પાટણમાં મ્યુકોરમાઇકોસીસથી એકનું મૃત્યુ, બચવાનો આ છે એક માત્ર ઉપાય

આ નવી બીમારીથી હાલ હાહાકાર મચ્યો છે. ZEE 24 કલાકની ટીમે મ્યુકોરમાઇસીસ અંગે નિષ્ણાંત તબીબ સાથે વાત કરી. જાણો મ્યુકોરમાઇસીસથી બચવા તબીબે આપી શું સલાહ.

પાટણમાં મ્યુકોરમાઇકોસીસથી એકનું મૃત્યુ, બચવાનો આ છે એક માત્ર ઉપાય

અતુલ તિવારી/પ્રેમલ ત્રિવેદી, અમદાવાદઃ કોરોના કાળમાં વધુ એક બીમારી હાલ હાહાકાર મચાવી રહી છે. આ બીમારીનું નામ છે, મ્યુકોરમાઇકોસીસ. આજે પાટણ જિલ્લામાં મ્યુકોરમાઇકોસીસના લક્ષણ ધરાવતા દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે. પાટણ જિલ્લાના કમલીવાડા ગામ ના 50 વર્ષીય આધેડને મ્યુકોરમાઇસીસના લક્ષણો જણાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ દર્દી પહેલાં કોરોના પોઝીટીવ થયા હતા. કોરોનાથી સ્વસ્થ થયા બાદ તેમનામાં મ્યુકોરમાઇસીસના લક્ષણો જણાયા હતા. 

કોરોના કાળમાં મ્યુકોરમાઇકોસીસ નામની નવી બીમારીથી દર્દીઓમાં એક પ્રકારની દહેશત ઉભી થઈ છે.  ZEE 24 કલાકની ટીમે મ્યુકોરમાઇસીસ અંગે નિષ્ણાંત તબીબ સાથે વાત કરી તેના શું લક્ષણો હોય છે અને તેનાથી બચવા માટે શું ઉપાય કરવો જોઈએ તે અંગે વિગતવાર માહિતી મેળવી. જાણીતા પેથોલોજીસ્ટ ડો.મુકેશ મહેશ્વરીએ ZEE 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુંકે, મ્યુકોરમાઇકોસીસ એક પ્રકારનું ફંગસ છે. જે કોરોના પોઝિટિવ થયેલાં દર્દીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. 

ડો.મુકેશ મહેશ્વરીએ વધુમાં જણાવ્યું હતુંકે, મ્યુકોરમાઇકોસીસથી ડરવાની નહીં પરંતુ સમજદારી દાખવવાની જરૂર છે. સમજદારી દાખવીને સમયસર તબીબની યોગ્ય સલાહ લઈ તેનો ઈલાજ કરવો એ જ એકમાત્ર ઉપાય છે. મ્યુકોરમાઇકોસીસના ફંગસ સરળતાથી આપણી આસપાસમાં ઊડતી જોવા મળતી હોય છે. અત્યાર સુધી સામાન્ય માનવામાં આવતી આ ફંગસ કોરોનાને કારણે જીવલેણ સાબિત થઈ રહી છે. જો કોઈ સામાન્ય વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો આ ફંગસ તેને બિલકુલ અસર કરતી નથી. પરંતુ જે વ્યક્તિમાં રોગપ્રતિરોધક શક્તિ ઘટી જાય અને જો તે આ ફંગસની ઝપેટમાં આવે તો તેવા કિસ્સામાં સમસ્યા થઈ શકે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા વ્યક્તિએ આ ફંગશથી ખાસ સાવચેત રહેવું હિતાવહ છે. 

મ્યુકોરમાઇકોસીસ ફંગસ કેવા વાતાવરણમાં થઈ શકે?
આ ફંગસ ભેજવાળા વાતાવરણમાં, હોસ્પિટલમાં રહેલી બેડશીટ પર, સડેલા ફળો અને શાકભાજીમાં, એસીમાં તેમજ પાણીની પાઈપલાઈન તેમજ નળ પર સામાન્ય રીતે જોવા મળે છે. બચવાનો સરળ ઉપાય છે. મ્યુકોરમાઇકોસીસ ફંગસ એકમાંથી બીજી વ્યક્તિમાં નથી ફેલાતો પરંતુ માસ્કથી આ ફંગસના શિકાર બનવાથી બચી શકાય છે.

કોને ઝડપથી શિકાર બનાવે છે મ્યુકોરમાઇકોસીસ?
માટી અથવા ધૂળના સતત સંપર્કમાં રહેતા જેવા કે ખેતીકામ કે ગાર્ડનિંગ સાથે સંકળાયેલા લોકોએ ખાસ સાવચેતી રાખવાની સલાહ અપાઈ છે. કોરોના થયો હોય અને કોરોનાને માત આપી હોય તેવા વ્યક્તિએ ખાસ સાવચેતી રાખવા તબીબો દ્વારા સલાહ અપાઈ રહી છે. ખાસ કરીને જે દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન ICU - વેન્ટિલેટર સપોર્ટ પર સારવાર લીધી હોય તેમજ સ્ટીરોઇડના ઇન્જેક્શન તેમજ દવાઓ લીધી હોય તેમણે સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરવું હિતાવહ છે.

મ્યુકોરમાઇકોસીસથી બચવા શું સાવચેતી રાખવી?
આખી બાંયના કપડાં પહેરવા, જુતા પહેરવા, માટી કે કાદવમાં કામ કરતા સમયે ગ્લોવ્ઝ પહેરવા તેમજ જો ચામડી પર ઘા થાય તો તેને સાબુ અને પાણીથી ધોવુ હિતાવહ હોવાનું તબીબો કહી રહ્યા છે. કોરોનાની જેમ જ મ્યુકોરમાઇકોસીસ ફંગસથી પણ માસ્ક પહેરવું એ જ એકમાત્ર ઉપાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news