો 
 

આતંકી યાસીન ભાટે લશ્કર-એ-તોયબાના આતંકીઓ સાથે મળી ઘડ્યું હતું અક્ષરધામ હુમલાનું કાવતરું

ગાંધીનગરઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS) દ્વારા અક્ષરધામ મંદિર પર થયેલા હુમાલના મુખ્ય સૂત્રધારને જમ્મુ-કાશ્મીરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. યાસીન ભાટ નામનો આ આતંકવાદી અક્ષરધામ હુમલાને અંજામ આપ્યા પછી પીઓકે નાસી છુટ્યો હતો. એટીએસ દ્વારા મેળવવામાં આવેલી આ સફળતા અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને અભિનંદન આપ્યા છે. 

ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, "ગુજરાત સરકારે આતંકવાદને નાથવા માટે ઝીરો ટોલેરન્સ નીતિ અખત્યાર કરેલી છે. રાજ્યમાં કોઈ આતંકવાદી હુમલો ન થાય તેના માટે રાજ્ય સરકાર સતર્ક છે. તાજેતરમાં જ ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે, અક્ષરધામ હુમલાનો માસ્ટરમાઈન્ડ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં છુપાયેલો છે. આથી, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ એટીએસ દ્વારા આ આતંકવાદીને પકડી પાડવા માટે ઓપરેશન ગોઠવવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં અનંતનાગ પોલીસની પણ મદદ લેવામાં આવી હતી."

પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, "24 સપ્ટેમ્બર, 2002ના રોજ સાંજે 4.30 કલાકે ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરમાં બે આતંકવાદીઓ ઘુસી આવ્યા હતા. તેમણે મંદિરમાં રહેલા દર્શનાર્થીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલા પછી આતંકીઓને પકડવા માટે દિલ્હીથી NSG કમાન્ડોને બોલાવાયા હતા. જેમણે બંને આતંકવાદીને ઠાર માર્યા હતા. આ હુમલામાં એનએસજી, સ્ટેટ કમાન્ડો ફોર્સના જવાન અને એસઆરપીના 3 જવાન સહિત કુલ 33નાં મોત થયા હતા. 23 પોલીસ જવાન અને 86 નાગરિકો ઘાયલ થયા હતા."

કેવી રીતે ઘડ્યું હતું કાવતરું? 
જાડેજાએ જણાવ્યું કે, "યાસીન ભાટે કાશ્મીરના અનંતનાગ ખાતે મંજૂર, કામીલ અને ઝુબેર સહિતના લશ્કર-એ-તોયબાના આતંકીઓ સાથે મળીને અક્ષરધામ મંદિર પર હુમલા અંગેનું કાવતરું ઘડ્યું હતું. તેણે જમ્મુ-કાશ્મીર પાસિંગની એમ્બેસેડર કારમાં ગુપ્ત ખાનું બનાવીને તેમાં AK-47 અને અન્ય હથિયારોનો જથ્થો ગોઠવીને ચાંદખાન મારફતે ઉત્તરપ્રદેશના બરેલી પહોંચાડી હતી. બરેલીમાં ચાંદખાનની અન્ય આતંકીઓ સાથે મુલાકાત કરાવી હતી. ત્યાર બાદ ચાંદખાન અને શકીલ ટ્રેનમાં ઘાતક હથિયારો લઈને અમદાવાદ પહોંચ્યા હતા."

ગૃહરાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, "અમદાવાદ આવી ગયા પછી ચાંદખાન અને અન્ય લોકોએ અક્ષરધામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે LeTના આતંકવાદીઓને અમદાવાદમાં છુપાઈને રહેવા અને ગાંધીનગર સુધી પહોંચવા માટે મદદ કરી હતી. ચાંદખાન 2003માં પકડાઈ હયો હતો. ચાંદખાન પકડાઈ જતાં યાસીન ભાટે અક્ષરધામ હુમલાની ઘટનામાં પોતાનું નામ ન લેવાની ધમકી આપી હતી."

"આરોપી યાસીન ભાડ હુમલાની ઘટના પછી પીઓકે ભાગી ગયો હતો. ગુજરાત એટીએસ છેલ્લા ઘણા વર્ષોથી તેની શોધમાં હતી. આ દરમિયાન એટીએસને માહિતી મળી કે આરોપી યાસીન ભાટ અનંતનાગમાં એક લાકડાના વેરહાઉસમાં કામ કરી રહ્યો છે. આથી, એટીએસ અને એસઓજીની ટીમ અનંતનાગ પહોંચી હતી અને અનંતનાગ પોલીસની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીને અનંતનાગની કોર્ટમાં રજુ કરી 6 દિવસના ટ્રાન્ઝીટ રિમાન્ડ સાથે શુક્રવારે અમદાવાદ લાવવામાં આવ્યો છે."

પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી યાસીન ભાટને શુક્રવારે એટીએસ પોતાની પાસે રાખશે. શનિવારે ATS આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેશે. ત્યાર પછી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આરોપીને કોર્ટમાં રજુ કરીને તેના રિમાન્ડની માગણી કરશે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news