શું આ છે આપણું ગુજરાત શિક્ષણ મોડલ? હળદરીના જાલાપુરામાં મોત નીચે ભણાવાય છે ભવિષ્યના પાઠ

આણંદના હળદરી ગામના જાલાપુરા પ્રાથમિક શાળામાં આ સૂત્રો પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે. શાળમાં ઓરડાઓ જર્જરીત હોવાનાં કારણે બાળકો કડકડતી ઠંડીમાં તેમજ જીવનાં જોખમે ભણવા મજબુર બન્યા છે, ત્યારે વાલીઓ સવાલ કરી રહ્યા છે કે શું આ રીતે ભણશે ગુજરાત?

શું આ છે આપણું ગુજરાત શિક્ષણ મોડલ? હળદરીના જાલાપુરામાં મોત નીચે ભણાવાય છે ભવિષ્યના પાઠ

બુરહાન પઠાણ/આણંદ: રાજ્ય સરકાર દ્વારા ભણસે ગુજરાત આગળ વધશે ગુજરાત જેવા સૂત્રો આપવામાં આવે છે પરંતુ આણંદના હળદરી ગામના જાલાપુરા પ્રાથમિક શાળામાં આ સૂત્રો પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે. શાળમાં ઓરડાઓ જર્જરીત હોવાનાં કારણે બાળકો કડકડતી ઠંડીમાં તેમજ જીવનાં જોખમે ભણવા મજબુર બન્યા છે, ત્યારે વાલીઓ સવાલ કરી રહ્યા છે કે શું આ રીતે ભણશે ગુજરાત?

હળદરી ગામનાં જાલાપુર પ્રાથમિક શાળામાં ધો.1 થી 5માં 31 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે,જયારે ખડોલનાં ભવાનીપુરાની જર્જરીત સ્કુલ નવી બનાવવા માટે જમીનદોસ્ત કરી દીધા બાદ શાળાની નવી ઈમારતનું બાંધકામ ખોરંભે પડતા આ શાળાનાં ધો.1 થી 5નાં 80 વિદ્યાર્થીઓને પણ આ શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે,પરંતુ જાલાપુર પ્રાથમિક શાળામાં આવેલા બે ઓરડાઓ અત્યંત જર્જરીત થઈ ગયા છે,જયારે બાકીનાં બે ઓરડામાં 111થી વધુ વિદ્યાર્થીઓને બેસાડવા શકય નહી હોવાનાં કારણે બાળકોને શાળાની બહાર ખુલ્લામાં બેસાડવામાં આવે છે. કડકડતી ઠંડી હોય કે ગરમી કે વરસાદ અહિયા જીવનાં જોખમે માસુમ ભુલકાઓ અભ્યાસ કરી રહ્યા છે.

જાલાપુર પ્રાથમિક શાળાનાં એક ઓરડામાં જયાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તેની છત તુટી ગયેલી છે અને દિવાલોમાં પણ તિરાડો પડ઼ી ગઈ છે. ચોમાસામાં વર્ગખંડમાં પાણી ટપકે છે અને ટપકતા વરસાદ વચ્ચે માસુમ ભુલકાઓ જીવનાં જોખમે અભ્યાસ, કરી રહ્યા છે. શાળાનાં વાલીઓ અને શિક્ષકો દ્વારા આ અંગે અનેક રજુઆતો કરવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી નવા ઓરડાઓનાં નિર્માણનું કામ ખોરંભે પડયું છે. આ શાળામાં નવા ઓરડાઓ બનાવવાની મંજુરી મળી ગઈ છે, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી નવા ઓરડાનાં નિર્માણ માટે કામગીરી શરૂ નહી થતા વિદ્યાર્થીઓનાં માથા પર જોખમ મંડરાઈ રહ્યું છે.

વાલીઓએ જણાવ્યું હતું કે હળદરી ગામનાં જાલાપુર પરા વિસ્તારની આ શાળામાં ધો.1 થી 5નાં વર્ગોનાં વિદ્યાર્થીઓને બેસાડવા માટે પુરતી સુવિધા ન હતી. ત્યારે ત્રણ કિલોમીટર દુરની ખડોલ ભવાનીપુરા પ્રાથમિક શાળાનાં ધો.1 થી 5નાં 80 વિદ્યાર્થીઓને આ શાળામાં બેસાડવામાં આવે છે. જેથી બે શાળાનાં ધો.એક થી પાંચનાં 111 જેટલા વિદ્યાર્થીઓ અહિયાં અભ્યાસ કરી રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ ભયનાં ઓથાર હેઠલ જીવનાં જોખમે અભ્યાસ કરી રહ્યા છે,ત્યારે વાલીઓ કહી રહ્યા છે કે શુ આ રીતે ભણશે ગુજરાત..જાલપુર પ્રાથમિક શાળા અને ભવાનીપુરા પ્રાથમિક શાળાનાં ઓરડાઓ સત્વરે બનાવી વિદ્યાર્થીઓ ભયમુકત રીતે ભણી શકે તેવી સુવિધા ઉભી કરવા વાલીઓ માંગ કરી રહ્યા છે.

જયારે આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.અર્ચના પ્રજાપતિનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા તેઓ રજા પર હોવાનું જાણવા મળ્યુ હતું જયારે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પટેલ પણ ભત્રીજાનાં લગ્નને લઈને રજા પર હોઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં આજે કોઈ જવાબદાર અધિકારી હાજર જોવા મળ્યા ન હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news