ચૂકાદાની ગણતરીની મિનિટોમાં હાર્દિક સહિત ત્રણેય આરોપીને મળ્યા જામીન

વિસનગર કોર્ટ દ્વારા દોષી ગણાવ્યા બાદ હાર્દિક પટેલે જામીન માટે અરજી કર્યા બાદ ત્રણેય આરોપીઓને કોર્ટે જામીન આપ્યા હતા.

ચૂકાદાની ગણતરીની મિનિટોમાં હાર્દિક સહિત ત્રણેય આરોપીને મળ્યા જામીન

મહેસાણા: વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના કેસમાં વિસનગર સેશન્સ કોર્ટ હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત ત્રણને દોષિત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય 14ને નિર્દોષ જાહેર કર્યા છે. હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એકે પટેલને 2-2 વર્ષની સજા સંભળાવી છે. તથા 50-50 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વિસનગર કોર્ટ દ્વારા દોષી ગણાવ્યા બાદ હાર્દિક પટેલે જામીન માટે અરજી કર્યા બાદ ત્રણેય આરોપીઓને કોર્ટે શરતી જામીન આપ્યા હતા. હાર્દિક અને અન્ય દોષિતોએ ૨૭ ઓગસ્ટ પહેલાં હાઇકોર્ટમાં ચુકાદાને પડકારવાનો રહેશે એ શરતે જામીન આપ્યા છે. આ ઉપરાંત મહેસાણામાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. 

શું છે સમગ્ર કેસ
વિસનગરમાં ત્રણ વર્ષ પૂર્વે પાટીદાર અનામતઆંદોલન સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ ધારાસભ્ય કાર્યાલય સહિતના તોડફોડ કેસમાં શહેર પોલીસ મથકે પાસના નેતા હાર્દિક પટેલ, એસ.પી.જી.ના લાલજી પટેલ સહિત સ્થાનિક પાટીદાર આગેવાનો સહિત 17 વિરુધ્ધ ગુનો દાખલ થયો હતો. જે ગુનો અનામત આંદોલનનો રાજ્યમાં પ્રથમ ગુનો હતો. જે કેસ હાલમાં ચોથા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ ગઇ છે. જ્યારે કેસની આજે બુધવારે મુદ્દત હોવાથી કેસનો ચુકાદો આવે તેવી શક્યતાઓ રહેલી છે.

ચૂકાદા બાદ હાર્દિકે કર્યું ટ્વિટ
ચૂકાદાની થોડી મિનિટો બાદ હાર્દિક પટેલે પોતાના ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે કોઇપણ મુશ્કેલીને તેના બનાવવામાં આવેલા લેવલ પર ઉકેલી શકાતી નથી, તે મુશ્કેલીને તે લેવલથી ઉપર ઉઠતાં જ ઉકેલી શકાય છે. આજે પણ હું કહું છું કે સરકાર અંગ્રેજ બનશે તો હું ભગત સિંહ બનીશ!!!! ઇંકલાબ જિંદાબાદ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news