રાહુલ ગાંધીએ કેજરીવાલ સ્ટાઈલમાં ગુજરાતીઓને ગેરેન્ટી આપી! મફત શિક્ષણ-વીજળીની જાહેરાતો કરી

Rahul Gandhi in Ahmedabad :  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે...અમદાવાદમાં કોંગ્રેસી કાર્યકરોને કર્યું સંબોધન...વિધાનસભા ચૂંટણી ટાણે રાહુલ ગાંધીનો પ્રવાસ બન્યો મહત્વપૂર્ણ....

રાહુલ ગાંધીએ કેજરીવાલ સ્ટાઈલમાં ગુજરાતીઓને ગેરેન્ટી આપી! મફત શિક્ષણ-વીજળીની જાહેરાતો કરી

અમદાવાદ :વિધાનસભા ચુટંણી માટે કોંગ્રેસના ચુંટણી પ્રચારનો આજથી શુભારંભ થયો. રાહુલ ગાંધી અમદાવાદમાં કાર્યક્રમ દ્વારા વિધાનસભાની ચુંટણી પ્રચારના શ્રીગણેશ કરાવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલન આયોજિત કરાયું છે. જેમાં રાહુલ ગાંધી બુથ સ્તરના કાર્યકરોને માર્ગદર્શન આપ્યું. જેના બાદ તેમણે કાર્યકર્તાઓને સંબોધન કર્યું. સાથે જ ગુજરાતની જનતા માટે વચનોની ગેરેન્ટી આપી. 

આપની સ્ટાઈલથી કોંગ્રેસે આપી ગેરેન્ટી 
સરકાર બન્યા બાદ ગુજરાત માટે કોંગ્રેસ શું કરશે તેમાં વચનોની આપતા રાહુલ ગાંધીએ કહ્યું...

  • પહેલા ખેડૂતોનું 3 લાખનુ દેવુ માફ કરીશું.
  • કોવિડ સમયમાં ગુજરાતમાં 3 લાખ લોકોના મોત થયા. કોવિડમાં મોતને ભેટેલા લોકોને 4 લાખનું વળતર આપીશું.
  • ખેડૂતોનું વીજળી બિલ માફ કરીશું. 300 યુનિટ સામાન્ય ગ્રાહકોને આપીશું.
  • દીકરીઓ માટે મફત શિક્ષણ આપીશું.
  • હજારો શાળાઓને બીજેપીએ બંધ કરાવી છે, અમે 3000 અંગ્રેજી મીડિયમ શાળા ખોલીશું.
  • દૂધ ઉત્પાદકોને 5 રૂપિયાની સબસીડી અને ગેસ સિલિન્ડર 1000 ના બદલે 500 રૂપિયામાં આપીશું. જે યુપીએ સરકારમાં 400 રૂપિયામાં મળતો હતો. 
  • અમારું ફોકસ રોજગારી પર લગાવીશું. 10 લાખ યુવાઓને રોજગારી આપીશું

રાહુલ ગાંધીએ કોંગ્રેસના 52 હજાર બુથ કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે, તેઓ વિચારધારાની લડાઈ લડે છે. પરંતું ગુજરાતમાં 25 વર્ષથી ગુજરાતીઓ સહન કરી રહ્યાં છે. તમારી લડાઈ રાજકીય પાર્ટી સાથે નથી, આ લડાઈ કોંગ્રેસ-ભાજપ વચ્ચેની નથી. સૌથી પહેલા સમજો કે તમે શાની વિરુદ્ધ લડો છો. સરદાર પટેલની દુનિયાની સૌથી મોટી મૂર્તિ બીજેપીએ બનાવી. સરદાર પટેલ કેમ લડ્યા, શા માટે લડ્યા, કેવી રીતે લડ્યા તે ન જાણ્યું. સરદાર પટેલ એક વ્યક્તિત્વ ન હતા, તેઓ હિન્દુસ્તાનના ખેડૂતોનો અવાજ હતા. તેઓ ખેડૂતોના હિત માટે કામ કરતા. સરદાર પટેલ વગર અમૂલ પેદા થઈ શક્તુ ન હોત. એક તરફ બીજેપી તેમની મૂર્તિ ઉભી કરે છે, અને બીજી તરફ જે એવા કાયદા લાવ્યા જે ખેડૂતોની વિરુદ્ધમાં હોય. ત્રણ કાયદા લાવ્યા, જેની સામે ખેડૂતો લડ્યા. અને બીજેપીનુ કહેવુ છે કે ખેડૂતો માટે લડે છે. બધાનું વ્યાજ માફ થશે, પરંતું ખેડૂતોનું નહિ થાય. સરદાર પટેલ હોત તો કોનું વ્યાજ માફ થાત. એક તરફ મૂર્તિ બનાવે છે, અને બીજી તરફ તેમની જ વિચારધારા પર આક્રમણ કરે છે. 

તેમણે કહ્યું, કોંગ્રેસ જ્યા પણ સરકારમાં આવી, એ રાજ્યોમાં ખેડૂતોનું દેવુ માફ કર્યું. અહીં પણ અમે ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવુ માફ કરીશું. ગુજરાતની તમામ સંસ્થાઓને બીજેપીએ કેપ્ચર કરી છે. ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બની ગયું છે. બધા પ્રકારનું ડ્રગ્સ મુન્દ્રા પોર્ટથી નીકળી રહ્યું છે, પરંતુ સરકાર કોઈ કાર્યવાહી નથી કરી રહી. આ માટે શું કારણ છે. દર બે-ત્રણ મહિનામાં મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સ મળે છે. જે ગુજરાતના યુવા અને ભવિષ્યને નષ્ટ કરે છે. કોઈને કોઈ કારણ તો હશે જ. જો કોઈ ગરીબના ઘરમાં ડ્રગ્સ મળે તો જેલભેગા કરાય છે. પરંતુ હજારો કરોડોનું ડ્રગ્સ મુન્દ્રા પોર્ટ પર મળે તો પોલીસ કોઈ કાર્યવાહી નહિ કરે. ગુજરાત મોડલમાં બે-ચાર ઉદ્યોગપતિઓનું રાજ છે. આ ઉદ્યોગપતિઓને જે પણ જમીન જોઈએ બે મિનિટમાં સરકાર આપે છે. પરંતું ગુજરાતનો ગરીબ-આદિવાસી હાથ છોડીને જમીન આપે તો કંઈ મળતુ નથી. 

રાહુલ ગાંધીએ કહ્યું કે, વીજળીનો ભાવ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ છે. તમારા ખિસ્સામાંથી નીકળેલા રૂપિયા એ જ બે-ત્રણ ઉદ્યોગપતિઓ પાસે જાય છે. વર્ષોથી અહી લોકતંત્ર પર આક્રમણ થઈ રહ્યું છે. કોઈ બોલી શક્તુ નથી. ગુજરાતમાં આંદોલન માટે પરમિશન લેવી પડે છે. જેની વિરુદ્ધ આંદોલન કરશો તેની પાસેથી જ પરમિશન માંગવી પડે છે. જો હિન્દુસ્તાનના કોઈ વ્યક્તિને વેપાર સમજવો હોય તો ગુજરાત તેને શીખવાડી શકે છે. પરંતું ગુજરાતની સ્ટ્રેન્થ, કોમ્પિટિટીવ એડવાન્ટેજ નાના અને મધ્યમ વેપાર હતા. પરંતું નાના અને મધ્યમ કેટેગરીના વેપારીઓને ગુજરાત મદદ નથી કરતું. તમે કોઈ પણ દુકાનદારને પૂછો, તમને જણાવશે કે નોટબંધીએ તેમને નષ્ટ કર્યાં છે. ખોટા જીએસટી લાગુ કર્યું. જો ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓને ફાયદો નહિ તો, ફાયદો કોને છે. એ જ ત્રણ-ચાર મોટા ઉદ્યોગપતિઓને. આખો પ્રદેશ એ લોકોના હવાલે કર્યું છે. એરપોર્ટ, પોર્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેલિકોમ બધુ જ તેમના હવાલે કર્યું. જો તમે તેની સામે લડવા માંગો, આંદોલન કરવા માંગો તો પહેલા પરમિશન માંગવી પડે. એ ઉદ્યોગપતિઓની પરમિશન લેવી પડે. શું સરદાર પટેલે અંગ્રેજો સામે આંદોલન કરવા પરમિશન લીધી હતી? 

તેમણે ગત વિધાનસભાની ચૂંટણીને લક્ષીને કહ્યું કે, ગત ચૂંટણીમાં એવુ કહેવાતું હતું કે કોંગ્રેસ પિક્ચરમાં નથી, પરંતું ચૂંટણીના છ મહિના પહેલા તમે ભાજપની હવા કાઢી હતી. તમે બહુ જ સારું લડ્યા. તમે બબ્બર શેર જેવા લડ્યા. આ વખતે પણ એવુ જ થશે. જો તમે ગત સમયની જેમ લડ્યા તો જોઈ લેજો કે અહીં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. પાંચ વર્ષમાં ભ્રષ્ટાચાર જ થયો. ક્રિકેટ ટીમમાં એક પ્લેયર ફેલ જાય તો તેને હટાવે છે. ગુજરાતમાં આખી ટીમને હટાવીની ફેંકી દીધી. તમે લડો, હું તમારી સાથે છું.

રાહુલ ગાંધીના પ્રવાસથી શુ ફાયદા થશે

  • રાહુલ ગાંધી ગુજરાતમાં પાર્ટી અને કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કરશે
  • ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી તૂટી રહી હોવાની સ્થિતિએ રાહુલ ગાંધી માર્ગદર્શન પૂરું પડશે
  • ગુજરાતમાં AAP ની સક્રિયતા વચ્ચે કોંગ્રેસે દમ દેખાડવો જરૂરી છે 
  • ભારત જોડો યાત્રા પૂર્વે ગુજરાતથી દેશને સંદેશ આપશે 
  • ગુજરાતમાં કોંગ્રેસની જમીન બચાવવાનો પ્રયાસ
  • કોંગ્રેસ ગુજરાતમાં ચુંટણી મુદ્દે ગંભીર હોવા મુદ્દે ઉભા થયેલા સવાલ સામે પ્રવાસ મહત્વનો

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધીને લઈને અનેક સવાલો ઉઠાવી રહ્યાં છે, પરંતુ રાહુલ ગાંધી પાર્ટીને મજબૂત કરવાના પ્રયાસોમાં લાગ્યા છે. તેઓ સતત બીજેપી પર શાબ્દિક પ્રહારોથી માહોલ બનાવી રહ્યાં છે. કોંગ્રેસે આ વર્ષના અંતમાં થનારા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રણ મહિના લાંબુ અભિયાન તૈયાર કર્યું છે. જેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને ગુજરાત આવશે. પાર્ટીના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરવા માટે 15 સપ્ટેમ્બરનું લક્ષ્ય રાખ્યું છે. કોંગ્રેસ 182 માંથી 125 સીટ પર જીતની આશા વ્યક્ત કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news