આજથી અમદાવાદમાં મેટ્રો ટ્રેન શરૂ, 10 દિવસ કરો મફત મુસાફરી

આજથી જાહેર જનતા માટે આ રૂટ પર આ મેટ્રો ટ્રેન શરૂ કરી દેવામાં આવી છે. જે સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી દોડશે. જો કે, રાજ્ય સરકાર દ્વારા 15 માર્ચ સુધી મેટ્રો ટ્રેનમાં સામાન્ય લોકોને મફત મુસાફરી કરવા દેવામાં આવશે.

આજથી અમદાવાદમાં મેટ્રો ટ્રેન શરૂ, 10 દિવસ કરો મફત મુસાફરી

અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી મેટ્રોની રાહ જોઇ રહેલા શહેરીજનોનું આજથી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવાનું સપનું પુરૂ થશે. પીએમ મોદી દ્વારા મેટ્રો ટ્રેનું લોકાર્પણ કર્યા બાદ આજથી પ્રથમ ફેઝમાં વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધી આ મેટ્રો ટ્રેન શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સામાન્ય લોકોને વિનામૂલ્યે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવાનો લાભ મળશે.

બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા પીએમ મોદી વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના 6.5 કિલોમીટરના મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે આજથી જાહેર જનતા માટે આ રૂટ પર આ મેટ્રો ટ્રેન શરૂ કરી દેવામાં આવી છે. જે સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી દોડશે. જો કે, રાજ્ય સરકાર દ્વારા 15 માર્ચ સુધી મેટ્રો ટ્રેનમાં સામાન્ય લોકોને મફત મુસાફરી કરવા દેવામાં આવશે. મેટ્રો ટ્રેનને લઇ એપરલ ડેપોમાં 10થી વધુ ટ્રેક તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં 16 ટ્રેન રાખવામાં આવશે. 

ટ્રાયલ રનના આ પ્રારંભ બાદ પ્રથમ તબક્કામાં વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના 6 સ્ટેશનોને આવરી લેવામાં આવશે. જેમાં વસ્ત્રાલ ગામ, નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઇવાડી અને એપરલ પાર્કનો સમાવેશ છે. જોકે તમને જણાવી દઇએ કે, 15 માર્ચ પછી મેટ્રો ટ્રેનનું ભાડૂ શરૂ કરી દેવામાં આવશે. જેમાં પ્રથમ 2.5 કિમીના અંતર માટે 5 રૂપિયા ભાડુ નક્કી કરાયું છે. જ્યારે 2.5થી 7.5 કિમી માટે ટિકિટનો દર 10 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે વસ્ત્રાલથી થલતેજ સુધીનું ભાડુ 25 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news