છુપાઈ છુપાઈને નથી પીવો દારૂ.... દારૂબંધી વિશે હવે ખૂલીને બોલવા લાગી ગુજરાતની જનતા

છુપાઈ છુપાઈને નથી પીવો દારૂ.... દારૂબંધી વિશે હવે ખૂલીને બોલવા લાગી ગુજરાતની જનતા
  • દમણ, દીવ, ગોવા, મુંબઈ, આબુ કે ઉદયપુર જવા કરતા તો ગુજરાતમાં જ દારૂ પીવા મળે તેવું લોકો કહી રહ્યાં છે.
  • નવી જનરેશન દારૂબંધીના કાયદાને હટાવવાની વાત કરી રહી છે. આવામાં તમારો અભિપ્રાય ZEE 24 કલાકને જણાવો

ઝી મીડિયા/બ્યૂરો :હજી ગઈકાલે જ ગુજરાત સરકારે રાજ્યની નવી ટુરિઝમ પોલિસી (tourism policy) જાહેર કરી છે, ત્યાં જ દારૂબંધીનો મુદ્દો ઉભો થયો છે. ગુજરાત સરકાર જે લક્ઝુરીયસ ટુરિસ્ટની વાત કરે છે, તે લક્ઝુરીયસ ટુરિસ્ટની દારૂની ડિમાન્ડ પર લોકો હવે ખૂલીને બોલવા લાગ્યા છે. ટુરિઝમ પોલિસી ડિકલેર થયા બાદ લોકો ડિમાન્ડ કરી રહ્યા છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવાથી સારા ટુરિસ્ટ આકર્ષી શકાતા નથી. ત્યારે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો ખૂલીને આ મુદ્દે વાત કરી રહ્યાં છે. આવામાં વડોદરાના મહારાણી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા (shankarsinh waghela) નું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. 

આ નિવેદનો વિશે તમારું શુ માનવું 
દારૂબંધી હટાવવા અંગે લોકો સતત ખૂલીને બોલી રહ્યાં છે. દમણ, દીવ, ગોવા, મુંબઈ, આબુ કે ઉદયપુર જવા કરતા તો ગુજરાતમાં જ દારૂ પીવા મળે તેવું લોકો કહી રહ્યાં છે. જ્યાં લોકો જ છુપાઈ છુપાઈને દારૂ પીવે છે, ત્યાં ટુરિસ્ટ કેવી રીતે આવશે તેવો સવાલ પણ લોકોના મનમાં થઈ રહ્યો છે. આવામાં એક ગુજરાતી તરીકે તમે શું માનો છો. તમારા અભિપ્રાય અમને જણાવો. ગાંધીના ગુજરાતમાં એક તરફ લોકો દારૂબંધી હોવી જોઈએ તેવું કહે છે, તો બીજી તરફ નવી જનરેશન આ કાયદાને હટાવવાની વાત કરી રહી છે. આવામાં તમારો અભિપ્રાય ZEE 24 કલાકને જણાવો. 

મહારાણી રાધિકારાજે એ શું કહ્યું.... 
 વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડે (radhikaraje gaekwad) ગુજરાતમાં દારૂબંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેઓએ ગુજરાતમાં દારૂબંધી (liquor ban) ની ટુરિઝમ પોલિસી સામે મોટું નડતર હોવાનું બતાવ્યું છે. તેઓએ સરકાર સાથેના વેબિનારમાં કહ્યું કે, ટુરિઝમ પોઈન્ટથી જોઈએ તો રાજસ્થાન વધુ પોપ્યુલર છે. રાજસ્થાનમાં સૌથી વધુ ટુરિસ્ટ આવે છે. ગુજરાતમાં પણ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને આર્કિટેક્ચર છે. ડ્રાય સ્ટેટ હોવાથી ગુજરાતમાં લક્ઝરી ટુરિસ્ટ ક્યાંથી આવશે. ગુજરાત પાસે મહેલો-કિલ્લાઓનો ભવ્ય વારસો છે. આ મહેલો ભવ્ય હોટલોમાં બદલી શકે છે, પરંતુ તેમાં દારૂબંધી મોટું નડતર છે. રાજસ્થાનમાં ટુરિઝમની સફળતાનું કારણ દારૂબંધીની છૂટછાટ છે. રાજસ્થાન આવતાં પ્રવાસી વાઇનનો ગ્લાસ લઇને બેસી શકે છે. પરંતુ દારૂબંધી હોવાને કારણે કોઈ ટુરિસ્ટ લક્ઝુરિયસ ટ્રાવેલ નહિ અનુભવી શકે. અહીં રાજસ્થાનની જેમ ડેસ્ટિનેશન વેડિંગ કરવા પણ અશક્ય છે. દારૂબંધીને કારણે ગુજરાતમાં ટુરિઝમ યોગ્ય રીતે વિકસી નહિ શકે. 

શંકરસિંહ વાઘેલા દારૂબંધી હટાવવાની તરફેણમાં...
આ અંગે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ગુજરાતમાં એક કિલોમીટર વિસ્તાર પણ એવો નથી જ્યા દારૂનો વેપાર થતો ન હોય અને ખુલ્લેઆમ દારૂ ન પીવાતો હોય. હું ગુજરાતીઓને કહેવા માગુ છું કે, ગાંધી સરદારના નામે બહુ થયું હવે. હવે તેનો પુનવિચાર કરો કે, દારૂબંધી હટાવે. કૃત્રિમ દારૂબંધી ભ્રષ્ટાચાર અને ગુંડાઓનો અડિંગો બની ગયો છે. રોજ કરોડો રૂપિયાનો દારૂ પીવાતો હોય અને પકડાતો હોય છે. આ ખોટી નીતિ છે. દારૂબંધીની વૈજ્ઞાનિક પદ્ધતિનો અમલ કરવો જોઈએ. દિલ્હી, બેંગલોર ક્યાંય દારૂબંધી નથી. તો ગુજરાતમાં એવી નીતિ રાખો જેથી ગુજરાતમાં જે કેમિકલ પીને મરી જાય છે, અને લાખો બહેનો વિધવા બને છે. આવી નીતિ બદલી દો. એવી નીતિ કરો કે સેલવાસ, દમણ, આબુ, ઉદયપુર કે મુંબઈ ન જવો પડે. 

ગુજરાતમાં દારૂબંધી ક્યારથી લાગુ થઈ
દરેકને માથુ ખંજવાળે એવો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં દારૂબંધી કેવી રીતે લાગુ બંધી. ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ પડ્યા ત્યારે 1960 થી ગુજરાતમા સંપૂર્ણ દારૂબંધી છે. જોકે, દારૂ પર કન્ટ્રોલ અંગ્રેજો પર મૂક્યો હતો. ગુજરાતમાં દારૂ પર પ્રતંબિધ પહેલીવાર અંગ્રેજોએ દાખલ કરી. એ પહેલા દક્ષિણ ગુજરાતના લોકો તાડી અને ચોખામાંથી દારૂ બનાવતા હતા. આદિવાસીઓ પણ પોતાનો અલગ દારૂ બનાવતા હતા. અંગ્રેજોએ રેવન્યુ માટે સિસ્ટમ દાખલ કરવાનો પ્રયાસ કર્યો. સરકાર જાતે દારૂ બનાવશે અને લોકો ખરીદશે તેવી સિસ્ટમ તેઓ દાખલ કરવા માંગતા હતા. કાયદા પ્રમાણે ગુજરાતમાં કોઈ દારૂ પી શકે નહિ, પણ ડોક્ટરની મંજરી સાથે જ દારૂ પી શકાય. જોકે, ગાંધીજીનું નિધન 1948માં થયું, અને ગુજરાતમાં દારૂબંધી 1960માં આવી. ગુજરાત ઉપરાંત મિઝોરમ, નાગાલેન્ડ અને બિહાર જેવા રાજ્યોમાં દારૂ પર પ્રતિબંધ છે.    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news