બોર્ડની પરીક્ષાનું ટેન્શન એવુ થયુ કે રાજકોટની વિદ્યાર્થીની બાથરૂમમાં પેટ્રોલ છાંટી મોતને ભેટી

board exam tension : તાજેતરમાં બોર્ડની પરીક્ષા દરમિયાન અમદાવાદ અને નવસારીના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયુ છે. તો હવે રાજકોટની ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ પરીક્ષા ખરાબ જવાના ડરે અગ્નિસ્નાન કરીને મોત વ્હાલુ કર્યું

બોર્ડની પરીક્ષાનું ટેન્શન એવુ થયુ કે રાજકોટની વિદ્યાર્થીની બાથરૂમમાં પેટ્રોલ છાંટી મોતને ભેટી

ગૌરવ દવે/રાજકોટ :હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. બોર્ડની પરીક્ષાનું ટેન્શન વિદ્યાર્થીઓને એટલુ હોય છે કે તેઓ ના કરવાનુ કરી બેસે છે. કેટલાક પરીક્ષા પહેલા ટેન્શનથી કંઈ કરી લે છે, તો કેટલાક પરીક્ષા ખરાબ ગયા બાદ ખોટા પગલા ભરે છે. રાજકોટમાં પેપર નબળા જતા ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. ગુરૂવારના રોજ સાંજે પાંચ વાગ્યે વિદ્યાર્થીનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યુ હતું. સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મોડી રાત્રે 1:30 વાગ્યા આસપાસ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. 

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી, તે મુજબ ડ્રાઈવર પિતાની દીકરી ધોરણ - 10 માં અભ્યાસ કરે છે. તેનો નંબર રાજકોટની કડવી બાઈ વિદ્યાલયમાં આવ્યો હતો. તેના બોર્ડના કેટલાક પેપર પણ શરૂ થયા હતા. પરંતુ તેના પેપર ખરાબ ગયા હોવાથી તે ટેન્શનમાં હતી. ગુરુવારે સાંજે પાંચ વાગ્યે તેણે ટેન્શનમા આવીને ખોટુ પગલુ ભર્યુ હતું. તેણે બાથરૂમમાં જઈને પોતાના શરીર પર પેટ્રોલ છાંટ્યુ હતું. અગ્નિ સ્નાન કરીને તેણે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ વાતની જાણ પરિવારને થતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યુ હતું. આ વાત જાણીને પરિવાર પર આભ તૂટી પડ્યુ છે. તેના પિતા ડ્રાઇવિંગ કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 

બોર્ડની પરીક્ષાના ટેન્શને બે વિદ્યાર્થીઓના મોત
બોર્ડની પરીક્ષા ચાલુ થયા બાદ અમદાવાદ અને નવસારીમાં ધોરણ 12ની પરીક્ષા આપતાં 2 વિદ્યાર્થીઓનાં હાર્ટ એટેકથી મોત થયા છે. અમદાવાદમાં ગોમતીપુરની એસજી પટેલ સ્કૂલમાં અભ્યાસ કરતો શેખ મોહમ્મદ અમન મોહમ્મદ આરીફનું ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. અમદાવાદના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ અચાનક પરસેવો થતાં સુપરવાઈઝરે પ્રિન્સિપાલને જાણ કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીને 108ની મદદથી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેનું હાઈબીપી આવતાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો, પરંતુ વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે. તો નવસારીમાં પણ ધોરણ 12ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. વિદ્યાર્થી પરીક્ષા આપવા જઈ રહ્યો હતો, તે સમયે હાર્ટ એટેક આવતાં ઉત્સવ શાહ નામના વિદ્યાર્થીનું મોત થયું છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news