ચુડેલ, ડાકણની બીકના નામે સ્ત્રીઓની બલી ક્યાં સુધી લેવાશે, અંધવિશ્વાસ કે અંધશ્રદ્ધા!

Superstition : સૌરાષ્ટ્ર યુનિવર્સટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા અંધશ્રદ્ધા પર સરવે કરાયો.... જેમાં રસપ્રદ માહિતી સામે આવી... અંધવિશ્વાસ કે અંધશ્રદ્ધા : બિલાડી-ઘુવડ-કાગડાથી સદીઓથી ડરે છે લોકો

ચુડેલ, ડાકણની બીકના નામે સ્ત્રીઓની બલી ક્યાં સુધી લેવાશે, અંધવિશ્વાસ કે અંધશ્રદ્ધા!

Rajkot News ગૌરવ દવે/રાજકોટ : અંધશ્રદ્ધા તમને ક્રિયાહીન અને જીવલેણ બનાવે છે. આપણા સમાજમાં કેટલીક માન્યતાઓ પ્રચલિત છે જેને અંધશ્રદ્ધા કહેવામાં આવે છે. જોકે કેટલાક લોકો માટે તે વિશ્વાસનો પ્રશ્ન હોઈ શકે છે. આ અંધશ્રદ્ધાઓને કારણે ભારતના મોટાભાગના લોકો અંધશ્રદ્ધાળુ બની ગયા છે અને ધર્મ પ્રત્યે અનિર્ણાયક, ભયભીત અને ડરેલા રહ્યા છે. સદીઓથી અંધશ્રદ્ધા ચાલી આવે છે. આ સમાજમાં ફેલાયેલી બીમારી છે, જેણે સમાજના પાયાને પોકળ કરી નાખ્યા છે. અંધશ્રદ્ધા કોઈ જ્ઞાતિ, સમુદાય કે વર્ગની નથી પરંતુ તે દરેક વ્યક્તિમાં સમાન રીતે જોવા મળે છે. અંધશ્રદ્ધામાં ડૂબેલી વ્યક્તિ ઘણીવાર એવા કામો કરે છે જે હાસ્યાસ્પદ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના ડો. ધારા આર દોશી અને ડો.યોગેશ જોગસણ દ્વારા આ અંગે રિસર્ચ કરીને માહિતી એકત્રિત કરવામાં આવી. 

અંધશ્રદ્ધા માણસને આંતરિક રીતે કમજોર બનાવે છે. તે એવી વસ્તુઓમાં વિશ્વાસ કરવાનું શરૂ કરે છે જેનું કોઈ જ કારણ નથી. જો માનવી આ વિકારનો ભોગ બને તો સમાજ માટે તેનું જીવવું શક્ય નથી. ભારતીય સમાજમાં તેના મૂળ ખૂબ ઊંડા છે. દરેક સારા અને ખરાબ કાર્યોમાં અંધશ્રદ્ધાનો પડછાયો દેખાશે. ઘરની બહાર નીકળતી વખતે છીંક આવવી, બિલાડીનો રસ્તો ઓળંગવો, પૂજા અધવચ્ચે જ દીવો ઓલવાઈ જવો, અડધી રાત્રે કૂતરું ભસવું કે ઘુવડનું રડવું વગેરે એવી બાબતો છે જેનાથી લોકો સદીઓથી ડરે છે.

આઝાદીના વર્ષો પછી પણ આજેપણ આપણો સમાજ અંધશ્રદ્ધાના ખાડામાંથી બહાર આવી શક્યો નથી. ધીરે ધીરે આપણો દેશ એ પ્રગતિના શિખરો સર કરી રહ્યો છે ત્યારે તેનાથી વિપરિત અંધશ્રદ્ધાના નામે બનતી હેરાનગતિ અને મારપીટની ઘટનાઓ આપણા દેશના ઘણા લોકોની પોકળ માનસિકતા છતી કરે છે. એક તરફ અવકાશ તરફ ગતિ કરવાના સમાચાર આપણને ખુશ કરી રહ્યા છે તો બીજી તરફ અંધશ્રદ્ધાના સમાચાર આપણી ખુશીને દુઃખમાં બદલી રહ્યા છે. આ એક વિચિત્ર દુવિધા છે જેમાં આપણો સમાજ અને દેશ કચડાઈ રહ્યો છે.એ પણ વિચારવા જેવી છે કે સમયની સાથે વિજ્ઞાનના વિકાસ પછી જે ઠાઠમાઠ અને અંધશ્રદ્ધા ખતમ થવી જોઈતી હતી તે આજ સુધી થઈ નથી. બલ્કે એ દુઃખની વાત છે કે આધુનિક અને શિક્ષિત પેઢી પણ આ માર્ગનું આંધળું અનુકરણ કરી રહી છે. જેનું ઉદાહરણ એ કેરળમાં ડોક્ટર દંપતિએ કરેલ કૃત્ય છે.  કાળો જાદુ, ભૂતપ્રેત, માનવ અને પશુઓની બલિ, મેલીવિદ્યા, બાળ લગ્નથી માંડીને કાચ તોડવા, બિલાડીનો રસ્તો, બિલાડીની પીઠ અને અનેક ગાણિતિક સંખ્યાઓ પણ અંધશ્રદ્ધાના દૃષ્ટિકોણથી ચકાસવામાં આવી રહી છે. પણ અ બધા માંથી દુઃખદ અને ધ્રુણા પમાડનાર બાબત એ છે કે દરેક વખતે અંધશ્રદ્ધાનો ભોગ સ્ત્રીઓ જ શા માટે? શા માટે ચુડેલ, ડાકણ જેવા શબ્દ અને તેની બીકના નામે સ્ત્રીઓને જ મોતને ઘાટ ઉતારી તેની બલી ચડાવવામાં આવે?

અંધશ્રધ્ધા કઈ રીતે શરુ થાય છે?
તેના વિશે જાણવા માટે મનોવૈજ્ઞાનિક સ્કીનરનો પ્રયોગ સમજવા જેવો છે જેણે કબુતર પર પ્રયોગ કરેલ હતો. જે પ્રયોગ કર્યો હતો તેમાં એક પ્રકારનું જોડાણ કે સાહચર્ય સ્થાપિત થતું જોવા મળ્યું અને અંતે જેટલા કબૂતરો હતા તેમાંથી ત્રીજા ભાગના કબૂતરો અંધવિશ્વાસી જોવા મળ્યા. સતત અમુક બાબતો વારંવાર આપણી સામે આવે અને તેમાં અમુક વર્તન જોવા મળે ત્યારે મન એ બાબત કરવા માટે સ્વીકાર કરતુ હોય છે.

વ્યક્તિ અંધવિશ્વાસી શા માટે બને છે?

(1)પરિસ્થિતિ પર નિયંત્રણ મુકવા માટે
(2) પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે
(૩) લાચારી અને શક્તિહીનતાની લાગણી ઓછી કરવા માટે
(4) મુશ્કેલીનો સામનો કરવા કરતા અંધવિશ્વાસનો રસ્તો સરળ થઈ જાય છે
(5) પોતાનાથી નબળા લોકો પર પોતાનો હુકમ ચલાવવા
(6) ખાસ કરીને સ્ત્રીઓને નિયંત્રણમાં રાખવા

સમાજના ઘણા લોકો અંધશ્રદ્ધાની આગમાં સળગી રહ્યા છે
આજેપણ ઘણા સમાજમાં અંધવિશ્વાસના નામે સ્ત્રીઓનો ભોગ લેવાય છે.  આજે પણ મેલીવિદ્યાના નામે મહિલાઓના શરીર સાથે વિવિધ યુક્તિઓ અજમાવવામાં આવી રહી છે.ડાકણ હોવાનો ઢોંગ કરીને કેટલીય મહિલાઓની હત્યા કરવામાં આવશે?અંધવિશ્વાસના જે કેસોમાં મહિલાઓની હત્યા થાય તેમાં મોટા ભાગના કિસ્સા પાછળ મિલકતનો વિવાદ  અથવા તો આવી હત્યા પાછળ કોઈ કુટંબની સમસ્યાઓ હોય છે,

ગુલામીમાં સ્ત્રીઓનો આત્મવિશ્વાસ નબળો
ગુલામીની સાંકળોથી સ્ત્રીઓનો આત્મવિશ્વાસ નાશ પામે છે. સ્ત્રીઓ દ્વારા રાખવામાં આવતા મોટા ભાગના ઉપવાસ પુરુષોની સુખાકારી માટે હોય છે. તેઓ પુરુષોના હિતમાં પોતાનું હિત જોવે છે. “સ્ત્રીનો જન્મ એક વખત નહી પણ અનેક વખત થતો હોય છે” આ બાબત  સ્ત્રીઓને માનસિક અને શારીરિક રીતે દબાવવામાં આવતી વાસ્તવિકતા પણ છતી કરે છે. ઘણા એવું માને છે કે મહિલાઓ શારીરિક રીતે પુરુષો કરતાં નબળી હોય છે પરંતુ સ્ત્રીઓ શારીરિક રીતે નબળી જન્મતી નથી, પરંતુ વાલીપણા દરમિયાન થતા ભેદભાવ અને વિવિધ સ્તરના નિયંત્રણો તેમને નબળા પાડે છે.જો કે, કોઈ વ્યક્તિ શારીરિક રીતે નબળા હોવાનો અર્થ એ નથી કે કોઈ મજબૂત વ્યક્તિ તેનું શોષણ કરી શકે છે. જો સ્ત્રીઓ શારીરિક રીતે નબળી જન્મે તો પણ પુરુષોને તેમનું શોષણ કરવાનું લાયસન્સ નથી એક તરફી વર્ચસ્વ ધરાવતા આપણા સમાજમાં અંધવિશ્વાસનો ભોગ એ મહિલાઓ બનતી આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news