ઓર્ગેનિક ખેતી કરીને ગુજરાતના આ ખેડૂતે સોનાનો સૂરજ ઉગાડ્યો, હવે ચારેતરફથી થઈ વાહવાહી

Organic Farming : ગુજરાતના ખેડૂતો હવે લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, ત્યારે ઉપલેટાના ખેડૂતો પાસેથી બીજા ખેડૂતોએ ઘણુબધુ શીખવા જેવુ છે

ઓર્ગેનિક ખેતી કરીને ગુજરાતના આ ખેડૂતે સોનાનો સૂરજ ઉગાડ્યો, હવે ચારેતરફથી થઈ વાહવાહી

દિનેશ ચંદ્રવાડીયા/ઉપલેટા :સૌરાષ્ટ્રમાં ખેડૂત પરંપરાગત ખેતી સાથે ઓર્ગેનિક ખેતી તરફ વધુ ધ્યાન આપે છે. કારણ કે ઓર્ગેનિક ખેતીમાં ખર્ચ ઓછો અને વળતર ઝાઝુ મળે છે. જ્યારે પરંપરાગત ખેતીમાં રાસાયણિક દવા અને અન્ય ખર્ચ વધુ હોય વળતર ખૂબ જ ઓછું મળતું હોય છે. તેથી ખેડૂતો હવે પોતાના ખેતરમાં પ્રાકૃતિક તેમજ ઓર્ગેનિક ખેતી તરફ વધુ ધ્યાન આપતા થયા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામે પંકજ પ્રજાપતિ નામના એક ખેડૂતે પોતે ખેતરના બે અલગ-અલગ વિભાગમાં અલગ રીતે ખેતી કરી રહ્યાં છે. એક વિભાગમાં ખાતર બનાવવાનું અને ઓર્ગેનિક ખેતી માટે બનાવેલ આ ખાતરના ઉપયોગથી ઓર્ગેનિક શાકભાજીની ખેતીનું કામ શરૂ કર્યું છે.

આ ખેતી કરનાર ખેડૂત છેલ્લા સાત વર્ષથી કામગીરી કરે છે. જ્ઞાન તેમજ અનુભવ દ્વારા આ વર્ષ પોતે ખેતરના એક ભાગમાં ખાતર બનાવવાનું શરૂ કર્યું. ઓર્ગેનિક ખેતી માટે બનાવેલ આ ખાતરના ઉપયોગથી ઓર્ગેનિક શાકભાજીની ખેતી વાવવાનું કામ શરૂ કર્યું છે. જેમાં તેઓ ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે.

પકંજભાઈ ખેડૂત જણાવે છે કે, કોરોના વાયરસના કપરા સમયમાં જે લોકો તેની ઝપેટમાં આવી ગયા છે તેમાંથી ઘણા લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે. ત્યારે વર્તમાન સમયમાં પણ કેમિકલયુક્ત ખાતર, દવાઓ અને બિયારણોથી કરવામાં આવતી ખેતીમાં પૂરતા પોષણ નથી મળતા અને લોકોને જે પૌષ્ટિક વસ્તુ મળવી જોઈ તે મળતી નથી, ત્યારે આ પ્રકારની ખેતી શરૂ કરી છે. 

પંકજભાઈ દ્વારા કરવામાં આવેલ આ ખેતી અંગે તેઓ જણાવે છે કે, વર્તમાન સમયમાં કેમિકલ, રાસાયણિક સહિતની દવાઓને લઈને ખેતીની જમીન બરબાદ થઈ રહી છે તેમજ લોકોના આરોગ્ય પણ બગડી રહ્યા છે અને પૂરતા પોષણ વગરના પાકો અને શાકભાજીઓ બજારમાં આવી રહી છે, ત્યારે આ પ્રકારના ખાતર બનાવી અને તેઓ વેચે છે. વર્તમાન સમયમાં આવતા શાકભાજીઓ તેમજ ખેતપેદાશોમાં ઝેરી અને હાનિકારક દવાઓનો ઉપયોગ વધ્યો છે, ત્યારે આ વધુ પડતા ઉપયોગને લઈને ખેતી માટેની જમીનમાં પણ નુકસાન થાય છે. તૈયાર થયેલ મોલ કે પાક અને શાકભાજીમાં પૂરતા પ્રમાણમાં પોષણ ના હોવાથી લોકોને જરૂરિયાત પ્રમાણના ખોરાક મળી શક્તા નથી. જેને લઈને આજે લોકોની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી રહી છે અને લોકો બીમારીનો ભોગ પણ જલ્દી બની રહ્યા છે.

આ ખેડૂતની આ પ્રકારની કામગીરી અને તેમની મહેનત જોઇને આસપાસના પંથકના ખેડૂતો પણ આ ખાતર બનાવવાની પદ્ધતિ જોવા, જાણવા અને સમજવા માટે આવી રહ્યા છે. ત્યારે પંકજ પ્રજાપતિ દ્વારા તેમનું આ ખેતર અને કામગીરી જોવા અને સમજવા આવતા દરેકને સંપૂર્ણ માહિતી આપી આ પ્રકારની ખેતી કરવા માહિતીઓ આપતા પણ નજરે પડે છે. ખેડૂતના આ પ્રકારના સાહસ અને પરિણામને જોઇને અન્ય ખેડૂતો પણ તેમના આ કામને જાણવા અને સમજવા આવી રહ્યા છે ત્યારે આ પ્રકરની મહેનતથી હાલ પૂરતા પોષણ સાથેની વસ્તુઓનું ઉત્પાદન થાય છે. ખેતીની જમીનમાં પણ નુકસાન નથી થતું, તેમજ ફાયદાઓ થાય છે. તો બીજી તરફ ખાતર અને ઓર્ગેનિક શાકભાજી વેચીને સારી કામની પણ શરૂ કરી છે.

આ જ ખાતરનો ઉપયોગ પોતાના બીજા ભાગના ખેતરમાં શાકભાજીનું વાવેતર માટે કરે છે. ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરીને ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતરમાં રહેલા મોલમાં નાંખે છે અને સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિ અને ઉપયોગી ચીજવસ્તુઓ ઉમેરી આ ખાતર અને શાકભાજી વેચીને સારી એવી કમાણી શરૂ કરી છે. ત્યારે ઓર્ગેનિક ખેતી અને શાકભાજીને લઈને ઘણા ફાયદાઓ પણ થતા હોય છે અને સાથે પૂરતા પોષણ સાથેની વસ્તુઓ મળે છે. જેથી સ્વસ્થ અને આરોગ્ય માટે પણ ફાયદાકારક છે.

આ ખેતીમાં તેઓ અળસિયાનું ખાતર, જાળવણી માટે ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓનો પણ ઉપયોગ કરેલ છે. ઉપરાંત દસ પર્ણી અર્ક, પાંચ કણકી અર્ક, જીવામૃત સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી તેમાં સમયાંતરે પ્રક્રિયા કરીને ખેતીમાં હાલ સારું પરિણામ મેળવતા નજરે પડે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news