સુરતનો ચોંકાવનારો કિસ્સો, પુત્રએ રૂપિયા 10 લાખની સોપારી આપી પિતાની હત્યા કરાવી

પિતા સાથેના અણબનાવના કારણે પુત્રે રૂપિયા 10 લાખની સોપારી આપી હત્યા કરાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

સુરતનો ચોંકાવનારો કિસ્સો, પુત્રએ રૂપિયા 10 લાખની સોપારી આપી પિતાની હત્યા કરાવી

ચેતન પટેલ, સુરત: પિતા સાથેના અણબનાવના કારણે પુત્રે રૂપિયા 10 લાખની સોપારી આપી હત્યા કરાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હત્યા બાદ લાશ ને કારખાના માં જ દફન કરી દીધી. પરિવારમા અણબનાવ અને ધંધામા અડચણ રુપ બની રહેલા પિતાની રૂપિયા 10 લાખની ખંડણી આપી હત્યા કરાવનાર પુત્ર તથા હત્યા કરનાર અન્ય બે આરોપીઓની ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરી. હત્યા બાદ પુત્રએ આરોપીઓની મદદથી લાશને પોતાના જ ભાડાના કારખાનામા દફનાવી દીધી હતી. 

સુરતના પાંડેસરા વિસ્તારમા રહેતા જીતેશ પટેલ બમરોલી ખાતે પ્લાસ્ટિકના દાણા બનાવવાનું કામ કરતો હતો. 14મી મે ના રોજ જીતેશના પિતા રૂપિયા બે લાખ લઇને ઘરે નીકળ્યા હતા. કીમ ખાતે નવી ફેકટરી નાખવાની હોવાથી પેમેન્ટ લઇને નીકળ્યા હતા. જીતેશે તેના પિતાને પાંડેસરા અખબાર ચોકડી પાસે છોડયા હતા. જો કે બાદમાં તેઓ ઘરે પરત નહીં આવતા જીતેશે પાંડેસરા પોલીસ મથકમા પોતાના પિતાની ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે પ્રહલાદભાઇની શોધખોળ હાથ ધરી હતી. જો કે બે દિવસ બાદ પણ ગુમ પિતાનો પત્તો નહીં લાગતા જીતેશે પોલીસ કમિશનરને આ અંગે ફરિયાદ કરી હતી. જેથી પોલીસ કમિશનરે આ બનાવની તપાસ ક્રાઇમબ્રાન્ચને સોપીં હતી. 

ક્રાઇમબ્રાંચે જીતેશના નિવેદન નોંધી અખબાર ચોકડી પાસેના સીસીટીવી ફુટેજ મેળવ્યા હતા. જો કે જીતેશના નિવેદન અને સીસીટીવી ફુટેજ વિરોધાભાસ ઉભા કરી રહ્યા હતા. જેથી પોલીસને શંકા હતી કે જીતેશ કંઇક છુપાવી રહ્યો છે. ક્રાઇમબ્રાંચે જીતેશની કડક પુછપરછ કરતા આખરે તે પડી ભાંગયો હતો અને તેણે જ પોતાના પિતાની હત્યાની સોપારી આપી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી જીતેશને તેના પિતા પ્રહલાદભાઇ સાથે અણબનાવ ચાલતો આવતો હતો આ ઉપરાંત ધંધાને લઇને પણ બંને વચ્ચે માથાકૂટ થયા કરતી હતી. જેનાથી જીતેશ કંટાળી ગયો હતો. આખરે જીતેશએ પોતાના પિતાની હત્યાનું કાવતરું ચાર મહિના પહેલા જ ઘડી કાઢયુ હતું. તેણે તેના મિત્ર સલીમ શેખ અને સંજયને પિતાની હત્યાની રૂપિયા 10 લાખની સોપારી આપી હતી. 

જુઓ LIVE TV

જીતેશે 15 દિવસ અગાઉ ઉધના ખાતે એક કારખાનું ભાડે રાખ્યુ હતું. આ કારખાનું બતાવવાના બહાને તેના પિતાને તે કારખાને સલીમ અને સંજય પાસે લઇ આવ્યો હતો. બાદમાં તે ત્યાંથી જતો રહ્યો હતો. સલીમ અને સંજયે શરુઆતમાં પ્રહલાદભાઇ સાથે વાત કરી એકાએક તેમના માથામા પાવડા વડે હુમલો કરી તેમની હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ બંનેએ જીતેશને ફોન કરી જાણ કરી હતી. જેથી જીતેશ ફરી કારખાને આવ્યો હતો. કારખાને આવી લાશનો કઇ રીતે નિકાલ કરવો તે અંગે વિચાર કર્યો હતો. જો કે બહાર ક્યાંય લાશનો નિકાલ કરવાની પરિસ્થિતિ ન હતી. જેથી તેને પોતાના જ ભાડાના કારખાનામાં ખાડો કરી પિતાની લાશને દફન કરી દીધી હતી અને બંને હત્યારાઓને પાંચ પાચ હજાર રૂપિયા આપી બાકીના લાશના નિકાલ બાદ આપશે તેમ કહી ત્યાંથી નીકળી ગયો હતો. 

જીતેશની કબૂલાતના આધારે પોલીસ સલીમ અને સંજયને ઉચકી લાવી હતી. ત્યારબાદ આજે બંને હત્યારાઓને સાથે રાખીને કારખાનામાં દફનાવેલી લાશ બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ અર્થે નવી સીવીલ હોસ્પિટલમાં મોકલી આપી હતી.  હાલ આ બનાવમા પાંડેસરા પોલીસે ત્રણેય વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news