પાટીદારોના સીતા સ્વંયવરનો ફિયાસ્કો : 500 રામની સામે માત્ર 40 સીતા આવી

Patidar Samaj Sita Swayamvar : વિસનગર ખાતે પાટીદાર કુર્મી મહાસભા સીતા સ્વયંવરમાં 200 યુવતીઓના ટાર્ગેટ સામે 40 યુવતીઓ હાજર... મધ્યપ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્રથી યુવતીઓ આવી છે... લગ્ન માટે સ્થાનિક અને રાજસ્થાનના યુવાનોને પરિચય આપ્યો.... 200 યુવતીઓ હાજર રહેવાના ટાર્ગેટ સામે 40 યુવતીઓએ આપી હાજરી
 

પાટીદારોના સીતા સ્વંયવરનો ફિયાસ્કો : 500 રામની સામે માત્ર 40 સીતા આવી

Mehana Patidar તેજસ દવે/મહેસાણા : મહેસાણા જિલ્લામાં પાટીદાર સમાજ સામાજિક, રાજકીય અને આર્થિક રીતે અગ્રેસર રહ્યો છે આઘાતજનક રીતે મહેસાણામાં પાટીદાર સમાજમાં પુત્ર સંખ્યામાં પુત્રીઓની સંખ્યા ખૂબ ઓછી છે. આ કારણે મહેસાણાના પાટીદાર સમાજમાં સારું કમાતા અને સારું શિક્ષણ મેળવનાર યુવાનોના પણ લગ્ન નથી થઈ રહ્યા. ત્યારે મહેસાણાના વિસનગર ખાતે આજે કુર્મી પાટીદાર મહાસભા દ્વારા સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે 200 યુવતીઓ હાજર રહેવાના ટાર્ગેટ સામે આ સ્વંયવરમાં 40 યુવતીઓ હાજર રહી હતી. જેની સામે 500 યુવકો હાજર રહ્યા હતા. 

મહેસાણા જિલ્લામાં પાટીદાર સમાજ એ તમામ ક્ષેત્રે પ્રગતિ કરી છે. પણ પાટીદાર સમાજની આ પ્રગતિ વચ્ચે દીકરા અને દીકરીઓની સંખ્યામાં સમાનતા નથી જળવાઈ. આ કારણે પાટીદાર સમાજના દીકરાઓ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોવા છતાં અને સારી આવક ધરાવતા હોવા છતાં લગ્ન થી વંચિત રહ્યા છે. આ કારણે મહેસાણા જિલ્લામાં અન્ય રાજ્યમાંથી યુવતીઓ સાથે લગ્ન કરવાનું ચલણ વધ્યું છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 8 વર્ષમાં 750 કરતા વધુ યુવતીઓ બૂંદેલખંડ અને ચિત્રકૂટ વિસ્તારમાંથી લગ્ન માટે લાવવામાં આવી છે. ત્યારે જે રાજ્યમાં આજે પણ દહેજ પ્રથા અસ્તિત્વમાં છે. તેવા રાજ્યોના પાટીદાર સમાજને એક મંચ ઉપર લાવી લગ્નથી વંચિત સ્થાનિક યુવાનોને લગ્ન માટે યુવતી મળે તેવો પ્રયાસ કુર્મી પાટીદાર મહાસભા દ્વારા કરવામાં આવ્યો છે. 

પાટીદાર કુર્મી મહાસભાના પૂર્વ મહિલા અધ્યક્ષ જાગૃતિબેન પટેલે જણાવ્યું કે, મહેસાણાના વિસનગર ખાતે આજે પાટીદાર કુર્મી મહાસભા દ્વારા સીતા સ્વંયવરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મધ્યપ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્રથી 40 યુવતીઓ હાજર રહી હતી. તો બીજી તરફ રજીસ્ટ્રેશન કરાવનાર 4500 યુવાનો પૈકી 450 યુવાનોને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે આ કાર્યક્રમમાં 200 દીકરીઓને હાજર રાખવાનો ટાર્ગેટ હતો, જેની સામે માત્ર 40 દીકરીઓ જ હાજર રહી હતી.

આજથી 23 વર્ષ પહેલાં 2001માં વસ્તી ગણતરી વખતે વિસનગરમાં 0 થી 6 વર્ષના બાળકોમાં 1000 દીકરાઓને જન્મદર સામે 713 દીકરીઓ સાથે સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે હતું. આ સિવાય મહેસાણા,ઊંઝા ની સ્થિતિ પણ કંઈક આવી જ હતી. એટલે કે તે સમયે ઉત્તર ગુજરાતના આ વિસ્તાર સ્ત્રી ભૃણ હત્યાનું એપી સેન્ટર હતું. જેની અસર આજે આ વિસ્તારમાં કન્યાઓની ખેંચ સ્વરૂપે દેખાઈ રહી છે. ત્યાર બાદ વર્ષ 2011 માં પણ આ સ્થિતિમાં કોઈ ખાસ સુધાર ન આવ્યો. આ સ્થિતિમાં સ્થાનિક પાટીદાર દીકરીઓની પહેલી પસંદ વિદેશમાં વસતા કે સરકારી નોકરી કરતા યુવાનો હોવાને કારણે સ્થાનિક યુવાનો સામે લગ્ન માટે કન્યા મેળવવી જટીલ પ્રશ્ન બની ગયો. ત્યારે હવે સમગ્ર દેશમાં વસતા પાટીદાર સમાજને કુર્મી પાટીદાર મહાસભાના નેજા તળે એક મંચ ઉપર લાવી અન્ય રાજ્યની યુવતીઓ સાથે સ્થાનિક યુવાનોના લગ્ન થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

ભૂતકાળમાં ચરોતરમાં દહેજ પ્રથાને કારણે દીકરીઓને દૂધ પીતી કરવામાં આવતી હતી. તેની જેમ જ સમય બદલતા સ્ત્રી ભૃણ હત્યા શરૂ થઈ, જેની અસર 30 વર્ષ પછી પણ દેખાઈ રહી છે ત્યારે આ સમસ્યાનો એક જ ઈલાજ છે દીકરા અને દીકરી વચ્ચે ઉભી થયેલી અસમાનતા દૂર થાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news